गुजरात

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 41 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,457 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 3,92,615 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે રાજકોટ કોર્પોરેશનમાં ચાર, સુરત કોર્પોરેશનમાં ચાર, વલસાડમાં ચાર, અમદાવાદ કોર્પોરેશનમાં ત્રણ, જૂનાગઢ કોર્પોરેશનમાં ત્રણ, વડોદરા કોર્પોરેશનમાં ત્રણ, ભાવનગર કોર્પોરેશનમાં બે, જૂનાગઢમાં બે, સાબરકાંઠામાં બે, આણંદ અને સુરતમાં એક-એક કોરોનાના નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 217 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 211 નાગરિકો સ્ટેબલ છે. 8,16,457 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 458 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6698 નાગરિકોને રસીનો પ્રથમ અને 87406 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23,350 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,74,699 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,92,615 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,19,77,796 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જામનગર, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

Related Articles

Back to top button