બંગલો ફાળવ્યો છતા મંત્રીઓ ક્વાટર્સ ખાલી નથી કરતાં: MLA ક્વાટર્સનું રોજનું ભાડું રૂ.1.37, ગત 50 વર્ષથી ભાડુ વધ્યું નથી
![](https://livetvtodaynews.in/wp-content/uploads/2022/02/MLA-Quaters-16450721963x2-1.jpg)
અમદાવાદ : ભાજપ સરકારના મંત્રીઓને મંત્રી નિવાસસ્થાનમાં આલિશાન બંગલા ફાળવવામાં આવ્યા છે તેમ છતાંય આ જ મંત્રીઓ દ્વારા હજુ સુધી MLA કવાર્ટસ ખાલી કરવામાં આવ્યાં નથી. ખુદ મંત્રીઓ જ નિયમોની ઐસી તૈસી કરતાં હોય છે. બંગલા ફાળવી દેવાયા છતાંય વિધાનસભાના સ્પિકર, ડેપ્યુટી સ્પિકર ઉપરાંત કેટલાંક મંત્રીઓએ હજુ એમએલએ કવાર્ટસ ખાલી કર્યા નથી. માર્ગ મકાન વિભાગે મંત્રીઓને કવાર્ટસ ખાલી કરવા સૂચના આપી હોવા છતાંય તેનો હજુ અમલ થઇ શક્યો નથી.
ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓને નિયમાનુસાર કવાર્ટસથી માંડીને અન્ય લાભ આપવામા આવે છે. ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને ગાંધીનગરમાં રોજના રૂા.1.37 પૈસાના ભાડાંથી કવાર્ટસ અપાય છે. ત્રણ બેડરૂમ, ડાઇનીંગ રૂમ સહિતની સુવિધા સાથેનું કવાર્ટસ આપવામાં આવે છે.
મહિને રૂા.40ના ભાડાનાં કવાર્ટસમાં વિજળી, 24 કલાક પાણી ઉપરાંત સોફા,પલંગ સહિત ફુલ ફર્નિચર ઉપરાંત તેમજ ટફોનની પણ સુવિધા આપવામાં આવે છે. ગાંધીનગર સ્થિત એમએલએ કવાર્ટસમાં કુલ 159 કવાર્ટસ છે. ઉલ્લેખનીય છેકે, છેલ્લા 50 વર્ષથી કવાર્ટસના ભાડામાં વધારો કરાયો નથી. નજીવા ભાડામાં ધારાસભ્યો પ્રજાના ટેક્સના પેસે લાભ મેળવી રહ્યા છે.
રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સત્તાનુ સુકાન સંભાળ્યુ હતું. ત્યાર બાદ ભાજપ સરકારના મંત્રીઓને મંત્રી નિવાસસ્થાનમાં બંગલા ફાળવવામાં આવ્યા હતાં. આમ છતાંય મંત્રી અરવિંદ રૈયાણી, મંત્રી કુબેર ડિંડોર, મંત્રી નિમિષા સુથાર, મંત્રી રાઘવજી પટેલ, મંત્રી પ્રદિપ પરમારે એમએલએ કવાર્ટસ ખાલી કર્યા નથી. આ ઉપરાંત વિધાનસભાના સ્પિકર નિમાબેન આચાર્ય અને ડેપ્યુટી સ્પિકર જેઠા ભરવાડને બંગલો ફાળવાયો છે તેમ છતાંય કવાર્ટસ ખાલી કર્યા નથી.