અમદાવાદ સિવિલમાં માનવતાનો મહાયજ્ઞ: 3 દિવસમાં 3 અંગદાન, 11 લોકોને મળ્યું નવજીવન | 3 Organ Donations in 3 Days Save 11 Lives in Ahmedabad Civil Hospital

![]()
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે(19 એપ્રિલ) માત્ર સારવારનું કેન્દ્ર જ નહીં, પરંતુ માનવતાની જ્યોતને સતત પ્રજ્વલિત રાખતું સ્થળ બની રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં હોસ્પિટલના આંગણે જે રીતે એક પછી એક ત્રણ અંગદાન અને એક ત્વચાદાનની ઘટનાઓ બની છે, તેણે સમગ્ર સમાજ માટે સેવાનો નવો રાહ ચીંધ્યો છે. આ ત્રણ દિવસના ટૂંકા ગાળામાં થયેલા ‘અંગદાનના મહાયજ્ઞ’ થકી 10 મહત્ત્વના અંગો અને એક પેશીના દાનથી કુલ 11 જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં અંધકાર દૂર થઈ નવી આશાનો સંચાર થયો છે.
અમદાવાદ સિવિલમાં માનવતાનો મહાયજ્ઞ
આ શ્રૃંખલાની પ્રથમ કડીમાં ગાંધીનગરના 50 વર્ષીય બહરાનભાઈ પંડિતનો સમાવેશ થાય છે. વ્યવસાયે કડિયાકામ કરતા બહરાનભાઈ અચાનક ચક્કર આવતા પટકાયા અને અંતે બ્રેઈન ડેડ જાહેર થયા. આવી કપરી પરિસ્થિતિમાં પણ તેમના પત્ની સંગીતાબેને અપ્રતિમ સાહસ બતાવી અંગદાનનો નિર્ણય લીધો, જેના દ્વારા મળેલા એક લીવર અને બે કિડનીએ ત્રણ વ્યક્તિઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. સંવેદનાનો આવો જ બીજો કિસ્સો આઈસીયુમાં સારવાર હેઠળના 42 વર્ષીય દર્દીના પરિવારે આલેખ્યો, જેમણે પોતાના અંગત સ્વજનના વિરહ વચ્ચે પણ એક લીવર, એક હૃદય અને બે કિડનીનું દાન આપીને ચાર જિંદગીઓને જીવનદાન આપ્યું હતું.
માનવતાના આ યજ્ઞમાં એક વિશેષ અને પ્રેરણાદાયી વળાંક ત્યારે આવ્યો જ્યારે નારોલના 45 વર્ષીય રિક્ષાચાલક પૂરણભાઈ દંતાણીને બ્રેઈન હેમરેજ બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. પૂરણભાઈના પત્ની અલકાબેન અને તેમના પરિવારે લીવર તેમજ બે કિડનીના દાનની સંમતિ આપીને ઇતિહાસ રચી દીધો. દંતાણી સમાજમાંથી સિવિલમાં થયેલું આ પ્રથમ અંગદાન છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના જણાવ્યા અનુસાર, સરકાર અને સેવાભાવી સંસ્થાઓના પ્રયાસોથી હવે સમાજના દરેક સ્તરે અંગદાનની જાગૃતિ પ્રસરી રહી છે.
3 દિવસમાં 3 અંગદાન, 11 લોકોને મળ્યું નવજીવન
માત્ર અંગદાન જ નહીં, પરંતુ ત્વચાદાન ક્ષેત્રે પણ સિવિલ હોસ્પિટલ અગ્રેસર રહી છે. મણિનગરની કેર એન્ડ ક્યોર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાંથી ડૉ. કિરણ શાહની પ્રેરણાથી 51 વર્ષીય મૃતક અંજનાબેન પટેલના પતિ જતીનભાઈએ પત્નીની ત્વચાનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો. આ દાનમાં મળેલી ત્વચા આગામી સમયમાં દાઝેલા કે ગંભીર ઈજા પામેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ખાસ વાત એ છે કે, 19 એપ્રિલ ‘વિશ્વ લીવર દિવસ’ના રોજ જ સિવિલ હોસ્પિટલે 237માં અંગદાનનો આંકડો પાર કર્યો છે.
સિવિલ હોસ્પિટલની અંગદાનની આ સફર આંકડાકીય રીતે પણ ખૂબ જ પ્રભાવશાળી છે. અત્યાર સુધીમાં કુલ 237 અંગદાનના માધ્યમથી 784 અંગો અને 237 પેશીઓ પ્રાપ્ત થયા છે. જેમાં 211 લીવર, 437 કિડની, 75 હૃદય, 34 ફેફસાં અને અન્ય અંગો સહિત કુલ 1021 અંગો-પેશીઓના દાન મેળવીને સિવિલ હોસ્પિટલે રાજ્ય અને દેશમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવ્યાના આઘાતની વચ્ચે અન્યને જીવન આપવાનો નિર્ણય લે છે, ત્યારે તે માત્ર તબીબી પ્રક્રિયા નથી રહેતી પણ માનવતાનો સર્વોચ્ચ ઉત્સવ બની જાય છે. આ તમામ દાતા પરિવારોની ઉદારતા અને સિવિલની ટીમની મહેનતને કારણે જ આજે ‘અંગદાન એ મહાદાન’ સૂત્ર સાર્થક થઈ રહ્યું છે.



