સુરત : એનિવર્સરીએ આપઘાત કરનાર PSI અમિતાએ કર્યા હતા પ્રેમ લગ્ન, પતિ સામે થઈ શકે છે કેસ
સુરત : મૂળ ભાવનગરની વતની અને સુરતના ઉધના પોલીસ મથકની મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમિતા જોશીના આપઘાત કેસમાં રોજ રોજ નવી માહિતી સામે આવી રહી છે. ગઈકાલે મૃતક અમિતા જોશીના પિતાએ ગંભીર આક્ષેપો કર્યા બાદ તેના પતિ અને પોલીસમાં જ નોકરી કરતા વૈભવ સામે કેસ થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. દરમિયા અમિતા અને વૈભવે પ્રેમ લગ્ન કર્યા હોવાની માહિતી સામે આવી છે.
મૃતક અમિતા જોશી અને વૈભવની મુલાકાત પોલીસની તાલિમ વખતે થઈ હતી જ્યાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતા. બંને બ્રાહ્મણ હોવાનાં કારણે અને એક જ ખાતામાં નોકરી હોવાના કારણે વિચારો સાથે દિલ પણ મળી ગયા હતા અને આખરે સગાઈ અને બાદમાં લગ્ન કર્યુ હતું.
જોકે, મહેનતકશ અમિતાએ પોતાના માટે અને પરિવાર માટે મોટું સ્વપ્ન જોયું હતું. પતિ-પત્ની બંને કૉન્સ્ટેબલ હતા પરંતુ અમિતા કૉન્સ્ટેબલમાંથી પીએસઆઈની પરીક્ષા આપી અને તેમાં તે સફળ પણ રહી હતી. વર્ષ 2016 દંપતિને દીકરાનો જન્મ થયો હતો.