ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હુમલાથી ફફડાટ! રશિયાના એન્જિનિયરોએ ભાગવું પડ્યું, IAEAની પણ ચેતવણી | us israel strike iran bushehr nuclear plant evacuation petrochemical damage

![]()
| Nuclear Power Plant in Bushehr Press TV X |
Bushehr Nuclear Plant Attack: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત જોખમી વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત સૈન્ય દળોએ શનિવારે ઈરાનના મહત્વના ગણાતા બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીકના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં પ્રોજેક્ટાઈલના ટુકડા વાગવાથી એક સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) દ્વારા કરવામાં આવી છે.
ન્યુક્લિયર પ્લાન્ટ પર કેટલો ખતરો?
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો છે કે, 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં બુશેહર ફેસિલિટી પર 4 વખત બોમ્બમારો કરવામાં આવ્યો છે. જોકે, IAEA એ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, હુમલા બાદ વિસ્તારમાં રેડિયેશનના સ્તરમાં કોઈ વધારો નોંધાયો નથી. પ્લાન્ટના મુખ્ય હિસ્સા સુરક્ષિત છે, પરંતુ સાધનો ધરાવતી ઓક્સિલરી બિલ્ડિંગને નુકસાન થયું છે.
રશિયન સ્ટાફનું સ્થળાંતર
આ હુમલા બાદ રશિયાની સરકારી ન્યુક્લિયર કંપની રોસાટોમે પ્લાન્ટમાં કામ કરી રહેલા 198 રશિયન સ્ટાફ મેમ્બર્સને તાત્કાલિક અસરથી બસો દ્વારા ઈરાન-આર્મેનિયા સરહદ તરફ રવાના કરી દીધા છે. રોસાટોમના વડા એલેક્સી લિખાચેવે જણાવ્યું હતું કે, હુમલાના 20 મિનિટ બાદ જ આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
પેટ્રોકેમિકલ હબ પર પણ મિસાઈલ મારો
માત્ર ન્યુક્લિયર પ્લાન્ટ જ નહીં, પરંતુ ઈરાનના ઉર્જા હબ ગણાતા ખુઝેસ્તાન પ્રાંતમાં પણ અનેક પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. મહશહર પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ભીષણ વિસ્ફોટો અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બંદર ઈમામ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને ફજર 1 અને 2 જેવી કંપનીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાઓમાં આશરે 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ઈરાનનો વળતો પ્રહાર
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે, તેણે સેન્ટ્રલ ઈસ્ફાહાન પ્રાંતમાં અમેરિકાનું એક MQ-1 ડ્રોન તોડી પાડ્યું છે. આ ઉપરાંત, ઈરાની સત્તાવાળાઓએ બે અમેરિકન યુદ્ધ વિમાનોને પણ પાછા ખસેડવાની ફરજ પાડી હોવાનું જણાવ્યું છે.
IAEA ની ચેતવણી
IAEA ના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ન્યુક્લિયર સાઇટ્સ કે તેની આસપાસના વિસ્તારો પર ક્યારેય હુમલો ન થવો જોઈએ. પરમાણુ અકસ્માતનું જોખમ ટાળવા માટે તમામ પક્ષોએ મહત્તમ સંયમ રાખવો જરૂરી છે.


