ઇટાલીમાં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા | Two Indian Hindus shot dead outside a gurdwara in Italy

![]()
બન્ને ભારતીયો ગુરુદ્વારા બહાર નીકળતા જ બેફામ ગોળીબાર કરાયો
હુમલાખોર પણ ભારતીય હોવાનો સાક્ષીઓનો દાવો સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરાઇ
રોમ: ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવો શહેરમાં વૈસાખી ઉત્સવની ઉજવણી દરમિયાન બે ભારતીય પુરૂષોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બે ભારતીયો ગુરુદ્વારામાંથી બહાર નીકળ્યા અને નજીકના ચોક પાસે પહોંચ્યા કે તુરંત જ તેમના પર ગોળીબાર કરી દેવાયો હતો. જેને પગલે આ બન્ને હિન્દુઓના મોત નિપજ્યા હતા.
માર્યા ગયેલા બન્ને ભારતીયોના નામ રાગિંદરસિંહ અને ગુરમીતસિંહ છે, બન્નેની ઉંમર આશરે ૪૮ વર્ષની આસપાસ છે. રિપોર્ટ મુજબ હુમલાખોર અચાનક જ આ બન્ને પાસે આવ્યો અને ગોળીબાર કરીને કારમાં જ ભાગી ગયો હતો. આશરે ૧૦ ગોળીઓ ચલાવવામાં આવી હોવાના અહેવાલો છે. કેમ કે પોલીસને ઘટના સ્થળેથી ૧૦ ખાલી કારતૂસ મળી આવ્યા હતા. પોલીસને શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોઇ અચાનક થયેલા ઝઘડાનું પરિણામ નથી, આયોજનપૂર્વક કરાયેલી હત્યા છે. એક સ્થાનિક સાક્ષીએ આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે હુમલાખોર પણ ભારતીય જ હતો, અને આ ઘટના જે ગુરુદ્વારા સામે બની ત્યાં પણ તે આવતો જતો હતો. સ્થાનિક કોવો મેયર એન્ડ્રીઆ કેપેલેટ્ટીએ કહ્યંુ હતું કે શીખ સમાજના લોકો શાંતિપૂર્વક રહે છે, છેલ્લા ૧૫ વર્ષથી કોઇ જ લોકો વિરોધી કૃત્ય નથી કર્યું. હાલમાં ગુરુદ્વારા અને આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવશે તેવો દાવો પ્રશાસને કર્યો હતો. હુમલા પાછળનું કારણ અંગત અદાવત હતી કે કોઇ બીજુ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.



