દેશના કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, જાણો ભૂતકાળમાં NEET પેપર લીક કરનારા આરોપીઓ હાલ ક્યાં છે! | NEET Paper Leak History A Chronology of Crisis

![]()
NEET Paper Leak: A Chronology of Crisis: નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં પેપર લીક અને ગેરરીતિઓની સમસ્યા નવી નથી. 2026 પહેલા પણ દેશમાં આવી ઘટનાઓ બની ચૂકી છે, જેમાં 2024નો વિવાદ સૌથી મોટો હતો. દેશમાં છેલ્લા 7 વર્ષમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ અંદાજે 70 જેટલા પેપર લીક થયા છે, જેના કારણે કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે.
NEET UG 2024 પેપર લીક
ઘટના: બિહારના પટણા અને ઝારખંડના હજારીબાગમાં નીટ યુજીનું પેપર લીક થયું હતું. આ અત્યાર સુધીનો સૌથી મોટો નીટ પેપર લીક વિવાદ છે.
– સુપ્રીમ કોર્ટનો ચુકાદો: જૂન 2024માં કોર્ટે પેપર લીક થયાનું સ્વીકાર્યું, પરંતુ સમગ્ર પરીક્ષા ફરીથી લેવાનો (Re-NEET) આદેશ આપવાનો ઇનકાર કર્યો. કોર્ટનું માનવું હતું કે પેપર લીક ‘વ્યવસ્થિત’ (systemic) નહોતું, એટલે કે તે આખા દેશમાં ફેલાયેલું નહોતું પણ પટણા અને હજારીબાગ જેવા ચોક્કસ કેન્દ્રો પૂરતું મર્યાદિત હતું.
– માર્ક્સનો વિવાદ: એ પરીક્ષામાં 67 વિદ્યાર્થીને પૂરેપૂરા 720 માર્ક્સ મળ્યા હતા અને ગ્રેસ માર્ક્સને લઈને પણ મોટો વિવાદ થયો હતો.
આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી
ધરપકડ અને ચાર્જશીટ: CBI એ અત્યાર સુધીમાં આશરે 49 લોકોની ધરપકડ કરી છે, જે પૈકી 45 સામે 5 અલગ-અલગ ચાર્જશીટ (આરોપનામું) દાખલ કરાઈ છે.
જ્યુડિશિયલ કસ્ટડી: ચાર્જશીટમાં જેમનો ઉલ્લેખ છે, તે તમામ 45 આરોપી હાલમાં જેલમાં છે. તેમની જામીન અરજી કોર્ટે વારંવાર નકારી છે કારણ કે, આ ગુનાની ગંભીરતા વધુ છે.
મુખ્ય સૂત્રધારો: આ કૌભાંડના માસ્ટર માઇન્ડ પંકજ કુમાર (જેણે પેપર ચોર્યું હતું) અને હજારીબાગની ઓએસિસ સ્કૂલના આચાર્ય અહસાનુલ હક અને ઉપ આચાર્ય ઇમ્તિયાઝ આલમ પણ જેલમાં છે. તેમની સામે પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરાઈ છે.
તપાસ ક્યાં પહોંચી?
પટણા સ્પેશિયલ કોર્ટ: તમામ ચાર્જશીટ પટણાની વિશેષ CBI કોર્ટમાં રજૂ કરાઈ છે, જ્યાં ટૂંક સમયમાં સુનાવણી શરૂ થવાની શક્યતા છે.
– લાભાર્થીઓની ઓળખ: CBI એ એવા 155 વિદ્યાર્થીની ઓળખ કરી છે, જેમણે લીક પેપર માટે પૈસા ચૂકવ્યા હતા. આ વિદ્યાર્થીઓના નામ નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સોંપાયા છે, જેથી તેમના એડમિશન રદ કે બ્લેક લિસ્ટ સહિતની કાર્યવાહી થઈ શકે.
– ચોરીની મોડસ ઓપરેન્ડી: તપાસમાં પુષ્ટિ થઈ છે કે પેપર હજારીબાગની સ્કૂલના કંટ્રોલ રૂમમાંથી પંકજ કુમારે સવારે જ પેપર ચોર્યું હતું, પછી તેના ફોટો પાડ્યા હતા અને તેને ફરી સીલ કરી દીધું હતું.
હતું.
પેપર લીક વિરોધી કાયદો લાગુ કરાયો
ભારત સરકારે પેપર લીક રોકવા માટે જૂન 2024 માં પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ (પ્રિવેન્શન ઓફ અનફેર મિન્સ) એક્ટ 2024′ લાગુ કર્યો છે, જેની મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે.
– જેલની સજા: પેપર લીક કરનારા અથવા ગેરરીતિ કરનારા ગુનેગારોને 3 થી 5 વર્ષની જેલની સજા. જો આ સંગઠિત ગુનો (Organized Crime) હોય, તો 5 થી 10 વર્ષની જેલની જોગવાઈ.
– મોટો આર્થિક દંડ: ગુનેગારોને ₹ 1 કરોડ સુધીનો દંડ.
– સંસ્થાઓ પર પ્રતિબંધ: જો કોઈ પરીક્ષા લેતી સંસ્થા કે સર્વિસ પ્રોવાઈડર (જેમ કે કોમ્પ્યુટર સેન્ટર) આમાં સામેલ હોય, તો તેમને પરીક્ષાના ખર્ચની વસૂલાત સાથે 4 વર્ષ માટે પ્રતિબંધિત કરી શકાય છે.
– બિન-જામીનપાત્ર ગુનો: આ કાયદા હેઠળના તમામ ગુના ‘કોગ્નિઝેબલ’ અને ‘નોન-બેઇલેબલ’ (બિન-જામીનપાત્ર) છે, એટલે કે પોલીસ તરત ધરપકડ કરી શકે છે અને જામીન મળવા મુશ્કેલ હોય છે.
આ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષા માફિયા અને સંગઠિત ટોળકીઓને રોકવાનો છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરે છે.
NEET UG 2021 પેપર લીક
ઘટનાઃ 12 સપ્ટેમ્બર 2021ના રોજ જયપુરના કનકપુરા વિસ્તારની રાજસ્થાન ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (RIET) નામના પરીક્ષા કેન્દ્ર પર નીટ યુજીનું પેપર લીક થયું.
કેવી રીતે થયું સમગ્ર કૌભાંડ?
– પરીક્ષા ચાલુ થયાના અડધો કલાકમાં જ (બપોરે 2:30 વાગ્યે) કેન્દ્રના વહીવટી એકમના ઇન્ચાર્જ મુકેશે પેપરનો ફોટો પાડી વોટ્સએપ દ્વારા બહાર મોકલ્યો.
– સોલ્વર્સની ભૂમિકા: આ ફોટો સિકરના બે સોલ્વર્સને મોકલાયો, જેમણે આન્સર-કી તૈયાર કરીને પાછી મોકલી હતી.
– સોદાની રકમ: ધનેશ્વરી કુમારી નામની એક વિદ્યાર્થીની માટે આ કામ કરાયું હતું, જે માટે ₹36 લાખ ભાવ નક્કી કરાયો હતો. આ માટે ₹10 લાખ એડવાન્સ અપાયા હતા.
આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી
– ધરપકડ અને ચાર્જશીટઃ આ કેસમાં જયપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 8 લોકોની ધરપકડ કરી હતી. જેમાં 18 વર્ષીય ધનેશ્વરી કુમારી, એક્ઝામ સેન્ટરનો એડમિન ઇન્ચાર્જ મુકેશ, કોચિંગ સેન્ટરનો ડાયરેક્ટર અને માસ્ટર માઇન્ડ નવરત્ન સ્વામી, પરીક્ષા ખંડનો સુપરવાઇઝર રામ સિંહ તેમજ સુનીલ યાદવ અને અનિલ નામના વચેટિયા સામલે છે.
– આ લોકો પાસેથી પોલીસે રોકડ ₹ 10 લાખ અને ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
તપાસ ક્યાં પહોંચી?
સુપ્રીમ કોર્ટનો ચુકાદો: 4 ઓક્ટોબર 2021 રોજ સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવાની અરજી ફગાવી દીધી. કોર્ટે અવલોકન કર્યું કે આ ઘટના સ્થાનિક સ્તરે થયેલી છેતરપિંડી હતી અને તેના કારણે લાખો વિદ્યાર્થીઓ માટે આખી પરીક્ષા રદ કરી શકાય નહીં.
– NTA નું સ્ટેન્ડ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પણ આ ઘટનાને ‘વ્યાપક પેપર લીક’ માનવાનો ઇનકાર કર્યો અને તેને માત્ર એક વ્યક્તિગત છેતરપિંડીનો કિસ્સો ગણાવ્યો.
– મુખ્ય આરોપીઓ અને સેન્ટર ઇન્ચાર્જ હાલમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.
– સંડોવાયેલા વિદ્યાર્થીને બ્લેકલિસ્ટ કરી ભવિષ્યની પરીક્ષાઓ આપવા પર પ્રતિબંધ મૂકાયો.
– કેસ હજુ પણ કોર્ટમાં છે અને આરોપીઓ જામીન મેળવવા પ્રયત્નશીલ છે, પરંતુ તપાસ એજન્સીઓ દ્વારા ચાર્જશીટ રજૂ કરાઈ છે.
AIPMT 2015 પેપર લીક
ઘટના: નીટ અમલમાં આવી તે પહેલા AIPMT (ઑલ ઈન્ડિયા પ્રિ-મેડિકલ ટેસ્ટ) લેવાતી હતી. 2015માં હરિયાણામાં તેનું પેપર લીક થયું અને આન્સર-કી વોટ્સએપ પર વાઇરલ થઈ.
કેવી રીતે થયું સમગ્ર કૌભાંડ?
આ કૌભાંડ ખૂબ જ હાઈ-ટેક હતું. આરોપીઓએ કાપડમાં સીવેલા બ્લૂ ટૂથ ડિવાઇસ અને માઇક્રો ઇયર ફોનની મદદથી પરીક્ષા હોલમાં બેઠેલા વિદ્યાર્થીઓને જવાબો લખાવ્યા હતા. એક-એક વિદ્યાર્થી પાસેથી ₹15થી 20 લાખ વસૂલાયા હતા.
આ પણ વાંચો: NEET UG પરીક્ષા રદ: ‘ગેસ પેપર’માંથી બેઠા પૂછાયા હતા 120થી વધુ પ્રશ્નો, CBI તપાસનો આદેશ
આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી
– ધરપકડ અને ચાર્જશીટઃ હરિયાણા પોલીસે આ કૌભાંડના માસ્ટર માઇન્ડ રૂપ સિંહ ડાંગી અને તેની સાથે જોડાયેલા ડોક્ટરો અને એમબીબીએસ વિદ્યાર્થીઓની ગેંગને ઝડપી પાડી હતી. આ લોકો સામે છેતરપિંડી, ગુનાઇત કાવતરું અને આઈટી એક્ટ હેઠળ ગંભીર ગુના નોંધવામાં આવ્યા હતા.
– મિલકત જપ્તી: આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પેપર ફોડીને આરોપીઓએ કરોડોની કમાણી કરી હતી. તેથી પોલીસ અને ઇડીએ મુખ્ય આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાનું શરૂ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: આ પરીક્ષાની આન્સર કી વોટ્સએપ પર વાઇરલ થતા સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરી ફરીથી લેવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે ‘જો એક પણ વિદ્યાર્થી ખોટી રીતે એડમિશન મેળવે, તો તે પરીક્ષાની પવિત્રતાને નુકસાન પહોંચાડે છે.’
સરકારની સક્રિયતા: આ ઘટના બાદ જ સરકારે પરીક્ષા પદ્ધતિ વધુ કડક બનાવવાની તૈયારી શરૂ કરી હતી.
– વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ: આ પેપરનો લાભ લેનારા 44 વિદ્યાર્થીની ઓળખ થઈ હતી, જેમના પર કોઈ પણ તબીબી પરીક્ષા આપવા પર કાયમી પ્રતિબંધ મૂકાયો.
તપાસ ક્યાં પહોંચી?
કાયદાકીય પ્રક્રિયા: આ કેસ હજુ પણ હરિયાણાની સ્થાનિક અદાલતોમાં સુનાવણીના તબક્કે છે. કોર્ટ કાર્યવાહીની ધીમી ગતિને કારણે ઘણાં આરોપીઓ હાલ જામીન પર બહાર છે, પરંતુ તેમની સામેના કેસો હજુ બંધ નથી.
– ઐતિહાસિક અસર: આ કેસના કારણે જ CBSE (જે તે સમયે પરીક્ષા લેતી હતી) એ ડ્રેસ કોડ અને કડક તપાસના નિયમો દાખલ કર્યા. સુપ્રીમ કોર્ટના એ ચુકાદાને આજે પણ 2024 અને 2026ના વિવાદોમાં ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે.



