‘ખાલિસ્તાની નિજ્જર પણ નિશાને હતો પરંતુ…’, અમેરિકન એજન્સી સામે નિખિલ ગુપ્તાની વધુ એક કબૂલાત | nikhil gupta confession pannun nijjar murder plot us court

Nikhil Gupta Admits Pannun Murder Plot: અમેરિકામાં શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રમાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકન એજન્સીઓ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અહેવાલો અનુસાર, તેણે યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન(DEA)ને કબૂલાત આપી છે કે કેનેડામાં ઠાર થયેલ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર પણ તેની હિટલિસ્ટમાં હતો. જોકે, તેની યોજના અમલમાં મુકાય તે પૂર્વે જ અજાણ્યા હુમલાખોરોએ નિજ્જરની હત્યા કરી નાખી હતી. વધુમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નિખિલ ગુપ્તાએ પોતાના પર લાગેલા તમામ આરોપોનો સ્વીકાર કરી લીધો છે.
પન્નુ-નિજ્જર વચ્ચેના કનેક્શનનો ખુલાસો
નોંધનીય છે કે, ભારતથી ફરાર થઈ કેનેડાની નાગરિકતા મેળવનાર હરદીપ સિંહ નિજ્જરની 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયામાં હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ભારત સરકાર દ્વારા અગાઉથી જ જાહેર કરાયેલ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના દસ્તાવેજો અનુસાર, નિખિલ ગુપ્તાએ કબૂલાત કરી છે કે તેના નિશાના પર અનેક લોકો હતા, જેમાં નિજ્જરનો પણ સમાવેશ થતો હતો. વધુમાં, પન્નુ અને નિજ્જર બંને સતત એકબીજાના સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યું છે.
ગુરપતવંત સિંહ પન્નુ વિદેશમાં આશ્રય લઈને ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચલાવે છે અને પંજાબને અલગ કરી ‘ખાલિસ્તાન’ બનાવવાનો એજન્ડા પ્રોત્સાહિત કરે છે. અમેરિકન વકીલના દાવા મુજબ, નિખિલ ગુપ્તાને એવી કડક સૂચના અપાઈ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન પન્નુ પર હુમલો ન કરવો. જૂન 2023માં વડાપ્રધાન મોદીના અમેરિકા આગમનના માત્ર બે દિવસ પહેલા જ નિજ્જરની હત્યા થઈ ગઈ હતી.
ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ
નિખિલ ગુપ્તાને જૂન 2024માં ચેક રિપબ્લિકથી અમેરિકા લાવવામાં આવ્યો હતો અને મેનહેટન ફેડરલ કોર્ટમાં રજૂ કરાયો હતો. તે સમયે તેણે પોતાની જાતને નિર્દોષ ગણાવી હતી. ન્યૂયોર્કમાં પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર અમેરિકાની વિનંતી પર તેની ધરપકડ કરવામાં આવી હતી. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા એમ બંને દેશની નાગરિકતા છે.
પન્નુની હત્યા માટે મોટી રકમની ડીલ?
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનું કહેવું છે કે નિખિલ ગુપ્તા ભારત અથવા અન્ય કોઈ જગ્યાએથી સૂચનાઓ લેતો હતો. આ કાવતરામાં વિકાસ યાદવ નામની વ્યક્તિ સામેલ છે જેને ભારત સરકારનો કર્મચારી બતાવવામાં આવ્યો છે. દાવો છે કે યાદવના કહેવા પર ગુપ્તા શાર્પશૂટર્સનો સંપર્ક કરતો હતો. અમેરિકન પ્રશાસન મુજબ, પન્નુની હત્યા બદલ ગુપ્તાને 1 લાખ ડોલર આપવાનું વચન અપાયું હતું અને જૂન 2023માં 15 હજાર ડોલર એડવાન્સ પણ આપવામાં આવ્યા હતા. ગુપ્તાને ટાર્ગેટનું એડ્રેસ અને ફોન નંબર જેવી અંગત માહિતી પણ પૂરી પાડવામાં આવતી હતી. આખરે 30 જૂન, 2023ના રોજ ચેક રિપબ્લિકમાંથી તેની ધરપકડ થઈ હતી.




