ભવનાથમાં અલખ નાદ: સાધુઓના ધૂણા અને ભસ્મનું ગૂઢ રહસ્ય, જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ | Junagadh: Mystery of Sadhus’ Dhuna and Bhasma During Mahashivratri Mela

Junagadh Mahashivratri Mela: જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રીના મેળાનો પ્રારંભ થતા જ ચારેબાજુ ‘હર હર મહાદેવ’ અને ‘અલખ નિરંજન’ના નાદ ગૂંજી રહ્યા છે. ગિરનારની તળેટીમાં હજારો સાધુ-સંતોએ પોતાના પડાવ નાખ્યા છે, જ્યાં સૌથી વધુ આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર સાધુઓના ‘ધૂણા’ અને તેમના શરીર પર શોભતી ‘ભસ્મ’ છે.

ધૂણો સંસારની મોહમાયા બાળવાનું પ્રતીક
સાધુઓ માટે ધૂણો એ માત્ર અગ્નિનો કુંડ નથી, પરંતુ સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ અને તેમનું મંદિર છે. સાધુઓ ધૂણાની આસપાસ બેસીને મંત્ર જાપ અને ઘોર સાધના કરે છે. ધૂણો એ કામ, ક્રોધ અને લોભ જેવા માનવીય વિકારોને અગ્નિમાં હોમીને આત્માને શુદ્ધ કરવાનું પ્રતીક મનાય છે.

ભસ્મનું મહત્ત્વ
સાધુઓ પોતાના શરીર પર જે ભસ્મ (ભભૂત) લગાવે છે, તેની પાછળ ગહન રહસ્ય છુપાયેલું છે. ભસ્મ એ અંતિમ સત્યની યાદ અપાવે છે કે આ નશ્વર દેહ એક દિવસ રાખમાં મળી જવાનો છે. તે મનુષ્યના અહંકારને ઓગાળી તેને નમ્ર બનાવે છે. શિવ સ્વરૂપ ધારણ કરી સાધુઓ પોતાના આરાધ્ય સાથે એકાકાર થાય છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ, ભસ્મ શરીરના રોમ છિદ્રોને બંધ કરે છે, જેનાથી કડકડતી ઠંડી કે અસહ્ય ગરમીની શરીર પર નહિવત્ અસર થાય છે. આ ઉપરાંત, તે ચામડીના રોગો સામે રક્ષણ આપે છે અને નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે.

સર્વ જીવ સૃષ્ટિના કલ્યાણની ભાવના
ભવનાથમાં બિરાજમાન આ સાધુઓની સાધના માત્ર માનવજાત પૂરતી મર્યાદિત નથી. અનેક સંતો પ્રાણી સૃષ્ટિ અને તમામ 84 લાખ યોનીઓના કલ્યાણ માટે ધૂણામાં આહુતિ આપી રહ્યા છે. મૂંગા જીવોનું પણ કલ્યાણ થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે અહીં ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો છે.



