BIG NEWS: તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ | india advisory iran evacuation emergency numbers gujarati

Expeditiously Exit Iran: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત વચ્ચે ભારત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે. ઈરાનની રાજધાની તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને ઈરાનમાં વસતા તમામ ભારતીય નાગરિકોને ઝડપથી સ્વદેશ પાછા જતા રહેવા નવી એડવાઇઝરી જાહેર કરી છે. ભારત સરકારે ભારતીયોને સલાહ આપી છે કે, તમે શક્ય એટલું ઝડપથી ઈરાન છોડીને સુરક્ષિત રીતે બહાર નીકળી જાઓ.
ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ એડવાઇઝરી પોસ્ટ કરી છે. તેમાં જણાવાયું છે કે, ભારતીયો તેમને સૂચવવામાં આવેલા વિકલ્પોનો ઉપયોગ કરીને જ ઈરાનની બહાર નીકળે. દૂતાવાસે કડક શબ્દોમાં તાકીદ કરી છે કે દૂતાવાસ સાથે પરામર્શ કે સંકલન કર્યા વગર કોઈપણ આંતરરાષ્ટ્રીય જમીન સરહદ (Land Border) ઓળંગવાનો પ્રયાસ ન કરવો.

ઈમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
ભારતીય દૂતાવાસે મુશ્કેલીમાં મૂકાયેલા નાગરિકોની મદદ માટે ઈમરજન્સી ફોન નંબર +989128109115, +989128109109, +989128109102, +989932179359 તેમજ ઈ-મેઇલ આઇડી cons.tehran@mea.gov.in પણ જાહેર કર્યા છે.
યુદ્ધવિરામ છતાં ભારતની સાવચેતી
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલે બે સપ્તાહના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આમ છતાં, ભારત સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. અગાઉ 7 એપ્રિલની સાંજે પણ ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી બહાર પાડી હતી, જેમાં ભારતીયોને 48 કલાક સુધી તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા સૂચના અપાઈ હતી.
9,000 ભારતીયો ઈરાનમાં ફસાયા હતા
ભારત સરકારે આપેલી વિગતો મુજબ, ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાનના વિવિધ ઠેકાણે હુમલા કરાયા, ત્યારે ઈરાનમાં વિદ્યાર્થીઓ સહિત અંદાજે 9,000 ભારતીયો હાજર હતા. જેમાંથી અત્યાર સુધીમાં અંદાજે 1,800 ભારતીયો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફરી ચૂક્યા છે.



