गुजरात

ગિરનાર પર ચડવું થશે સરળ, રોપ-વે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, જાણો 1 કલાકમાં કેટલા લોકો અંબાજી સુધી પહોંચી શકશે

જૂનાગઢઃ જૂનાગઢ આવતા શ્રદ્ધાળુઓને હવે સરળતાથી ગિરનાર અંબાજી સુધી પહોંચી શકશે. કારણ કે ગિરનાર પરનો રોપ વે પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ગિરનારની યાત્રાએ ત્યારે હવે આ રોપવે પ્રોજેક્ટ પૂર્ણ થતાં અનેક લોકો સરળતાથી અંબાજીના દર્શન કરી શકશે અને ગિરનાર પર્વત પર જઈ શકશે.

2.3 કિલોમીટર લંબાઈના રોપ-વેમાં 8 લોકોની ક્ષમતા ધરાવતી 25 ટ્રોલી ચાલી શકશે. એક કલાકમાં 800 જેટલા વ્યકિત અંબાજી સુધી પહોંચી શકશે. શક્યતા એવી છે કે 9 નવેમ્બરના રોજ જૂનાગઢના આઝાદીના દિવસે પ્રધાનમંત્રી મોદીના હસ્તે ઉદ્ધાટન કરી લોકાર્પણ કરવામાં આવી શકે છે. ગિરનાર રિપવે પ્રોજેકટ પૂર્ણ થવાના આરે છે ત્યારે જૂનાગઢ વાસીઓમાં ખુશીનો માહોલ છે.

જૂનાગઢ શહેર નજીક આવેલ છે ગિરનાર પર્વત જે પૌરાણિક રેવતક પર્વતના નામથી પણ ઓળખાય છે. જ્યાં દર વર્ષે ગિરનારની પવિત્ર યાત્રાનું આયોજન દેવ દિવાળીના સમય દરમિયાન થાય છે. અહીં દેશ અને વિદેશથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે તેમજ દર વર્ષે શિવરાત્રીનો ભવ્ય મેળો પણ યોજાય છે.

હવે ગિરનાર પર્વત પર રોપવેનું નિર્માણ થઇ રહ્યું છે જે ટુક સમયમાં પૂર્ણ થવાનું છે ત્યારે જૂનાગઢ પંથકની પ્રજામાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

Related Articles

Back to top button