નાટક ‘ગુજ્જુભાઈની ગોલમાલ’માં દારૂ સાથે ગાયત્રી મંત્રનાં જાપ કરવા બદલ સિદ્ધાર્થ રાંદેરિયા સામે ફરિયાદ
નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે આઠેક વર્ષ પહેલાં રિલીઝ થયેલા અને સુપરહિટ થયેલા ગુજરાતી નાટક ‘ગુજ્જુભાઈની ગોલમાલ’ના એક સીન સામે જેમા દારૂ સાથે ગાયત્રી મંત્રના જાપ કરીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. આ સીનમાં ગુજ્જુભાઇ ઘરમાં દારૂ પીતા હોય ત્યારે પત્ની પૂજાપાઠ કરતી હોય એટલે પોતાની દારૂની લતની ખબર ન પડે એ માટે તે મંત્રજાપ સમયે પાસે પડેલા તાંબાના કળશમાં શરાબની બોટલ ખાલી કરીને પત્ની સાથે ગાયત્રી મંત્ર બોલતી વખતે એ મંત્રમાં ભૂર્ભૂવઃ સ્વઃ ને બદલે ‘ભરવા દે’ એ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. આ સીનની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જબરદસ્ત વિવાદ થયો હતો. જે બાદ હવે ફરિયાદ પણ નોંધાઇ છે.
ફરિયાદમાં કડક સજાની માંગ
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતી નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયાનો કોમેડી શો ‘ગજ્જુભાઇની ગોલમાલ’ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેના ભાગો યુટ્યુબ પર પણ પ્રસારિત થાય છે. એક દ્રશ્યમાં, હિરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતા બતાવવામાં આવી છે. તે દરમિયાન, એક્ટર (સિદ્ધાર્થ રાંદેરિયા) તેની ખાતરી કરે છે કે તેની આંખો બંધ છે અને બોટલમાંથી દારૂ તેના આગળ તાંબાના વાસણમાં નાખે છે અને મંત્રનો જાપ કરીને મજાક ઉડાવે છે. મંત્રો વિશે ઘણાં જોક્સ કરે છે. હકીકતમાં, ગાયત્રી મંત્રએ એક વેદ મંત્ર છે અને દરેક ધાર્મિક વિધિમાં તેનો પાઠ કરવામાં આવે છે. વિકૃતિ દ્વારા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. તેથી તાત્કાલિક કેસ નોંધવા જોઈએ અને તેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક સજા થવી જોઈએ.