ઇરાનમાં ઇસ્લામિક ક્રાંતિના પ્રણેતા ખોમેનીનું ભારત કનેકશન, તેમના પરદાદા આ ગામમાં રહેતા હતા ? | Khomeini the leader of the Islamic Revolution in Iran Indian connection

તહેરાન, 3 માર્ચ,2026,મંગળવાર
ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ ધમાસાણ યુધ્ધ શરુ થયું છે. ઇઝરાયેલ ગૂપ્ત ઓપરેશન પાર પાડીને 28 ફેબ્રુઆરીના રોજ કરેલા હુમલામાં ઇરાનના ધર્મગુરુ અને સુપ્રિમ લિડર આયાતોલ્લા અલી ખોમેનીઇની હત્યા કરી હતી. તેઓ વર્ષોથી ઇરાનની ઇસ્લામિક ક્રાંતિના પ્રણેતા આ.યાતોલ્લાહ રહોલ્લા ખોમેનીનું સ્થાન સંભાળતા હતા. પ્રણેતા આયાતોલ્લાહ રહોલ્લા ખોમેનીનું 3 જુન 1989ના રોજ તેમનું અવસાન થયું હતું.
ઇરાનમાં જયારે ઇસ્લામિક ક્રાંતિ થઇ ત્યારે ઇસ્લામિક ક્રાંતિના પ્રણેતા ખોમેની ભારત સાથે કનેકશન ધરાવે છે. ખોમેનીના દાદા સૈયદ અહમદ મુસવીનો જન્મ ૧૭૯૦માં ઉત્તરપ્રદેશના બારાબંકીના કિન્તુર ગામમાં થયો હતો. ૧૮૩૦માં તેઓ ૪૦ વર્ષની ઉંમરે અવધના નવાબ સાથે અરબ પ્રદેશમાં ધાર્મિકયાત્રાએ ગયા હતા. ઇરાક માર્ગે બંનેએ ઇરાનમાં ધાર્મિક સ્થળોની ઝીયારત કરી અને ઇરાનના ખોમેન ગામમાં કાયમને માટે રોકાઇ ગયા હતા.ઇરાનના ખોમન ગામ પરથી જ તેમની અટક ખોમેની પડી હતી.
અહમદ મસવી ખૂબજ ધાર્મિક સ્વભાવ ધરાવતા હતા.મસવીના પુત્ર અને ખોમેનીના પિતા અયાતુલ્લા મુસ્તફા ઇસ્લામી ધર્મ સાહિત્યના વિદ્વાન હતા. અયાતુલ્લાને બે પુત્રો હતા તેમાંથી સૌથી નાના રુહઉલ્લાહનો જન્મ ૧૯૦૨માં થયો હતો. આ રુહઉલ્લાહ જ ત્યાર પછી ઇરાનમાં અયાતુલ્લા અલી ખોમેની તરીકે જાણીતા બન્યા હતા. આયાતોલ્લાહ માત્ર ૬ મહિનાના હતા ત્યારે પિતા સૈયદ મુસ્તફાની ઇરાનમાં હત્યા થતા મા અને માસીએ પરવરીશ કરી હતી. મોટા ભાઇ મુર્તઝાએ ઇસ્લામી શિક્ષણની પ્રેરણા આપી હતી.

ખોમેનીને ઇસ્લામી રિવાજ અને શરિયામાં ખૂબ જ રસ પડતો હતો. ઇસ્લામની સાથે પશ્ચીમી દર્શનશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો. ઇરાનના અરાક અને કોમ શહેરના ઇસ્લામી શિક્ષણ કેન્દ્રોમાં તેઓ શિક્ષણ આપતા હતા. એ સમયે ઇરાનમાં શહેનશાહી શાહ પહલવીનું શાસન હતું. ખોમનીએ પહલવી વિરુધ બળવો કરતા દેશ નિકાલની સજા થઇ હતી. ફ્રાંસ, તુર્કી અને ઇરાકમાં નિરાશ્રિત, ભટકતું જીવન જીવતા ખોમેનીએ વિદેશમાં રહીને પણ પહલવીનો વિરોધ ચાલુ રાખ્યોે હતો. ધીમે ધીમે ખોમેની ઇરાનના રાજકિય જુથો, ધાર્મિક સંગઠનો અને લોકોમાં લોકપ્રિય થયા હતા.
ખોમેની ભારત અને બ્રિટનના એજન્ટ હોવાના આક્ષેપ થયા હતા
અમેરિકાનું સમર્થન ધરાવતા ઇરાનના શાહ પહલવીએ ખોમેનીને ભારત અને બ્રિટનના એજન્ટ હોવાના આક્ષેપ કર્યા હતા. ૧૯૭૮માં ઇરાનના એક અખબારમાં ખોમેનીને ઇશ્કની ગઝલમાં મસ્ત રહેતા ભારતીય મૂળના મૂલ્લા ગણાવ્યા હતા. જો કે આવા આક્ષેપોની પરવા કર્યા વિના ઇરાનની પ્રજા ખોમેનની સમર્થનમાં રસ્તા પર આવી ગઇ હતી. ઇરાનમાં શાસન પરીવર્તનની ક્રાંતિને પારખીને શાહ પહલવી ૧૬ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ ઇરાન છોડીને વિદેશ ભાગી ગયા હતા. ૧૪ વર્ષ ઇરાન બહાર રહયા પછી આયાતોલ્લાહ ખોમેની ૧ ફેબુ્આરી ૧૯૭૯ના રોજ ઇરાન આવ્યા ત્યારે તહેરાનમાં તેમના સ્વાગત માટે ૫૦ લાખ લોકો એકઠા થયા હતા. આ સર્વોચ્ચ લિડરે ઇરાનની શાહ શાહી ફગાવીને ઇસ્લામિક ગણરાજય ઇરાનની સ્થાપના કરી હતી.



