હોર્મુઝમાં ભારતીય જહાજો પર હુમલા બાદ નવી એડવાઈઝરી જાહેર, લારક આઈલેન્ડથી દૂર રહેવા સલાહ | indian navy advisory persian gulf strait of hormuz irgc firing larak island safety

![]()
Indian Navy Advisory : ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હવે રણમેદાન બની ચુક્યું છે. 18 એપ્રિલે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા બે ભારતીય જહાજો પર કરવામાં આવેલા ફાયરિંગ બાદ ભારત સરકારે કડક એડવાઈઝરી જારી કરી છે. ભારતીય નૌસેનાએ તમામ ભારતીય જહાજોને લારક આઈલેન્ડથી દૂર રહેવા અને નેવીની સૂચના વગર આગળ ન વધવા આદેશ આપ્યો છે.
શું બની હતી ઘટના?
18 એપ્રિલના રોજ ભારતીય જહાજો જગ અર્ણવ અને સનમાર હેરાલ્ડ હોર્મુઝ પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ઈરાની ગાર્ડ્સ દ્વારા તેમના પર ફાયરિંગ કરવામાં આવતા આ બંને જહાજોએ અધવચ્ચેથી પાછા વળવું પડ્યું હતું. જોકે, તે જ દિવસે દેશ ગરિમા નામનું જહાજ સફળતાપૂર્વક ખાડી પસાર કરી શક્યું હતું. જેને અત્યારે ભારતીય નૌસેના સુરક્ષા આપી રહી છે.
આ પણ વાંચો: ઈરાને પાકિસ્તાનને સોંપ્યો 10 મુદ્દાનો પ્રસ્તાવ, અમેરિકા સાથે વાતચીતનો કર્યો ઈનકાર
લારક આઈલેન્ડ કેમ છે જોખમી?
લારક આઈલેન્ડ હોર્મુઝના સૌથી સાંકડા ભાગમાં આવેલો છે, જ્યાં ઈરાનનું મુખ્ય ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. અહીં ઈરાની સેનાના અનેક બેઝ છે, જે નાની અને ફાસ્ટ બોટ દ્વારા કોઈપણ જહાજને ટાર્ગેટ કરી શકે છે. આ વિસ્તારમાં ઓમાન કોસ્ટ પાસે સમુદ્રી સુરંગો હોવાનું જોખમ હોવાથી નૌસેના અત્યંત સાવધ છે.
આ પણ વાંચો : BREAKING: જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
14 ભારતીય જહાજો હજુ પણ અટવાયેલા
હાલમાં પર્શિયન ગલ્ફમાં ૧૪ ભારતીય જહાજો હોર્મુઝ પસાર કરવા માટે મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. ભારતીય નૌસેના આ જહાજો સાથે સતત સંપર્કમાં છે. નૌસેનાએ કુલ 7 યુદ્ધ જહાજો આ વિસ્તારમાં તૈનાત કર્યા છે. જે જહાજો હોર્મુઝ પસાર કરે છે, તેમને અરબી સમુદ્ર સુધી નેવી દ્વારા એસ્કોર્ટ આપવામાં આવી રહ્યું છે. દેશ ગરિમા 22 એપ્રિલે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે.
વૈશ્વિક તેલ પુરવઠા પર અસર
યુદ્ધ પહેલા વિશ્વનું 20% તેલ આ માર્ગેથી પસાર થતું હતું, પરંતુ અત્યારે આ રૂટ અનિશ્ચિતતાના કારણે લગભગ બંધ જેવો છે. ભારત માટે પોતાના જહાજો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સર્વોપરી હોવાથી નેવીએ સુરક્ષા ગ્રીડ વધુ મજબૂત કરી દીધી છે.



