राष्ट्रीय

વિપક્ષનો મેગા પ્લાન! કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી? રાઉત અને સુપ્રિયા સુલેનું નિવેદન | Will TMC and Sharad Pawars Party Merge with Congress Sanjay Raut and Supriya Sules Big Statement



Congress TMC NCP Merger:  બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) મોટા ભંગાણના આરે છે. પાર્ટીના બે તૃત્યાંશ ધારાસભ્યો અને સાંસદો અલગ જૂથ બનાવવાના પ્રયાસમાં છે. TMCમાં મચેલી આ નાસભાગ વચ્ચે મમતા બેનર્જી સામે પાર્ટીને બચાવી રાખવાનો મોટો પડકાર છે. આ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A બ્લોક’ની બેઠક બાદ TMCના કોંગ્રેસમાં વિલયની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

TMC-કોંગ્રેસના વિલયની અટકળોને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે I.N.D.I.A બ્લોકની બેઠક પૂર્ણ થયા બાદ પણ અભિષેક બેનર્જી દિલ્હીમાં જ રોકાયા હતા. હવે મહારાષ્ટ્રમાંથી પણ પ્રાદેશિક વિપક્ષી પક્ષોના કોંગ્રેસમાં વિલયની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસમાંથી અલગ થયેલી તમામ પાર્ટીઓએ ફરી એક થઈ જવું જોઈએ.

કોંગ્રેસમાંથી અલગ થયેલી તમામ પાર્ટીઓએ ફરી એક થઈ જવું જોઈએ: અશોક ગેહલોત

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ‘કોંગ્રેસમાંથી અલગ થઈને પ્રાદેશિક પક્ષ બનાવનારી તમામ રાજકીય પાર્ટીઓએ ફરીથી કોંગ્રેસમાં સામેલ થઈ જવું જોઈએ અને પૂરા દિલથી રાહુલ ગાંધીને પોતાના નેતા સ્વીકારી લેવા જોઈએ.’

નાના પટોલે અને સંજય રાઉતના નિવેદનથી રાજકારણ ગરમાયુ

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું કે, ‘શરદ પવાર અને મમતા બેનર્જી કોંગ્રેસ સાથે આવવાની માનસિકતા બનાવી રહ્યા છે. દેશ બચાવવા માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોનું એકજૂથ થવું જરૂરી છે.’ નાના પટોલે ઉપરાંત શિવસેનાના સાંસદ સંજય રાઉતનું નિવેદન પણ સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, ‘વિપક્ષી દળોના કોંગ્રેસમાં વિલયની કમાન શરદ પવાર સંભાળે.’

નાના પટોલે અને સંજય રાઉતના નિવેદન પર સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જોકે, સુપ્રિયાના નિવેદનથી પણ સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. સુપ્રિયા સુલેએ કહ્યું કે, ‘પહેલાં વરસાદ તો આવવા દો, પછી જોઈશું કે છત્રી લેવી છે કે રેઇનકોટ.’

કોંગ્રેસમાં ભળી જશે TMC અને શરદ પવારની પાર્ટી?

ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે  I.N.D.I.A ગઠબંધનની અંદર હવે એક મોટા ‘મહાવિલય’ની હલચલ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસમાંથી અલગ થઈને પ્રાદેશિક સ્તરે પોતાની રાજકીય જમીન તૈયાર કરનારા પક્ષોને ફરી એકવાર કોંગ્રેસની છત્રી નીચે લાવવાની કવાયત શરૂ થઈ ચૂકી છે.

આ સંભવિત વિલયને લઈને કોંગ્રેસ, શિવસેના (UBT) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(શરદચંદ્ર પવાર)ના ટોચના નેતાઓની નિવેદનબાજીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, પડદા પાછળ એક મોટી રાજકીય પટકથા લખાઈ રહી છે.

દેશ વેચાઈ રહ્યો છે તેથી સમાન વિચારધારા ધરાવતા પક્ષોનું એકજૂથ થવું જરૂરી છે: નાના પટોલે

આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા નાના પટોલેએ અત્યંત આક્રમક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં નાના પટોલેએ કહ્યું કે, ‘રાષ્ટ્રવાદીનો, પવાર સાહેબનો પ્રસ્તાવ ઓલરેડી તેમણે પહેલાં જ આપેલો હતો અને કેટલાક કારણોસર તેમાં વિલંબ થયો હતો. પરંતુ, મને એવું લાગે છે કે અત્યારે દેશના રાજકારણમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે… દેશ વેચાઈ રહ્યો છે, દેશની બંધારણીય વ્યવસ્થા ખતમ થઈ રહી છે. આવા સમયે મોટા પાયે થતું મતોનું વિભાજન રોકવા માટે, દેશ બચાવવા અને દેશનું બંધારણ બચાવવા માટે, જે કોઈ પણ સેક્યુલર-બિનસાંપ્રદાયિક વિચારધારા ધરાવતા પક્ષો છે, તે તમામે એકજૂથ થવું જોઈએ. આ પ્રકારની એક પ્રક્રિયા હવે રાષ્ટ્રીય સ્તરે શરૂ થઈ છે અને આ એ જ પ્રક્રિયાનો ભાગ છે કે તૃણમૂલ કોંગ્રેસ હોય કે પવાર સાહેબ હોય. આ તમામ લોકો હવે કોંગ્રેસની સાથે આવવા અને વિલય કરવાની માનસિકતા ધરાવે છે અને તે પ્રકારનો જ ભાવ હવે અમને જોવા મળી રહ્યો છે.’

જ્યારે નાના પટોલેને પૂછવામાં આવ્યું કે, શું કોંગ્રેસે પોતે આ પ્રાદેશિક પક્ષોને વિલયનો કોઈ સત્તાવાર પ્રસ્તાવ આપ્યો છે, અને શું આ પ્રસ્તાવ ઉદ્ધવ જૂથને પણ આપવામાં આવ્યો છે? તો તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘ના, ના… આ ઓફર અમે કોઈને નથી આપી, આ તમારો ખોટો અંદાજ છે. આ જે કંઈ પણ પરિસ્થિતિ છે, તેના પર પવાર સાહેબે પણ અને સુપ્રિયા તાઈએ પણ ઉલ્લેખ કર્યો છે. એટલે આ પ્રક્રિયા શરૂ છે અને સૌને લાગે છે કે હવે એકજૂથ થવું જોઈએ, મતોનું વિભાજન રોકવું જોઈએ અને દેશહિત માટે તેમજ દેશના બંધારણ માટે કોંગ્રેસની સાથે રહેવું જોઈએ, આ પ્રકારની ભૂમિકા હવે કેટલાય રાજ્ય સ્તરના પક્ષોમાં શરૂ થઈ ગઈ છે.’

શરદ પવારે વિલયની પ્રમુખ ભૂમિકા ભજવવી જોઈએ: સંજય રાઉત

બીજી તરફ, શિવસેના(UBT)ના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આ મહાવિલયને આખરી ઓપ આપવા માટે NCP(SP)ના અધ્યક્ષ શરદ પવારનું નામ આગળ કર્યું છે. સંજય રાઉતનું માનવું છે કે શરદ પવારે નાની પાર્ટીઓનું કોંગ્રેસમાં વિલય કરાવવામાં પ્રમુખ ભૂમિકા ભજવવી જોઈએ. ગુરૂવારે મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે, NCP(SP) અધ્યક્ષ શરદ પવારે કોંગ્રેસમાંથી અલગ થઈને અસ્તિત્વમાં આવેલી નાની પાર્ટીઓને ફરીથી કોંગ્રેસમાં વિલય કરાવવા માટે નેતૃત્વ કરવું જોઈએ.

સંજય રાઉતે એ વાત પર ભાર મૂક્યો કે, ‘એવા નેતાઓ છે જેઓ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારોનો ભાગ રહ્યા છે, અને તેઓ આજે પણ એ જ વિચારધારાનું સમર્થન કરે છે. જો આ કોંગ્રેસની વિચારધારા એકજૂથ થઈ જાય, તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક મોટો પડકાર ઊભો કરી દેશે.’

તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, ‘શરદ પવારે આ બાબતે પહેલ કરવી જોઈએ. રાઉતે એ પણ સ્પષ્ટ કર્યું કે દેશમાં ભાજપ સામે એક મજબૂત વિકલ્પ ઊભો કરવા માટે કોંગ્રેસે વધુ મજબૂત થવું પડશે, અને તેમાંથી નીકળેલી નાની પાર્ટીઓના નેતાઓએ સમયની ગંભીરતા સમજવી પડશે.’

જોકે સંજય રાઉતના આ નિવેદન પર શિવસેના શિંદે જૂથના મંત્રી સંજય શિરસાટે કહ્યું કે, ‘કોંગ્રેસ છોડનારાઓએ પાર્ટીમાં વાપસી કરવી જોઈએ કે નહીં, તે નક્કી કરનારા સંજય રાઉત કોઈ નથી, તેમણે પોતાની પાર્ટી પર ધ્યાન આપવું જોઈએ.’

પહેલાં વરસાદ તો આવવા દો, પછી જોઈશું કે છત્રી લેવી છે કે રેઈનકોટ: સુપ્રિયા સુલે

કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સંભવિત વિલયની ચર્ચાઓ વચ્ચે શરદ પવારના દીકરી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સોનિયા ગાંધી અને મમતા બેનર્જીની કથિત મુલાકાત અને વિલયની ઓફર પર વાત કરતાં સુપ્રિયા સુલેએ કહ્યું કે, હું તે બેઠકમાં હાજર નહોતી અને ન તો કોંગ્રેસે કે TMCએ મારી સાથે કોઈ માહિતી શેર કરી છે.

જોકે, સંજય રાઉતના સૂચનોનું સ્વાગત કરતા સુપ્રિયા સુલેએ કહ્યું કે, લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના મનની વાત કહેવાનો અધિકાર છે. સંજય રાઉત મારા ભાઈ સમાન છે અને તેમના સૂચનોનું સન્માન થવું જોઈએ.

મમતા બેનર્જી પ્રત્યે એકજૂથતા દર્શાવતા સુપ્રિયા સુલેએ કહ્યું કે, ‘મારી પાર્ટી TMC સાથે પૂરી તાકાતથી ઊભી છે અને હવે આ મામલો અદાલતમાં જશે, કારણ કે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. રાજકારણમાં કોઈ ક્યારેય ખતમ નથી થતું અને મમતા બેનર્જીની વિચારધારાને કોઈ સમાપ્ત ન કરી શકે.’

આ પણ વાંચો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુદ્ધ જેવી સ્થિતિ! ભારત સરકારનો આદેશ: 18,000 નાવિકો ‘હાઈ ઍલર્ટ’ પર

જ્યારે સુપ્રિયા સુલેને સીધા શબ્દોમાં પૂછવામાં આવ્યું કે, જો ભવિષ્યમાં કોંગ્રેસ તરફથી તમારી પાર્ટીને વિલયનો પ્રસ્તાવ મળે તો તમારું સ્ટેન્ડ શું હશે? આ સવાલ પર તેમણે પોતાના પરિચિત હળવા અંદાજમાં જવાબ આપતાં કહ્યું કે, ‘પહેલાં વરસાદ તો આવવા દો, પછી જોઈશું કે છત્રી લેવી છે કે રેઇનકોટ.’



Source link

Related Articles

Back to top button