માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi Honors Veteran Makhanlal Sarkar at Suvendu Adhikari s Historic Bengal Oath Ceremony

![]()
Makhanlal Sarkar: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચાયો છે. રાજ્યની 294 બેઠકોમાંથી 207 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભાવુક ક્ષણ જોવા મળી હતી. જ્યારે પીએમ મોદી શુભેન્દુ અધિકારી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ માટે મંચ પર પહોંચ્યા, ત્યારે તેમણે ત્યાં હાજર 98 વર્ષના વયોવૃદ્ધ નેતા માખનલાલ સરકારનું સન્માન કર્યું હતું. વડાપ્રધાને જાહેરમાં તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા અને તેમને ગળે લગાડ્યા હતા, જેનાથી મંચ પર હાજર લોકોની આંખો નમ થઈ ગઈ હતી.
કોણ છે માખનલાલ સરકાર?
માખનલાલ સરકાર રાષ્ટ્રવાદી આંદોલન સાથે જોડાયેલા પાયાના નેતા છે. તેમની રાજકીય સફર ખૂબ જ સંઘર્ષમય રહી છે. વર્ષ 1952માં કાશ્મીરમાં ભારતીય તિરંગો લહેરાવવાના આંદોલન દરમિયાન તેઓ શ્યામા પ્રસાદ મુખર્જીની સાથે હતા અને તે સમયે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. 1980માં ભાજપની સ્થાપના બાદ તેમણે પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જેવા જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું હતું. તેમણે માત્ર એક જ વર્ષમાં 10,000થી વધુ સભ્યોને પાર્ટીમાં જોડ્યા હતા અને સાત વર્ષ સુધી જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી હતી, જે તે સમયે એક મોટી સિદ્ધિ ગણાતી હતી.
શપથ ગ્રહણ સમારોહ અને ભવ્ય સ્વાગત
શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે કોલકાતા એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા રેસકોર્સ મેદાન પહોંચ્યા હતા. સમારોહ સ્થળે પીએમ મોદીનું ‘જય શ્રી રામ’ના નારાઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈને સમર્થકોનું અભિવાદન ઝીલતા મંચ સુધી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય પણ હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાજપ સમર્થકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યા હતા.



