राष्ट्रीय

LIVE : આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ, દેશના રાજકારણનું ભાવિ નક્કી થશે | Assembly Election Results 2026 LIVE: West Bengal Tamil Nadu Assam Kerala & Puducherry


5 States Election Results : પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજે 4 તારીખ સોમવારે જાહેર થશે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. એવામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે, મમતા બેનરજીના ગઢ સમાન પશ્ચિમ બંગાળમાં ભાજપ શું પરિણામો લાવશે તે ઇવીએમ ખુલ્યા બાદ જ સામે આવશે.  

Election Results LIVE UPDATES : 

કયા કયા રાજ્યોની ચૂંટણીના પરિણામ આવશે? 

સોમવારે સવારથી એક સાથે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ અને પુડુચેરીની ચૂંટણીની મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. સત્તાધારી પક્ષો તૃણમુલ કોંગ્રેસ ટીએમસી, ડીએમકે અને ભાજપ, કોંગ્રેસ તેમજ ડાબેરીઓ દ્વારા હાઇપ્રોફાઇલ પ્રચાર કરવામાં આવ્યો હતો. મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરની સુરક્ષા કરવામાં આવી છે. 

પહેલીવાર ક્યુઆર કોડ ફોટો આધારિત ઓળખકાર્ડ સિસ્ટમનો ઉપયોગ 

પ્રથમ વખત ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશ કરવા માટે ક્યુઆર કોડ ફોટો આધારીત ઓળખકાર્ડ સિસ્ટમનો અમલ કર્યો છે. તેથી મંજૂરી અપાઇ છે તે સિવાયના કોઇ પણ વ્યક્તિને કે નેતાને પ્રવેશ આપવામાં નહીં આવે. 

પશ્ચિમ બંગાળમાં રસ્સાકસી 

ડાબેરીઓ બાદ મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસનું લાંબા સમયથી પશ્ચિમ બંગાળમાં શાસન રહ્યું છે, અહીંયા બે તબક્કામાં 90 ટકાથી વધુ મતદાન થયું હતું, હવે આજેઆશરે 293 વિધાનસભા બેઠકોનની મતગણતરી કરવામાં આવશે, જે માટે 77 મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર ત્રણ સ્તરની સુરક્ષા રાખવામાં આવી છે. મમતા બેનરજી ચોથી વખત સત્તા જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ અહીંયા સત્તા મળવાની આશા જોઇ રહ્યું છે. ડાબેરીઓ, કોંગ્રેસ મૂળીયા મજબુત કરવા પ્રયાસ કરી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ પણ નસીબ અજમાવી રહ્યો છે. ચૂંટણી પંચે 165 વધારાના મતગણતરી નિરીક્ષકો, 77 પોલીસ નિરીક્ષકોની નિમણુક કરી છે. 

LIVE : આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ, દેશના રાજકારણનું ભાવિ નક્કી થશે 2 - image

આસામમાં ભાજપને ફરી હેટ્રિકની આશા 

ભાજપની આગેવાનીમાં એનડીએ પૂર્વોત્તરના રાજ્ય આસામમાં બે ટર્મથી સત્તા પર છે અને ત્રીજી વખત ચૂંટણી જીતવાની આશા છે. 126 બેઠકો ધરાવતા આ રાજ્યમાં 35 જિલ્લાના 40 જેટલા કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે. આસામમાં 9 એપ્રિલના રોજ મતદાન થયું હતું, જેની ટકાવારી ૮૫થી વધુ રહી હતી. મતગણતરીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કેન્દ્રીય દળોની 25 કંપનીઓ એટલે કે આશરે 2500 જેટલા જવાનોની તૈનાતી કરાઇ છે. આસામમાં કુલ 722 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપના ગઠબંધન એનડીએના 99 , કોંગ્રેસના 99 અને સ્થાનિક પક્ષો એઆઇયુડીએફના 30, બોડો પીપલ્સ ફ્રન્ટના 11 વગેરેનો સમાવેશ થાય છે. હાઇપ્રોફાઇલ ઉમેદવારમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઇ, રાઇજોર દળના ચીફ અને સાંસદ અખિલ ગોગોઇનો સમાવેશ થાય છે.

કેરળમાં સત્તા પરિવર્તનના સંકેત 

ડાબેરીઓનો ગઢ ગણાતા કેરળમાં આ વખતે સત્તા પરિવર્તનની શક્યતાઓ છે, કોંગ્રેસની આગેવાનીમાં યુડીએફ કેરળમાં સત્તા મેળવી શકે છે અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એલડીએફના શાસનનો અંત આવી શકે છે કે જે બે ટર્મથી સત્તા પર છે. કેરળમાં 140 બેઠકો પર કુલ 883 ઉમેદવારો મેદાનમાં છે, 43 સ્થળોએ 140 કાઉન્ટિંગ કેન્દ્રો સ્થાપિત કરાયા છે જ્યાં સોમવારે મતગણતરી કરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ મતગણતરી માટે 15646 કર્મચારીઓ તૈનાત કરાયા છે. કેન્દ્રીય દળોની 25 કંપનીઓ તૈનાત કરાઇ છે. 

તમિલનાડુમાં વિજય બની શકે છે પડકાર 

સત્તાધારી ડીએમકે ફરી વખત સત્તા પ્રાપ્ત કરવા પ્રયાસો કરી રહ્યું છે. જેની ટક્કર અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના પક્ષ ટીવીકે સામે જોવા મળી રહી છે. આશરે 62 કેન્દ્રો પર સોમવારે મતગણતરી શરૂ કરાશે, આ કેન્દ્રોની ત્રણ સ્તરની સુરક્ષા કરાઇ છે. આશરે 1.25 લાખ કર્મચારીઓ તૈનાત કરાયા છે. મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને અભિનેતા વિજય કેટલું હંફાવશે તે સોમવારે ઇવીએમ ખુલ્યા બાદ સામે આવશે.

પુડુચેરીમાં ગઠબંધન વચ્ચે ટક્કર 

કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં મતગણતરી માટે છ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીંયા એઆઇએનઆરસી, ભાજપ, એઆઇએડીએમકે, એલજેકેનું ગઠબંધન જ્યારે કોંગ્રેસ, ડીએમકે અને વીસીકેનું ઇન્ડિયા ગઠબંધન બન્ને વચ્ચે ટક્કર જોવા મળશે. આ સાથે જ આઠ રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ હતી જેના પરિણામો પણ આજે જાહેર થવાના છે. આ રાજ્યોમાં ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કુલ આઠ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું. 

ગુજરાતમાં મોદીની જેમ બંગાળમાં મમતા જનતાના હૃદયમાં બિરાજમાન

પાંચ રાજ્યોની ચૂંટણીનું આજે પરિણામ આવવાનું છે. આ વખતની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભાજપ સત્તા પર આવશે તેમ અનેક એક્ઝિટ પોલના આંકડા જણાવી રહ્યા છે. જોકે, રાજકીય નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ 2011 માં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી તેઓ ગુજરાતીઓના હૃદયમાં બીરાજમાન છે. ગુજરાતીઓ વડાપ્રધાન મોદીનો પડયો બોલ ઝીલવા તૈયાર રહે છે. આ જ કારણથી તેમના એક સંકેતથી ગુજરાતમાં આખું મંત્રીમંડળ રાજીનામું આપી દે છે અને રાતોરાત નવી સરકારની રચના થઈ શકે છે અને જનતા પણ હોંશેહોંશે નવી સરકારને સ્વીકારી પણ લે છે. આવી જ સ્થિતિ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની છે. મમતા બેનરજીએ ડાબેરી સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ માટે નંદીગ્રામ અને સિંઘૂરમાં ખેડૂતોની જમીનના સંપાદનના વિરોધમાં ‘મા, માટી અને માનુષ’નો નારો આપ્યો અને બંગાળીઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. આ જ કારણથી 2011માં તૃણમૂલ કોંગ્રેસ સત્તા પર આવ્યા પછી તેને કોઈ હટાવી શક્યું નથી. આ વખતની ચૂંટણી જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું, સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળથી લઈને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આમ છતાં જનતાના હૃદયમાં બિરાજમાન મમતા દીદીને હટાવવા ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. કેટલાક રાજકીય પંડિતોએ તો એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે એક્ઝિટ પોલ મુજબ ભાજપ કદાચ પશ્ચિમ બંગાળમાં જીતી જાય તો પણ બંગાળીઓ ભાજપના શાસનને કેટલી મદદ કરશે તે તો આવનારો સમય જ બતાવશે.



Source link

Related Articles

Back to top button