TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહોંચ્યા | TMC Councillors Mass Resignation West Bengal Municipal Crisis Mamata Banerjee Breaks Silence

![]()
TMC Councillors Mass Resignation : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પોતાના અસ્તિત્વના સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીમાં માત્ર મોટા નેતાઓ જ નહીં, પરંતુ પાયાના સ્તરે નગરપાલિકાઓનો ગઢ પણ ધરાશાયી થતો જોવા મળી રહ્યો છે. હાલીશહર, ભાટપાડા અને કાંથી સહિતની અનેક નગરપાલિકાઓના 100 થી વધુ કાઉન્સિલરોએ સામૂહિક રાજીનામા આપી દેતા ટીએમસીને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે.
ઉત્તર 24 પરગણાથી લઈને કાંથી સુધી રાજીનામાની લહેર
ઉત્તર 24 પરગણાથી લઈને કાંથી (Contai) સુધી, બંગાળની વિવિધ નગરપાલિકાઓમાં 100 થી વધુ કાઉન્સિલરોએ સામૂહિક રીતે રાજીનામા સોંપી દીધા છે. આ આકસ્મિક બળવાને પગલે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીએ એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જે લોકો મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે નથી રહી શકતા, તે પોતાનો રસ્તો પસંદ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે.
નગરપાલિકાઓમાં મોટો બળવો
ટીએમસી માટે સૌથી મોટો ઝટકો ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી આવ્યો છે, જ્યાં કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા આપ્યા છે. હાલીશહર નગરપાલિકાના 23 માંથી 16 કાઉન્સિલરોએ એકસાથે રાજીનામું આપી દીધું. તેના બીજા જ દિવસે ભાટપાડામાં ચેરમેન રેબા સાહા સહિત ૩૦ કાઉન્સિલરોએ પાર્ટી છોડી દીધી. તો કાંચરાપાડામાં 14, ગારુલિયામાં 18 અને ઉત્તર બેરકપુર નગરપાલિકામાં 15 કાઉન્સિલરોએ બળવો કર્યો છે. તેવીજ રીત ટીએમસીનો ગઢ ગણાતા ડાયમંડ હાર્બરમાં પણ 16 માંથી 8 કાઉન્સિલરોએ પાર્ટી સાથેથી છેડો ફાડ્યો છે. અનેક નગરપાલિકાઓમાં ચૂંટાયેલા બોર્ડ હવે અલ્પમતમાં આવી ગયા છે, જેના કારણે હવે ત્યાં રાજ્ય સરકાર દ્વારા વહીવટદારો (Administrators) નિમણૂક કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
મમતાનો કડક સંદેશ: શિસ્ત નહીંતર વિદાય
બળવાખોર કાઉન્સિલરો અને આંતરિક જૂથબંધી વચ્ચે મમતા બેનર્જીએ કાઉન્સિલરોની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે બેઠકમાં એકતા જાળવવાની અપીલ કરતા કહ્યું કે, ‘મુશ્કેલ સમયમાં પાર્ટીના કાર્યકરોએ એકજૂટ રહેવું જોઈએ. જે લોકો સંકટના સમયે સંગઠન છોડવા માંગે છે, તેઓ નિર્ણય લેવા માટે મુક્ત છે.’
કોલકાતા કોર્પોરેશન (KMC) માં પણ તણાવ, અભિષેક બેનર્જીને નોટિસ
કોલકાતા નગર નિગમ (KMC) માં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે. એવા અહેવાલો છે કે કેએમસીના બિલ્ડિંગ અને મૂલ્યાંકન વિભાગે અભિષેક બેનર્જી સાથે જોડાયેલી મિલકતોને નોટિસો ફટકારી છે. બીજી તરફ, મેયર ફિરહાદ હકીમે મ્યુનિસિપલ કમિશનર સ્મિતા પાંડે દ્વારા બોલાવવામાં આવેલી માસિક બેઠક (House Meeting) અચાનક રદ થવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. મેયર અને કાઉન્સિલરોએ આરોપ લગાવ્યો કે હાઉસ મીટિંગના રૂમને તાળું મારી દેવામાં આવ્યું હતું, જેના પછી હકીમે કાઉન્સિલર્સ ક્લબ રૂમમાં જ પ્રતીકાત્મક બેઠક યોજી હતી. ભાજપના કાઉન્સિલર સજલ ઘોષે આના પર પલટવાર કરતા કહ્યું કે, ‘ટીએમસી હજુ પણ પોતાની ‘જમીનદારી’ માનસિકતામાંથી બહાર આવી નથી.’
કાઉન્સિલરો કેમ છોડી રહ્યા છે TMC?
રાજીનામું આપનારા અનેક કાઉન્સિલરોએ છુપા અવાજે સ્વીકાર્યું છે કે સ્થાનિક સ્તરે હવે તેમની પાસે કોઈ વાસ્તવિક સત્તા બચી ન હતી અને નિર્ણય લેવાની સ્વતંત્રતા ખતમ થઈ ગઈ હતી. આ ઉપરાંત, રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ કાઉન્સિલરોને ડર છે કે તેમના અગાઉના કાર્યો (ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામ અને ભ્રષ્ટાચાર) ની તપાસ શરૂ થઈ શકે છે, જેનાથી બચવા માટે તેઓ રાજીનામા આપી રહ્યા છે.
ભાજપનો પલટવાર: અરાજકતા માટે TMC જવાબદાર
રાજ્યના મંત્રી અગ્નિમિત્રા પૌલે આ પરિસ્થિતિને ટીએમસીની ઘોર બેજવાબદારી ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘કાઉન્સિલરોની ગેરહાજરી અને સામૂહિક રાજીનામાને કારણે બંગાળની નાગરિક સેવાઓ ઠપ થઈ ગઈ છે. ટીએમસીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતા પ્રત્યેની પોતાની ફરજો નિભાવવાને બદલે માત્ર પોતાની રાજકીય સ્થિતિ બચાવવા લાગેલા છે.’



