જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 71 lakh

![]()
ધંધામાં નફાની લાલચ આપી રોકાણના બહાને ધુંબો માર્યો
સોલાર, જેસીબી-લોડરના ધંધામાં ભાગીદારી દર્શાવી રોકાણ કરાવી ઠગાઇ કરાતા 3 શખ્સો સામે ફરિયાદ
જામનગર: જામનગરમાં એક એરફોર્સ કર્મચારીને સોલાર પ્લાન્ટ અને જેસીબી-લોડરનાં ધંધામાં નફાની લાલચ આપી કરોડોની નજીકની રકમ રોકાણ કરાવી ૮૧.૭૧ લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર એરફોર્સના કર્મચારી ધનંજય ચંદ્રીકા પ્રસાદ મિશ્રા (ઉં.વ. ૪૦) છેલ્લા પાંચ વર્ષથી જામનગરમાં ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ આશરે ત્રણ વર્ષ પહેલાં તેમની ઓળખ ધર્મેન્દ્રસિંહ માનભા જાડેજા સાથે થઈ હતી. ધર્મેન્દ્રસિંહે તેમને ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી હતી. ત્યારબાદ પોતાના સાળા અર્જુનભાઈ મારફતે પણ રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ધનંજય મિશ્રાએ વિવિધ બેંક ખાતાઓ મારફતે અને રોકડ મળી કુલ રૂા. ૮૧ લાખ ૭૧ હજાર ૮૩૨ ધર્મેન્દ્રસિંહ જાડેજાને આપ્યા હતા. શરૂઆતમાં આશરે રૂા.૧૦ લાખ નફો પણ મળ્યો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે લાલ બંગલા વિસ્તારમાં કરાર કરીને જેસીબી-લોડર ખરીદી ધંધામાં ૫૦ ટકા ભાગીદારી નક્કી કરવામાં આવી હતી. જોકે થોડા સમય પછી ધર્મેન્દ્રસિંહે નફાની રકમ આપવાનું બંધ કરી દીધું હતું. જેમાં ત્રીજા આરોપી સચિન પંચોલીની પણ સંડોવણી હોવાનું જાહેર કરાયું છે
તથા ફરિયાદીએ પોતાની મૂડી પરત માંગી ત્યારે આરોપીએ રકમ પરત નહીં મળે તેમ કહી ગાળો આપી ધમકીઓ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે જામનગરમાં જ રહેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ અને સચિન પંચોલી સામે છેતરપિંડીનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.



