તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું | Tamil Nadu Political Crisis Over 100 Law Officers Resign as New Government Formation Stalls

Tamil Nadu Political Crisis: તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે હવે એક મોટું વહીવટી સંકટ સર્જાયું છે. રાજ્ય સરકાર વતી અદાલતોમાં પક્ષ રાખતા 100થી વધુ કાયદાકીય અધિકારીઓએ સામૂહિક રીતે પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં પણ તૃણમૂલ કોંગ્રેસની સત્તા ગયા બાદ અને ભાજપના આગમન સાથે જ આ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળ્યો હતો.
એડવોકેટ જનરલ સહિત 100 અધિકારીઓના રાજીનામાં
તમિલનાડુના એડવોકેટ જનરલ પી.એસ. રમણના નેતૃત્વમાં આ તમામ અધિકારીઓએ પોતાના રાજીનામાં સોંપી દીધા છે. સામાન્ય રીતે સરકારી વકીલો અને કાયદાકીય અધિકારીઓની નિમણૂક રાજકીય રીતે થતી હોય છે. પરંપરા મુજબ, જ્યારે પણ રાજ્યમાં સત્તા પરિવર્તન થાય અથવા નવી સરકાર આવવાની તૈયારીમાં હોય ત્યારે જૂની સરકાર દ્વારા નિમણૂક પામેલા અધિકારીઓ પદ છોડી દેતા હોય છે, જેથી નવી સરકાર પોતાની પસંદગીના નિષ્ણાતોની નિમણૂક કરી શકે.
હાલ પૂરતી કામગીરી ચાલુ રાખવા નિર્દેશ
રાજીનામાં આપ્યા હોવા છતાં, આ અધિકારીઓને હજુ એક અઠવાડિયા સુધી પદ પર ચાલુ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સરકાર નથી ઈચ્છતી કે અદાલતોમાં રાજ્યનો પક્ષ રાખવા માટે કોઈ પ્રતિનિધિ ન હોય. સામાન્ય રીતે નવી સરકાર વચગાળાની વ્યવસ્થા તરીકે ત્રણ-ચાર વકીલોની નિમણૂક કરતી હોય છે, પરંતુ વિજયની પાર્ટી (TVK)ની સરકાર બનવા પર સર્જાયેલા સસ્પેન્સને કારણે હજુ સુધી કોઈ નવી નિમણૂક થઈ શકી નથી.
આ પણ વાંચો: પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા
નવી સરકારના નિર્ણય પર સૌની નજર
નિયમ મુજબ, જેમ જ નવી સરકાર શપથ લેશે, તે પોતાની વિચારધારા અને પક્ષ સાથે જોડાયેલા અનુભવી વકીલોને આ મહત્ત્વના પદો પર નિયુક્ત કરશે. હાલમાં તમિલનાડુ સરકાર તરફથી વિવિધ અદાલતોમાં પક્ષ રાખવા માટે 100થી વધુ અધિકારીઓની ટીમ કાર્યરત છે, જેમનું ભવિષ્ય હવે આગામી સરકારના સ્વરૂપ પર નિર્ભર છે. રાજ્યને અદાલતી કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે આ અધિકારીઓ નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પોતાની ફરજ બજાવશે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના આ વહીવટી ફેરફારો ડિજિટલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.




