સિંગાપુરમાં ચાલી રહેલાં ‘શાંગ્રીલા-ડાયલોગ’ સમયે જાપાનના સંરક્ષણ મંત્રી કોઈઝૂમી ચીન ઉપર તૂટી પડયા | Jap Defense Minister Koizumi lashes out China at ongoing ‘Shangri La Dialogue’ in Singapore

![]()
જાપાનનાં વડાપ્રધાન સાને તાકાઈચી પૂરાં તાઈવાન તરફી છે
ચીનનું સ્પષ્ટ નામ લીધા સિવાય કહ્યું, એક દેશ પાસે પરમાણુ શસ્ત્રોનો મોટો જથ્થો છે જે વધાર્યા કરે છે : વ્યૂહાત્મક બોમ્બમારો પણ છે
સિંગાપુર: જાપાનના સંરક્ષણ મંત્રી અહીં યોજાઈ રહેલા ”શાંગ્રીલા-ડાયલોગ” સમયે ચીન ઉપર રીતસર તૂટી જ પડયા હતા. સાથે ચીનનું સ્પષ્ટ નામ લીધા સિવાય કહ્યું એક દેશ પાસે પરમાણુ શસ્ત્રોનો વિશાળ જથ્થો છે, જે તે વધાર્યા જ કરે છે. સાથે વ્યૂહાત્મક બોમ્બરો પણ છે. આ પરિસ્થિતિમાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાને જાળવી રાખેલી શાંતિમય નીતિનો અમારે ત્યાગ કરવો જ પડયો છે. અને સંરક્ષણ બજેટ નિરૂપાયે વધારવું પડયું છે. સાથે અમેરિકાના સાથમાં સંરક્ષણ તાકાત પણ વધારવી પડી છે.
ઉલ્લેખનીય છે કે જાપાનનાં વડાપ્રધાન સાને તાકાઈચી સ્પષ્ટ રીતે તાઈવાન તરફી છે. તેઓએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો તાઈવાન ઉપર આક્રમણ થશે તો જાપાન તેની સહાયે જશે જ.
બીજી તરફ ચીને જાપાન ઉપર આક્ષેપો કરતાં કહ્યું હતું કે જાપાન બેફામ રીતે ન્યૂ-મિલીટરિઝમ (નવાં લશ્કરવાદ) તરફ વળી રહ્યું છે. તે આ વિસ્તારમાં અસ્થિરતા ઊભી કરશે.
ચીનના આક્ષેપના જવાબમાં કોઈઝૂમીએ કહ્યું હતું કે આથી વધુ મોટું જુઠ હોઈ જ ન શકે. જરા વિચારો, એક દેશ કે જેની પાસે પરમાણુ શસ્ત્રોનો વિશાળ જથ્થો છે. વ્યૂહાત્મક બોમ્બરો છે. તે બીજાઓ ઉપર આક્ષેપ કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જાપાન પાસે આવાં કોઈ શસ્ત્રો નથી. છતાં તેની ઉપર ન્યૂ-મિલીટરીઝમનું લેબલ લગાડવામાં આવે છે તે વિચિત્ર નથી ?
તે સર્વવિદિત છે કે ચીન પાસે સેંકડો પરમાણુ શસ્ત્રો હોવાનું માનવામાં આવે છે. ચીન પાસે વ્યૂહાત્મક બોમ્બર્સ પણ છે. ચીનની પારદર્શિતા વીનાની આ કાર્યવાહી જાપાન માટે ચિંતાનો વિષય છે.



