ભારત માટે રાહતના સમાચાર, LPG ટેન્કર ‘સર્વ શક્તિ’ જહાજે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુરક્ષિત રીતે કર્યું પાર | mt sarva shakti tanker cross strait of hormuz india lpg crisis relief

![]()
India Lpg Crisis Relief: મધ્ય પૂર્વમાં મુશ્કેલી ચાલી રહી છે, પરંતુ ભારત માટે રાહતના સમાચાર છે. ભારત માટે ગેસ લઈને આવી રહેલું જહાજ MT સર્વ શક્તિ દરિયાઈ માર્ગે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરી ગયું છે. આ જહાજ માર્શલ આઇલેન્ડના નામે રજિસ્ટર્ડ છે. સરકારના જણાવ્યા મુજબ જહાજ 13 મેના રોજ વિશાખાપટ્ટનમ પહોંચી જશે. મતલબ કે, ભારતને જરૂરી ગેસ કોઈ પણ અવરોધ વિના મળી જશે.
18 ભારતીયો જહાજ પર સવાર તમામ સુરક્ષિત
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ જહાજમાં આશરે 46 હજાર મેટ્રિક ટન LPG ભરેલો છે. જહાજ પર કુલ 20 લોકો કામ કરી રહ્યા છે, જેમાંથી 18 ભારતીયો છે. મધ્ય પૂર્વના તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધને લઈને સરકારે માહિતી આપી છે. મંત્રાલયે જણાવ્યું કે ત્યાં હાજર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે. છેલ્લા 24 કલાકમાં કોઈ પણ ભારતીય જહાજ સાથે કોઈ ઘટના બની નથી.
મંત્રાલયે ઉઠાવ્યા આ નક્કર પગલાં
પેટ્રોલિયમ મંત્રાલય, વિદેશ મંત્રાલય, વિદેશમાં ભારતીય દૂતાવાસો અને દરિયાઈ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મળીને કામ કરી રહ્યા છે, જેથી ભારતીય નાવિકો સુરક્ષિત રહે અને જહાજોનું કામ યોગ્ય રીતે ચાલતું રહે. આ ઉપરાંત ડીજી શિપિંગનો કંટ્રોલ રૂમ દરરોજ સ્થિતિ પર નજર રાખી રહ્યો છે. અત્યાર સુધી હજારો ફોન કોલ્સ અને ઈમેલના જવાબ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં પણ અનેક લોકોએ મદદ માટે સંપર્ક કર્યો હતો.
3 હજાર નાવિકો સુરક્ષિત ભારત પરત આવી ગયા
બીજી તરફ ખાડી દેશોમાંથી અત્યાર સુધીમાં આશરે 3,000 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા છે. બંદરો અંગે અપડેટ આપતા સરકારે જણાવ્યું કે બંદરો યોગ્ય રીતે કાર્યરત છે. દેશના તમામ મોટા બંદરો પર કામકાજ સામાન્ય છે અને ક્યાંય પણ વધુ ભીડ કે વિલંબ થઈ રહ્યો નથી.
અમે તૈયાર છીએ: પેટ્રોલિયમ મંત્રાલય
સમગ્ર મામલે પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે પરિસ્થિતિ ગમે તેવી હોય, તેઓ સમુદ્રમાં સુરક્ષા જાળવી રાખવા અને જહાજોની અવરજવર કોઈ પણ અવરોધ વિના ચાલુ રહે તે માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.



