શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ | middle east minab 168 iran delegation heads to pakistan for us peace talks

Miban 168 Delegation: ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનારી શાંતિ મંત્રણા માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ એક અત્યંત ભાવુક સંદેશ સાથે પાકિસ્તાન પહોંચ્યું છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફના નેતૃત્વમાં આવેલા આ પ્રતિનિધિમંડળના વિમાનમાં લોહીથી ખરડાયેલા સ્કૂલ બેગ, સફેદ ફૂલો અને નિર્દોષ બાળકોની તસવીરો જોવા મળી હતી.
યુદ્ધમાં જીવ ગુમાવનારા 168 માસૂમ બાળકોની યાદમાં અપાયું આ ખાસ નામ
આ પ્રતિનિધિમંડળને ‘મિનાબ 168’ નામ આપવામાં આવ્યું છે, જે યુદ્ધના પ્રથમ દિવસે અમેરિકા-ઈઝરાયલના હુમલામાં જીવ ગુમાવનારા 168 સ્કૂલ બાળકોની યાદમાં રાખવામાં આવ્યું છે. ગાલિબાફે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરીને વિશ્વને યુદ્ધની ભયાનક માનવીય કિંમતનો અહેસાસ કરાવ્યો છે.
આ પણ વાંચો: ઈઝરાયલ પણ માની ગયું! લેબેનોન સાથે 14 એપ્રિલે આમને-સામને બેઠક, યુદ્ધવિરામની આશા
મિનાબના બાળકોના બલિદાનને ક્યારેય ન ભૂલવાની ઈરાને લીધી પ્રતિજ્ઞા
દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં 28 ફેબ્રુઆરીના રોજ એક ગર્લ્સ પ્રાઈમરી સ્કૂલ પર થયેલા હુમલામાં 160થી વધુ બાળકોના મોત થયા હતા, જેને ઈરાન ક્યારેય ન ભૂલવાની પ્રતિજ્ઞા લઈ રહ્યું છે. આ ભાવુક પૃષ્ઠભૂમિ વચ્ચે, આજે ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ તહેરાનના 10 મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરવાના છે. ઈરાની ટીમ શનિવારે સવારે પાકિસ્તાન પહોંચી ત્યારે વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર અને સેના પ્રમુખ આસિમ મુનીર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય નિર્દોષોનો ભોગ લેતા આ ભીષણ યુદ્ધનો અંત લાવવાનો છે.




