રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ લિસ્ટ’ | siddaramaiah meets rahul gandhi kharge delhi demands

![]()
Siddaramaiah Delhi Visit: કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના બીજા જ દિવસે સિદ્ધારમૈયાએ શુક્રવારે દિલ્હીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે પક્ષના હાઈકમાન્ડ સમક્ષ પોતાની માગણીઓની એક યાદી રજૂ કરી છે. આ યાદીમાં ડી.કે. શિવકુમારના નેતૃત્વવાળી નવી કેબિનેટમાં તેમના પુત્ર યતીન્દ્ર માટે મહત્વના મંત્રાલયની માગ કરવામાં આવી છે.
રાજ્યસભા-MLC નામો અને પુત્ર માટે મંત્રીપદની માગ
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયાએ રાજ્યસભા અને MLC નિમણૂકો માટેના નામોની યાદી સોંપવાની સાથે કેબિનેટ વિભાગો માટે પોતાની પસંદગીઓ પણ વ્યક્ત કરી છે.તેમણે પોતાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયા માટે તબીબી શિક્ષણ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રાલય ફાળવવા માટે દબાણ કર્યું છે. વૈકલ્પિક રીતે, તેમણે ઉદ્યોગ અથવા જળ સંસાધન મંત્રાલયની પણ માગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જળ સંસાધન મંત્રાલય અગાઉ ડી.કે. શિવકુમાર સંભાળતા હતા.
રાજ્યસભાની ઓફર ઠુકરાવી, કર્ણાટકના રાજકારણમાં જ રહેશે
ડી.કે. શિવકુમારને સત્તા સોંપવાનો મામલો શાંત પડ્યા બાદ, હાઈકમાન્ડ દ્વારા સિદ્ધારમૈયાને રાજ્યસભાની બેઠક ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો છે. તેઓ કર્ણાટકના સ્થાનિક રાજકારણમાં જ રહેવા માંગે છે. ગુરુવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના ટૂંક સમય બાદ સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, “હું સક્રિય રાજકારણમાં જ રહીશ. મને રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ રસ નથી. મને રાજ્યસભા વિશે પણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી છે. હું કર્ણાટકના રાજકારણમાં જ રહેવા માંગુ છું.”
સિદ્ધારમૈયાનો દબદબો અને પછાત વર્ગના નેતા તરીકેનો વારસો
સિદ્ધારમૈયા કર્ણાટકના સૌથી લાંબો સમય સેવા આપનારા મુખ્યમંત્રી છે. રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા નકારીને રાજ્યમાં જ રહેવાના તેમના નિર્ણય અને અન્ય મંત્રીઓ પર તેમના પ્રભાવ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યના રાજકારણમાં તેમનો દબદબો હજુ પણ અકબંધ છે. સૂત્રો અનુસાર જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયા કેબિનેટમાં PWD મંત્રી રહી ચૂકકેલા સતીશ જારકીહોલીને KPCC ના પ્રમુખ પદની ઓફર કરી, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ બાબતે પહેલા સિદ્ધારમૈયા સાથે પરામર્શ કરશે.
પુત્ર માટે વારસો
પછાત વર્ગ કલ્યાણ મંત્રાલય અગાઉ સિદ્ધારમૈયાના નજીકના સાથી તંગદગી શિવરાજ સંગપ્પા પાસે હતું. સિદ્ધારમૈયા હંમેશા પોતાને રાજ્યના સૌથી મોટા પછાત વર્ગના નેતા તરીકે પ્રોજેક્ટ કરતા આવ્યા છે અને છેલ્લા નવ વર્ષમાં તેમણે બે જ્ઞાતિ સર્વેક્ષણો પણ કરાવ્યા છે. આથી, તેઓ પોતાના પુત્ર યતીન્દ્ર માટે આ વિભાગ માંગીને પોતાનો રાજકીય વારસો જાળવી રાખવા માંગે છે તે સ્વાભાવિક છે.
જનતાનો વિરોધ
સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તે જ ક્ષણે રાજ્યના સૌથી પ્રભાવશાળી OBC નેતા તરીકે તેમનું કદ ફરી સાબિત થયું હતું. તેમના રાજીનામાના વિરોધમાં અહિંડા બ્લોકના સભ્યો, લઘુમતીઓ, પછાત વર્ગો અને દલિતો આ નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવા માટે અસંખ્ય શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.


