ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે IMAએ જાહેર કર્યા હેલ્પલાઈન નંબર, મેડિકલ ગાઈડન્સ મળશે | indians stranded in west asia war helpline numbers ima

![]()
Iran Israel War : અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર અનેક ખાડી દેશો પર પડી રહી છે. કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં પરિસ્થિતિ વણસી છે. આ દેશોમાં લાખો ભારતીય નાગરિકો ફસાયેલા છે. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના કેટલાક સભ્યો પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પશ્ચિમ એશિયામાં આશરે 96 લાખ ભારતીય નાગરિકો રહે છે, જેઓ ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે કોઈને કોઈ રીતે પ્રભાવિત થયા છે.
IMA ના અનેક સભ્યો ફસાયા
ઇન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) જણાવ્યું કે, તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકોની સાથે છે. જરૂરિયાતમંદ લોકો સંબંધિત દેશોમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, IMA ના સભ્યો સહાય માટે ઓનરરી ફાઇનાન્સ સેક્રેટરી ડૉ. પીયૂષ જૈનનો પણ સંપર્ક કરી શકે છે. IMA એ તમામ લોકોને શાંત રહેવા અને આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી છે. જેથી જરૂરિયાતમંદોને સમયસર મદદ મળી રહે.
ભારતીય દૂતાવાસના ઈમરજન્સી સંપર્ક નંબરો:
કુવૈત: ફોન: +965-65501946
ઓમાન: ફોન: +968-98282270, 80071234 (ટોલ ફ્રી)
સાઉદી અરેબિયા: ફોન: 00-966-11-4884697, 00-966-542126748, 8002471234 (ટોલ ફ્રી, ફક્ત વોટ્સએપ)
બહેરીન: ફોન: 00973-39418071
સંયુક્ત આરબ અમીરાત (UAE): ફોન: 800-46342 (ટોલ ફ્રી), +971543090571
પશ્ચિમ એશિયામાં આશરે 96 લાખ ભારતીય નાગરિકો પ્રભાવિત
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે ભારતીય નાગરિકો પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. પશ્ચિમ એશિયામાં રહેતા આશરે 96 લાખ ભારતીયોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને ખાડી દેશોમાં કામ કરતા શ્રમિકોનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિ જોતા વિદ્યાર્થીઓની હાલત સૌથી વધુ કફોડી છે અને તેઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ભારતમાં તેમના પરિવારો પણ આ બાબતે ભારે ચિંતામાં છે.
ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા
આ નાગરિકોમાંથી લગભગ 40 લાખ ભારતીયો એકલા UAE માં વસેલા છે. આ સિવાય સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને કુવૈત જેવા દેશોમાં પણ ભારતીયો મોટી સંખ્યામાં કામ કરે છે. વર્તમાન કટોકટીને કારણે આ દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. જોકે, ભારત સરકાર આ દેશોના અધિકારીઓના સતત સંપર્કમાં છે અને ભારતીયોને ખાતરી આપી છે કે પરિસ્થિતિ સુધરતા જ તેમને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.



