PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s Fuel Saving Appeal states take Strict Action to Tackle Energy Crisis

![]()
PM Modi’s Fuel Saving Appeal: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે ભાજપ શાસિત રાજ્યોમાં કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોએ સરકારી સ્તરે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે મહત્ત્વના નિર્ણયો લીધા છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવનારા કોઈ પણ મોટા આર્થિક કે ઊર્જા સંકટનો સામનો કરવાનો છે.
યુપી અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીઓના કાફલામાં મોટો ઘટાડો
ઈંધણ બચાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટો દાખલો બેસાડ્યો છે. તેમણે મુખ્યમંત્રી અને મંત્રીઓના કાફલામાં વપરાતી ગાડીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ મુસાફરી ઘટાડવા માટે સરકારી બેઠકો ઓનલાઇન યોજવા અને અઠવાડિયામાં બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ કરવા જેવી સલાહ પણ આપવામાં આવી છે. બીજી તરફ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ પોતાના કાફલામાંથી વધારાના વાહનો હટાવી દીધા છે અને અધિકારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સૂચના આપી છે.
મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં ‘સાદગી અને બચત’ પર ભાર
મધ્ય પ્રદેશમાં પણ મુખ્યમંત્રી મોહન યાદવે રાષ્ટ્રહિતમાં ઈંધણ બચાવવા માટે પોતાના કાફલાની ગાડીઓની સંખ્યા 13થી ઘટાડીને 8 કરી દીધી છે. તેમણે નવનિયુક્ત પદાધિકારીઓને સાદગીથી કામ કરવા અને જનતાને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા વિનંતી કરી છે. દિલ્હીમાં પણ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સરકારી કામકાજ માટે વાહનોની સંખ્યા સીમિત કરી છે અને મંત્રીઓ તથા ધારાસભ્યોને કારપૂલિંગ તેમજ મેટ્રો-બસ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.
ગુજરાતના ડેપ્યુટી સીએમનો વિદેશ પ્રવાસ રદ
ગુજરાતમાં પણ પીએમની આ મુહિમની ગંભીર અસર જોવા મળી છે. ઈંધણ અને સરકારી ખર્ચમાં બચત કરવાના હેતુથી ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો નિર્ધારિત અમેરિકા પ્રવાસ રદ કરીને એક નવી મિસાલ રજૂ કરી છે. આ નિર્ણયને સરકારની ઊર્જા બચત પ્રત્યેની ગંભીરતા તરીકે જોવામાં આવી રહ્યો છે.
ભવિષ્યની વ્યૂહનીતિ: ‘નો વ્હીકલ ડે’ અને ઇલેક્ટ્રિક વાહનો પર જોર
આગામી સમયમાં ઈંધણની વપરાશ હજુ ઘટાડવા માટે રાજ્યો દ્વારા ‘નો વ્હીકલ ડે’ જેવા સૂચનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક વાહનો, સીએનજી બસો અને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઓફિસના સમયમાં ફેરફાર કરવાના સૂચનો પણ સામે આવ્યા છે જેથી ટ્રાફિક જામ ઓછો થાય અને બિનજરૂરી ઈંધણ ન બળે. સરકારનું માનવું છે કે જ્યારે દરેક નાગરિક નાના-નાના પગલાં ભરશે ત્યારે જ આ મોટા ઊર્જા સંકટ સામે વિજય મેળવી શકાશે.



