‘એ ભારતે નક્કી કરવાનું છે…’, ઈરાન સાથેની શાંતિ મંત્રણા અંગે અમેરિકાના પ્રતિનિધિનું મોટું નિવેદન | us ambassador in india sergio gor on india role in america iran middle east peace progess

![]()
Middle East Peace Progess: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે બીજા રાઉન્ડની વાતચીતની અટકળો લગાવવામાં આવી રહી છે. પાકિસ્તાન અને ઈજિપ્તના પ્રયાસોથી પ્રથમ બેઠક ઈસ્લામાબાદમાં યોજાઈ હતી, જે અનિર્ણિત રહી હતી. આ દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત અને ટ્રમ્પના નજીકના સર્જિયો ગોરે યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મધ્ય પૂર્વમાં શાંતિ માટે અમેરિકા ભારતની ભાગીદારીનું સ્વાગત કરશે.
‘ભારતે પોતે જ નક્કી કરવું પડશે કે તે શું કરવા માંગે છે’
ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વાટાઘાટો નિષ્ફળ ગઈ તો અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એક ખાનગી ચેનલને જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર વાત થઈ છે. આ દરમિયાન શાંતિ વાટાઘાટોમાં ભારતની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ખાનગી ચેનલને કહ્યું કે અમેરિકા, મિડલ ઈસ્ટમાં યુદ્ધ ખતમ કરવાના પ્રયાસોમાં ભારતની ભાગીદારીનું સ્વાગત કરશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ભારતે પોતે જ નક્કી કરવું પડશે કે તે શું કરવા માંગે છે.
શાંતિ પ્રક્રિયાની ભૂમિકામાં ભારત પણ સામેલ
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત શાંતિ પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવી શકે છે? તો સર્જિયો ગોરે કહ્યું, ‘અમેરિકા તેમની ભાગીદારીનું સ્વાગત કરશે, જેવી રીતે તેણે અન્ય ઘણા દેશોની ભાગીદારીનું સ્વાગત કર્યું છે. સાચું કહું તો, આ ભારતે જ નક્કી કરવાનું છે, મને લાગે છે કે સમગ્ર દુનિયા શાંતિ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી શકે છે અને તેમાં ભારત પણ સામેલ છે.’
ટ્રમ્પ કોઈ ભેદભાવ કરતાં નથી!
ગોરે કહ્યું કે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ બાબતે કોઈની સાથે ભેદભાવ નથી કરી રહ્યા કે કોણ આ સંઘર્ષને ખતમ કરવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું, ‘રાષ્ટ્ર પ્રમુખ એ દરેક વ્યક્તિનું સ્વાગત કરે છે જે તેમાં સામેલ થવા માંગે છે. રાષ્ટ્ર પ્રમુખ એ દરેક વ્યક્તિનું સ્વાગત કરે છે જે શાંતિ પ્રક્રિયાનો હિસ્સો બનવા માંગે છે.’
કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે: ગોર
સર્જિયો ગોરે આ વાતચીત વોશિંગ્ટનથી પરત ફર્યાના થોડા કલાકો બાદ કરી હતી. તેમણે જણાવ્યું કે વોશિંગ્ટનમાં તેઓ સમગ્ર કેબિનેટને મળ્યા હતા. આગામી દિવસોમાં કેટલાક સમાચાર આવી શકે છે પરંતુ આ જાણકારી આપવાનો અત્યારે યોગ્ય સમય નથી. જેનાથી સંકેત મળે છે કે વેપાર અને દ્વિપક્ષીય મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં મોટી જાહેરાતો થઈ શકે છે. તેમણે કહ્યું, ‘આગામી થોડા દિવસોમાં તમને આ વિશે કેટલાક સમાચાર સાંભળવા મળી શકે છે, પરંતુ આ બાબતે અત્યારે જાણકારી આપવી મારું કામ નથી.’
વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારત પ્રવાસ ખેડશે
તેમણે એ પણ જણાવ્યું કે ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે ટ્રમ્પની પ્રસ્તાવિત ભારત મુલાકાત પહેલા, આવતા મહિને અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારતની મુલાકાત લેશે.
હોર્મુઝ સ્ટ્રેટ પર શું બોલ્યા સર્જિયો ગોર?
ટ્રમ્પ અને PM મોદીની વાતચીત દરમિયાન પણ હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો ઉઠ્યો હતો. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને આ વાતચીતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું, ‘મારા મિત્ર, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે ઘણા ક્ષેત્રોમાં અમારા દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં અમારી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી અને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો.’
ઈરાનનું નામ લીધા વિના સર્જિયો ગોરે કહ્યું કે માત્ર એક દેશ હોર્મુઝ સ્ટ્રેટને બંધક બનાવીને બેઠો છે. તેમણે ખાનગી ચેનલને કહ્યું, ‘આ આંતરરાષ્ટ્રીય જળસીમા છે. કોઈ પણ દેશને આખી દુનિયાને બંધક બનાવવાનો અને તેની નાકાબંધી કરવાનો અધિકાર હોવો જોઈએ નહીં.’ તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા તમામ દેશોને આ જળમાર્ગ ફરીથી ખોલવા માટે દબાણ લાવવાનું કહી રહ્યું છે.



