હિન્દુઓ વિરુદ્ધ હિંસા મામલે બાંગ્લાદેશનો ચોંકાવનારો જવાબ, કહ્યું- આ છૂટીછવાઈ ગુનાહિત ઘટના | Bangladesh Denies Anti Hindu Violence Claims After India Raises Concerns

Bangladesh Denies Anti-Hindu Violence Claims After India Raises Concerns | બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી. તે બાદ મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના પ્રમુખ બન્યા. જોકે તે બાદ પણ હજુ બાંગ્લાદેશમાં હિંસા શાંત નથી થઈ રહી. હાલના દિવસોમાં હિન્દુ યુવકો પર હુમલા કરી ભીડ દ્વારા હત્યા કરવામાં આવી છે. જે બાદ ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે આ મુદ્દે હવે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે ભારતની ટિપ્પણી ‘તથ્યહિન’ છે.
બાંગ્લાદેશની હોંશિયારી તો જુઓ!
બાંગ્લાદેશની સરકારે કહ્યું છે કે દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને લઈને ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં લાંબા સમયથી તમામ સમુદાય વચ્ચે શાંતિ અને ભાઈચારો છે. ગુનાહિત ઘટનાઓને જાણી જોઈને હિન્દુ વિરુદ્ધ અત્યાચારના રૂપમાં દર્શાવવામાં આવી રહી છે. આ ગુનાહિત ઘટનાઓને મુદ્દો બનાવી ભારતના અમુક હિસ્સાઓમાં બાંગ્લાદેશ વિરુદ્ધ માહોલ તૈયાર કરાઈ રહ્યો છે તથા બાંગ્લાદેશના દૂતાવાસ વિરુદ્ધ લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે.

છૂટીછવાઈ ઘટનાઓને વધારી ચડાવીને દર્શાવાઈ: બાંગ્લાદેશનો દાવો
આ સાથે જ બાંગ્લાદેશે અપીલ કરી કે ભ્રામક વાતો ફેલાવવાથી બચો જેથી પડોશી સંબંધોને નુકસાન ન થાય. બાંગ્લાદેશનો દાવો છે કે છૂટીછવાઈ ગુનાહિત ઘટનાઓને હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચાર તરીકે દર્શાવવામાં આવે છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું, કે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જે લોકોનો ઉલ્લેખ કર્યો તેમાંથી એક તો લિસ્ટેડ અપરાધી હતો. તે તેના એક મુસ્લિમ સહયોગી સાથે મળી ખંડણી માંગતો હતો. તેના મુસ્લિમ સહયોગીની ધરપકડ કરી લેવાઈ છે. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં શેખ હસીનાના તખ્તાપલટ બાદ હિન્દુઓના ઘરો પર હુમલા, તોડફોડ અને આગચંપીનો આરોપ છે. હાલમાં જ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓની ભીડે દીપુ ચંદ્ર દાસ નામના યુવકની સરાજાહેર નિર્મમ હત્યા કરી તેના દેહને વૃક્ષ પર લટકાવી આગ લગાવી હતી.



