અમેરિકાના બદલે દુબઈ પર કેમ હુમલા કરી રહ્યું છે ઈરાન? જાણો 9 મુસ્લિમ દેશો પર મિસાઈલ છોડવાનું કારણ | why iran attacked dubai economic strategic reasons 2026

![]()
Iran Iraq War : ઈરાને અમેરિકા અને ઈઝરાયેલ સામે મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ કર્યા બાદ 9 મુસ્લિમ દેશો પર હુમલો કર્યો છે. આમાં સૌથી વધુ નુકસાન તેણે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના દુબઈ શહેરને પહોંચાડ્યું છે. 28 ફેબ્રુઆરીએ દુબઈ પર ઈરાને મિસાઈલોનો વરસાદ કર્યો હતો. જેના કારણે શહેરમાં ભારે તબાહી સર્જાઈ અને કટોકટી (Emergency) જાહેર કરવી પડી. આ હુમલામાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. રસપ્રદ વાત એ છે કે, દુબઈમાં કોઈ અમેરિકી સૈન્ય મથક નથી, છતાં ઈરાને તેને કેમ નિશાન બનાવ્યું? નિષ્ણાતોના મતે તેનું મુખ્ય કારણ દુબઈનું આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ છે.
દુબઈમાં વધતું અમેરિકી રોકાણ
2015 થી 2024 વચ્ચે દુબઈમાં અંદાજે 21.7 બિલિયન ડોલર (આશરે ₹1.8 લાખ કરોડ) નું અમેરિકી રોકાણ આવ્યું છે. શહેરમાં 1,500 થી વધુ અમેરિકન કંપનીઓની ઓફિસો છે. જેમાં Boeing, Microsoft, IBM અને Google જેવા મોટા નામો સામેલ છે. 2024માં અમેરિકા અને UAE વચ્ચેનો વેપાર અંદાજે 34.4 બિલિયન ડોલર રહ્યો હતો.
જેબેલ અલી પોર્ટ ખુબ જ મહત્વનું
દુબઈનું જેબેલ અલી પોર્ટ પણ વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. આ પોર્ટ વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત હાર્બર છે અને અહીં અમેરિકી યુદ્ધ જહાજોને પણ રોકાવાની સુવિધા મળે છે. તેથી, દુબઈ પર હુમલો કરીને ઈરાને અમેરિકાના સાથીદારો અને તેમના વ્યાપારી કેન્દ્રોને નિશાન બનાવ્યા છે. ઈરાને આ હુમલામાં 137 બેલેસ્ટિક મિસાઈલ અને 209 ડ્રોન છોડ્યા હતા.
પાડોશી દેશો પર કેમ હુમલો કરી રહ્યું છે ઈરાન?
ઈરાનની વ્યૂહરચના આર્થિક નુકસાન પર આધારિત છે. જો ઈરાની શાસન સંકટમાં આવે, તો તેની યોજના એ છે કે UAE અને સઊદી અરેબિયા જેવા સમૃદ્ધ પાડોશી દેશોને પણ આર્થિક નુકસાન પહોંચાડવું. દુબઈના પ્રમુખ પ્રવાસન સ્થળો જેવા કે પામ જુમેરાહ અને બુર્જ ખલીફા નજીકના વિસ્તારો પર હુમલા કરવાથી શહેરની છબી અને પ્રવાસન (Tourism) પર માઠી અસર પડશે.
શું ઈરાનની આ વ્યૂહરચના સફળ થશે?
ઈરાન ઈચ્છે છે કે, દુબઈ અને UAE અમેરિકા પર દબાણ લાવે જેથી તે તેની નીતિઓ બદલે. પરંતુ આ વ્યૂહરચના ઉંધી પડી શકે છે. દુબઈ અને સાઉદી અરેબિયાએ એકતા દર્શાવી છે અને ઈરાની હુમલા સામે સંયુક્ત વલણ અપનાવ્યું છે. દુબઈના આર્થિક મહત્વ અને વૈશ્વિક વ્યાપારી જોડાણોને કારણે આ હુમલો ઈરાનને વિશ્વ સ્તરે વધુ એકલું પાડી શકે છે.
ભૌતિક નુકસાન મુખ્ય ઉદ્દેશ્ય
દુબઈ પરના હુમલાનો હેતુ માત્ર ભૌતિક નુકસાન પહોંચાડવાનો જ નહીં, પરંતુ અમેરિકા અને તેના સાથીઓના આર્થિક અને વ્યૂહાત્મક હિતોને નબળા પાડવાનો હતો. જેબેલ અલી પોર્ટ અને અમેરિકી યુદ્ધ જહાજોનું રોકાણ આ વ્યૂહરચનાનો મહત્વનો ભાગ રહ્યો છે. આનાથી પ્રાદેશિક શાંતિ અને વૈશ્વિક વેપાર પર ઊંડી અસર પડી છે.


