ભારતીય વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણના દરવાજા ખૂલ્યા | Doors opened for 100 percent foreign investment in Indian insurance sector

![]()
– સરકારે જાહેરનામું બહાર પાડયું, ફેમામાં સુધારો કર્યો
– વિદેશી કંપની માટે ભારતીય રહેવાસી નાગરિકની ચેરમેન, એમડી અથવા સીઈઓ તરીકે નિમણૂક કરવી ફરજિયાત
– સરકારી વીમા કંપની એલઆઈસી પર વિદેશી નિયંત્રણ રોકવા માટે કેન્દ્ર સરકારે 20 ટકાની મર્યાદા નાંખી
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે શનિવારે ભારતના વીમા ક્ષેત્રમાં વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણની મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડયું છે. એટલે કે હવે કોઈપણ વિદેશી કંપની ભારતના વીમા ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કર્યા વિના ૧૦૦ ટકા રોકાણ કરી શકશે. કેન્દ્ર સરકારની સુધારેલી નીતિ હેઠળ વિદેશી રોકાણકારો હવે ઓટોમેટિક રીતે ભારતીય વીમા કંપનીઓમાં ૧૦૦ ટકા સુધીની ખરીદી કરી શકશે. જોકે, સરકારી વીમા કંપની એલઆઈસી માટે કેન્દ્ર સરકારે અલગ નિયમો રાખ્યા છે. આ સાથે સરકારે ફેમા કાયદામાં પણ ફેરફાર કર્યા છે.
નાણામંત્રાલયે શનિવારે વીમા સેક્ટરમાં ઓટોમેટિક માર્ગ હેઠળ ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડયું હતું. આ પહેલાં સંસદમાં સબ કા બીમા સબ કી રક્ષા (વીમા કાયદામાં સુધારો) બીલ ૨૦૨૫ ડિસેમ્બર ૨૦૨૫માં પસાર કરાયું હતું, જેના હેઠળ વીમા ક્ષેત્રમાં ઓટોમેટિક માર્ગે વિદેશી રોકાણની મર્યાદા ૭૪ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરી દેવાઈ હતી. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી મળતા તે કાયદો બની ગયો હતો. ત્યાર પછી ડીપીઆઈઆઈટીએ ફેબુ્રઆરી ૨૦૨૬માં વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈને નોટીફાઈ કર્યું હતું.
ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી)એ કહ્યું કે, પોર્ટફોલિયો રોકાણ સહિત વિદેશી રોકાણ ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરિટી (ઈરડાઈ)ની નિયામક મંજૂરી હેઠળ આપમેળે જ મંજૂર થઈ જશે. જોકે સરકારી વીમા કંપની એલઆઈસી માટે સરકારે ૨૦ ટકાની મર્યાદા મૂકી છે. એટલે કે કોઈપણ વિદેશી કંપની એલઆઈસીમાં ૨૦ ટકાથી વધુનું રોકાણ કરી શકશે નહીં. એલઆઈસીનું નિયંત્રણ અન્ય કોઈ દેશ અથવા કંપનીઓ પાસે ના જાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.
આ નીતિગત પરિવર્તન વીમા કાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ હેઠળ કરાયું છે, જેનો આશય વીમા કવરેજ વધારવા અને ક્ષેત્રના મૂડી આધારને મજબૂત કરવાનો છે. કેન્દ્ર સરકારના આ પગલાંથી વીમા ક્ષેત્રમાં વિદેશી કંપનીઓના પ્રવેશ સંબંધીત અવરોધો હટી જશે અને મૂડીમાં વધારો થશે. જોકે, વિદેશી કંપનીઓએ સરકારના કેટલાક નિયમોનું પાલન કરવું પડશે, જેમાં નિયામક નિરીક્ષણ અને ઘરેલુ નિયંત્રણ નિશ્ચિત કરવા માટે વિદેશી રોકાણવાળી વીમા કંપનીઓએ ઓછામાં ઓછા એક ભારતીય રહેવાસી નાગરિકને ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અથવા સીઈઓ તરીકે નિમણૂક કરવા ફરજિયાત છે.
આ સિવાય વિદેશી શેરધારકોમાં કોઈપણ વધારાને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ફેમાના નિયમો હેઠળ દિશા-નિર્દેશોનું પાલન કરવું પડશે. ૧૦૦ ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ની મર્યાદા બ્રોકર, પુનર્વીમા બ્રોકર, કોર્પોરેટ એજન્ટ, થર્ડ પાર્ટી, મહા એજન્ટ અને વીમા ભંડાર પર પણ લાગુ પડે છે. જોકે, તેઓ ઈરડાઈના માપદંડોનું પાલન કરતા હોવા જોઈએ તેમ સૂત્રોએ જણાવ્યું હતું.



