અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | jafrabad lion attack babarkot road suspicious death in amreli

![]()
Lion Suspicious Death In Jafrabad Amreli: અમરેલી, ગીર સોમનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેર જોવા મળતા હોય છે. જેમાં સ્થાનિકો પર વન્ય પ્રાણીના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ બાઇક ચાલક અને રિક્ષા ચાલક પર હુમલા બાદ સિંહનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના જાફરાબાદ રેન્જ વનવિભાગ કચેરી નજીક બનતા વન વિભાગના અધિકારીઓ સ્થળે દોડી પહોંચ્યા હતા. સિંહને બેથી ત્રણ વખત આચકી આવ્યા બાદ વનવિભાગની નજર સામે જ રેસ્ક્યુ પહેલા સિંહનું મોત થયું હતું. હડકવાની અસર હોવાની વનવિભાગે આશંકા વ્યક્ત કરી છે, ત્યારે સિંહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડી ડૉક્ટર ટીમ દ્વારા મૃતક સિંહના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
બાબરકોટ રોડ પર સિંહનો આતંક
જાફરાબાદ તાલુકામાં બાબરકોટ રોડ પર એક સિંહે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને નજીકમાં આવેલી જાફરાબાદ રેન્જ વનવિભાગની કચેરીના અધિકારી ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા.
બાઈક ચાલક બાદ રિક્ષા પાછળ દોડી સિંહનો હુમલો
બાબરકોટ રોડ પરથી પસાર થતાં વિશાલભાઈ બારૈયા નામના બાઈક ચાલક સિંહે હુમલો કર્યો હતો. જેમાં બાઈક ચાલકને સિંહે નખ મારતા સામાન્ય ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રિક્ષા પાછળ સિંહે દોડી હુમલાનો પ્રયાસ કરતા રિક્ષા પલટી મારી ગઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.
બાબરકોટ રોડ પર સિંહના આતંકને લઈને જાફરાબાદ રેન્જ વનવિભાગ કચેરીની ટીમ ઘટના સ્થળે પહોચી રોડ થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ કર્યો હતો. વનવિભાગની ડૉક્ટર ટીમ દ્વારા સિંહને પકડવાની તૈયારી કરે તે પહેલા સિંહનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. જેમાં સિંહને બેથી ત્રણ વખત આચકી આવ્યા બાદ અચાનક મોત થયું હતું. હડકવાની અસર હોવાની વનવિભાગને આશંકા છે, ત્યારે સિંહના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોતનું ચોક્કસ કારણ જાણવાની વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.


