સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar import purity raises duty gold silver

![]()
Govt Restricts Silver Bar Import: પશ્ચિમ એશિયામાં સતત તણાવની પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સોના-ચાંદી અંગે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, સરકારે ચોક્કસ કેટેગરીના ચાંદીના બારની આયાતના નિયમો કડક કર્યા છે.
પરમિટ વગર સિલ્વર બારની આયાત નહીં થઈ શકે
હવે 99.9% શુદ્ધતા ધરાવતી ચાંદીને ‘ફ્રી’ કેટેગરીમાંથી હટાવીને ‘રેસ્ટ્રિક્ટેડ’ (નિયંત્રિત) કેટેગરીમાં મૂકી દેવામાં આવી છે. આ સિવાય અન્ય સિલ્વર બારને પણ આ જ નિયંત્રિત શ્રેણીમાં ધકેલી દેવાયા છે, જેનો સીધો મતલબ એ છે કે હવે સરકારી પરમિટ વગર તેની આયાત કરી શકાશે નહીં.
સોનાની આયાતના નિયમો પણ કડક કરાયા
સરકારે માત્ર ચાંદી જ નહીં, પરંતુ સોનાની આયાત પર પણ અંકુશ લગાવવાનું શરૂ કરી દીધું છે. એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ હવે સોનાની આયાત પર મહત્તમ 100 કિલોગ્રામની મર્યાદા લાદવામાં આવી છે. આ સ્કીમ હેઠળ જ્વેલરી નિકાસકારોને ઝીરો ડ્યુટી પર કાચો માલ આયાત કરવાની મંજૂરી મળતી હોય છે. અગાઉ આ સ્કીમ હેઠળ સોનું લાવવાની કોઈ સીમા નક્કી નહોતી, પરંતુ હવે સરકારે ગોલ્ડ આયાત માટે એડવાન્સ ઓથોરાઈઝેશન ઈશ્યુ કરવા અને તેના મોનિટરિંગના નિયમો ખૂબ જ કડક બનાવી દીધા છે.
હાલમાં જ સોના-ચાંદી પર વધારવામાં આવી હતી આયાત ડ્યુટી
આટલું જ નહીં હાલમાં જ સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો ઝીંકી દીધો છે. સોનું અને ચાંદી પર આયાત ડ્યુટી અગાઉ માત્ર 6% હતી, જેને સીધી વધારીને હવે 15% કરી દેવામાં આવી છે. આ નવો નિયમ 1 મે થી જ અમલમાં આવી ગયો છે. પ્લેટિનમ પર લાગતી આયાત ડ્યુટી પણ 6.4% થી વધારીને હવે 15.4% કરી દેવાઈ છે.
નોંધનીય છે કે હાલમાં જ વડાપ્રધાન મોદીએ પણ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું-ચાંદીની ખરીદી ન કરવા અપીલ કરી હતી.



