ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી, પશ્ચિમ એશિયાની મુસાફરી કરતા પહેલા ખાસ વાંચો | indigo and air india issue travel advisory amid us Iran Israel Conflict

Iran Israel Conflict News: ઈરાન અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં યુદ્ધની સ્થિતિને કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. એર ઈન્ડિયા બાદ ઈન્ડિંગો એરલાઇન્સ દ્વારા ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં મુસાફરોને આગ્રહ કરવામાં આવ્યો છે કે પ્રવાસ પહેલા પોતાના ફ્લાઈટની સ્થિતિની ચકાસણી જરૂર કરી લે, બીજી તરફ દુબઈમાં અમેરિકાના સૈન્ય ઠેકાણા પર ઈરાનના હુમલા બાદ એર ઈન્ડિયાની દુબઈ જતી ફ્લાઇટ પરત ફરી છે.
ઈન્ડિગો એરલાઈને રાત્રે 12 વાગ્યા સુધી ફ્લાઈટ્સ રદ કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઈન્ડિગોએ મુસાફરોને સૂચન કર્યું છે કે, ‘અમે ઈરાન અને તેના હવાઈ ક્ષેત્ર સાથે જોડાયેલા અપડેટ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ, અમારા મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, સ્થતિને બદલતી જોઈઅમારી ટીમો કોઈ પણ જરૂરી ફેરફાર કરવા માટે તૈયાર છે. ઈરાન અને પશ્ચિમ એશિયાના હવાઈ ક્ષેત્રોમાં પ્રતિબંધને કારણે દુબઈ, જેદ્વાહ, દોહા, અબુ ધાબી, દમ્મામ, બહેરીન, શારજાહ, કુવૈત અને રાસ અલ-ખાઈમાહ જેવા મહત્વના શહેરોની ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે. આ ફ્લાઈટ્સ આજે ભારતીય સમય અનુસાર રાત્રે 12 વાગ્યા સુધી રદ રહેશે.

એર ઈન્ડિયાએ પશ્ચિમ એશિયાના અનેક દેશોની તમામ ફ્લાઇટ રદ કરી
એર ઈન્ડિયાએ પણ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને પગલે મોટી જાહેરાત કરી છે. એરલાઈને એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું છે કે, સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ એશિયાના તમામ ગંતવ્ય સ્થાનો માટેની ફ્લાઈટ્સ તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે. એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો અને સ્ટાફની સુરક્ષા તેમના માટે સર્વોપરી છે અને તેઓ સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જે મુસાફરોની સફર પ્રભાવિત થઈ છે, તેઓ એરલાઈનના 24×7 હેલ્પ સેન્ટર (+91 1169329333 અથવા +91 1169329999) પર સંપર્ક કરી શકે છે અથવા સત્તાવાર વેબસાઈટ (https://airindia.com/in/en/manage/flight-status.html) પર જઈને પોતાની ફ્લાઈટનું સ્ટેટસ તપાસી શકે છે. એર ઈન્ડિયાની ટીમ પ્રભાવિત મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડશે.

ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા
ઈરાનમાં હાલ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે માંગ કરી છે કે તેમને તાત્કાલિક ઈરાનથી સુરક્ષિત બહાર કાઢવામાં આવે.
ઈઝરાયલમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી
બીજી તરફ ભારત સરકારે ઈઝરાયલમાં વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરી છે. નાગરિકોને સાવધાની રાખવા, હંમેશા સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ ‘હોમ ફ્રન્ટ કમાન્ડ’ દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા જણાવાયું છે. આ ઉપરાંત ભારતીય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવા અને સ્થાનિક સમાચાર તથા કટોકટીની ચેતવણીઓ પર સતત નજર રાખવાનું જણાવાયું છે. કોઈપણ કટોકટીના સમયે મદદ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો 24×7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 અથવા ઈ-મેલ cons1.telaviv@mea.gov.in દ્વારા સંપર્ક કરી શકાય છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈઝરાયલ-ઈરાન મહાયુદ્ધની તમામ લાઈવ અપડેટ્સ
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી, ઈમરજન્સી નંબર પણ જાહેર



