વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટી રાહત: ઈરાનનો નિર્ણય, આગામી 30 દિવસમાં ખુલી જશે હોર્મુઝની ખાડી | strait of hormuz to reopen iran us deal oil supply benefits india

![]()
Strait of Hormuz Reopening 2026: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરમાં ઈંધણની કટોકટી સર્જનારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે ઈરાને એક મોટો યુ-ટર્ન લીધો છે, જેનાથી ભારત સહિત સમગ્ર દુનિયાને મોટી આર્થિક રાહત મળશે.
હોર્મુઝ મામલે સૌથી મોટા રાહતના સમાચાર
વૈશ્વિક તેલ સપ્લાયની લાઈફલાઈન ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાન તરફથી એક ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. ઈરાન સરકારના સત્તાવાર નિવેદન અનુસાર, આગામી 30 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલાંની જેમ જ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે. આ દરિયાઈ માર્ગેથી હવે કોઈ પણ પ્રકારના અવરોધ વિના તમામ દેશોના જહાજો સરળતાથી અવરજવર કરી શકશે. યુદ્ધના કારણે દુનિયાભરમાં સર્જાયેલા તેલના સંકટ વચ્ચે આ સમાચારને વૈશ્વિક બજાર માટે એક સંજીવની સમાન માનવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી ધડાકો
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે લખ્યું છે કે, અમેરિકા, ઈરાન અને આ ક્ષેત્રના અન્ય દેશો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી લગભગ નક્કી થઈ ચૂકી છે. આ ડીલ હેઠળ હોર્મુઝના દરિયાઈ માર્ગને ફરીથી સંપૂર્ણપણે ખોલવામાં આવશે અને ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.
પાકિસ્તાન અને બ્રિટનની ભૂમિકા પણ આવી સામે
આ વૈશ્વિક સમજૂતી પાછળ અન્ય દેશોની મધ્યસ્થતા પણ કામ કરી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું છે કે તેમના દેશે ઈરાનના નેતાઓ સાથે ખૂબ જ સકારાત્મક વાતચીત કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી રાઉન્ડની બેઠક ખૂબ જ ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મરે પણ આ પ્રગતિને આવકારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દુનિયાને અત્યારે એક એવા કરારની જરૂર છે જે આ યુદ્ધનો અંત લાવે અને હોર્મુઝના માર્ગને કાયમ માટે સુરક્ષિત બનાવે.
ભારતને શું થશે મોટો ફાયદો?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલાંની જેમ શરૂ થવાથી સૌથી વધુ રાહત ભારતને મળશે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરે છે, જેનો એક બહુ મોટો હિસ્સો આ હોર્મુઝના દરિયાઈ માર્ગેથી જ ભારત આવે છે. યુદ્ધના ડરને કારણે અત્યાર સુધી જહાજો આ ટૂંકો માર્ગ ટાળીને લાંબા રૂટ પરથી ફરીને આવતા હતા. જેના કારણે દરિયાઈ વીમો અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ખૂબ વધી ગયો હતો. હવે આ રસ્તો સુરક્ષિત થતાં જ માલસામાનની હેરફેરનો ખર્ચ ઘટશે, જે સીધો જ ભારતના આયાત-નિકાસ વેપારને બૂસ્ટ આપશે અને દેશમાં તેલના ભાવ સ્થિર રાખવામાં મદદ કરશે.
સમગ્ર દુનિયા પર આની શું અસર થશે?
જો આ સમજૂતી સત્તાવાર રીતે લાગુ થઈ જશે, તો વિશ્વભરમાં તેલ અને ગેસની સપ્લાય ચેઈન ફરી મજબૂત બનશે. ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવો પર બ્રેક વાગશે અને વૈશ્વિક બજારમાં સ્થિરતા આવશે, જેનાથી મોંઘવારીનો સામનો કરી રહેલા તમામ દેશોના અર્થતંત્રને નવી ઓક્સિજન મળશે.



