राष्ट्रीय

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re Exam: NTA Denies Paper Leak Claims


NEET UG 2026 Re Exam : 21 જૂનના રોજ યોજાનારી NEET રી-એક્ઝામના પેપર લીકના દાવાઓને NTAએ જુઠ્ઠા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. NTAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ પ્રકારના દાવાઓ નકલ કરાવતી ગેંગ તરફથી કરવામાં આવી રહ્યા છે. દેશની સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEETની પુનઃપરીક્ષા 21 જૂને યોજાવાની છે. પરંતુ તે પહેલા જ કેટલાક લોકો તેના પેપર લીક થયાનો દાવો કરી રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. NTAએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, આ દાવાઓ તદ્દન ખોટા અને છેતરપિંડી કરનારા છે, જેનો એકમાત્ર હેતુ લોકોને ગેરમાર્ગે દોરવાનો છે.

પોતાના નિવેદનમાં NTAએ જણાવ્યું કે, ‘સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર NEET (UG) 2026ની રી-એક્ઝામનું પેપર ‘લીક’ થવા અથવા ‘વેચાતું’ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આવા તમામ દાવા ખોટા છે. આ પ્રકારના દાવાઓ નકલ કરાવતી ગેંગનું કામ છે, જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોની ચિંતાનો ફાયદો ઉઠાવે છે. તેમનો હેતુ નકલી પેપર વેચીને પૈસા પડાવવાનો છે.’

NTAએ નિવેદનમાં શું-શું કહ્યું?

NTAએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે, ‘પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા સંપૂર્ણપણે જળવાઈ રહી છે, અને તમામ ઉમેદવારો માટે નિષ્પક્ષ તેમજ સુરક્ષિત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. NTA આવા ખોટા કામ કરનારી ચેનલો, એકાઉન્ટ્સ અને કન્ટેન્ટની ઓળખ કરી રહ્યું છે, અને તેમને સંબંધિત પ્લેટફોર્મ તેમજ સાયબર ક્રાઈમ સત્તાવાળાઓને રિપોર્ટ કરી રહ્યું છે, જેથી તેમને તાત્કાલિક હટાવી શકાય અને કાયદેસરની કાર્યવાહી કરી શકાય. NTA કાનૂની એજન્સીઓ અને સાયબર ક્રાઈમ સત્તાવાળાઓ પાસે ઔપચારિક ફરિયાદ નોંધાવી રહ્યું છે. આવું છેતરપિંડીવાળું કન્ટેન્ટ બનાવવું, ફેલાવવું કે આગળ ફોરવર્ડ કરવું અને વિદ્યાર્થીઓને છેતરવાનો પ્રયાસ કરવો એ એક ગંભીર દંડનીય ગુનો છે, અને આ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારો અને વાલીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ આવા કોઈ પણ મેસેજ પર ધ્યાન ન આપે, પૈસા ન ચૂકવે કે તેને આગળ ફોરવર્ડ ન કરે અને આવી છેતરપિંડીભરી વાતોની જાળમાં ન આવે.’

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ 2 - image

21 જૂને યોજાશે રી-એક્ઝામ

NEETની પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી. તેના થોડા દિવસો બાદ જ પેપર લીકનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ NTAએ 12 મેના રોજ પરીક્ષા રદ કરી દીધી હતી. આ નિર્ણયની અસર NEETની પરીક્ષા આપનારા 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પર પડી હતી. આ પેપર લીકની તપાસ હાલ CBI કરી રહી છે, અને અત્યાર સુધીમાં ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. હવે 21 જૂને NEET ની રી-એક્ઝામ યોજાશે.



Source link

Related Articles

Back to top button