‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | what is substantive motion nishikant dubey notice against rahul gandhi

![]()
Substantive Motion Against Rahul Gandhi : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. ગુરુવારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને રાહુલ ગાંધી વિરુદ્ધ ‘સબસ્ટેન્ટિવ મોશન’ (Substantive Motion) માટે નોટિસ આપી છે. દુબેએ આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમના સંબંધો ભારત વિરોધી શક્તિઓ સાથે છે.
શું છે નિશિકાંત દુબેના ગંભીર આક્ષેપો?
ઝારખંડના ગોડ્ડાથી સાંસદ નિશિકાંત દુબેએ નોટિસ આપ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ભારત વિરોધી સંગઠનો સાથે સાંઠગાંઠ છે. દુબેનો દાવો છે કે, રાહુલ ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન, ફોર્ડ ફાઉન્ડેશન અને USAID જેવી સંસ્થાઓ સાથે મળીને ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યા છે. દુબેએ ગાંધીના વિદેશ પ્રવાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી થાઇલૅન્ડ, કંબોડિયા, વિયેતનામ અને અમેરિકા જઈને ભારત વિરોધી શક્તિઓ સાથે મુલાકાત કરે છે.
દુબેએ ગાંધી પર આજીવન પ્રતિબંધની માગ કરી હતી. નિશિકાંત દુબેએ માગ કરી છે કે, રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે અને તેમના પર ચૂંટણી લડવા માટે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
બંન્ને પક્ષો વચ્ચે ઘર્ષણનું કારણ
રાહુલ ગાંધી હાલમાં બજેટ સત્ર દરમિયાન મોદી સરકાર પર સતત આક્રમક પ્રહારો કરી રહ્યા છે. હાલમાં જ તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે સરકાર પર ‘દેશ વેચી દેવાનો’ ગંભીર આરોપ લગાવ્યો હતો. જે બાદ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે.
શું હોય છે ‘સબસ્ટેન્ટિવ મોશન’?
સંસદીય પ્રક્રિયામાં આ એક અત્યંત મહત્ત્વનો અને સ્વતંત્ર પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ કોઈ ખાસ ગંભીર મુદ્દા કે વ્યક્તિ વિરુદ્ધ લાવવામાં આવે છે. આનો ઉપયોગ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા, મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવવા અથવા સાંસદોનું સભ્યપદ રદ કરવા જેવી ગંભીર બાબતો માટે થાય છે.
હવે શું થશે?
આ મોશન સ્વીકારવો કે નહીં તેનો અંતિમ નિર્ણય લોકસભા સ્પીકર ઓમ બિરલા લેશે. જો સ્પીકર મંજૂરી આપે, તો ગૃહમાં તેના પર ચર્ચા અને મતદાન થઈ શકે છે. જો મતદાન થાય તો ભાજપ પાસે રહેલું સાંસદોનું બળ જોતાં તે ગૃહમાંથી પસાર થઈ જાય તો પણ નવાઈ નહી. જો કે શું થાય છે તે તો આગામી સમય જ કહેશે.
શા માટે નિશિકાંત દુબેએ સબસ્ટેન્ટિવ મોશન પસંદ કર્યો?
નિશિકાંત દુબે માત્ર રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવા નથી માંગતા, પરંતુ તેઓ ઇચ્છે છે કે રાહુલ ગાંધીનું સભ્યપદ કાયમ માટે રદ થાય અને તેમના પર ચૂંટણી લડવાનો આજીવન પ્રતિબંધ લાગે. પ્રિવિલેજ મોશનમાં આજીવન પ્રતિબંધની જોગવાઈ મુશ્કેલ છે, તેથી તેમણે વધુ શક્તિશાળી ગણાતા ‘સબસ્ટેન્ટિવ મોશન’નો સહારો લીધો છે.
| સબસ્ટેન્ટિવ મોશન | પ્રિવિલેજ મોશન | |
| સ્વરૂપ | સ્વતંત્ર અને ગંભીર પ્રસ્તાવ | ગૃહના નિયમોના ભંગ બદલ નોટિસ |
| મુખ્ય લક્ષ્ય | પદ પરથી હટાવવા કે સભ્યપદ રદ કરવા | શિસ્તભંગ બદલ કાર્યવાહી કરવા |
| નિર્ણય પ્રક્રિયા | સીધી ગૃહમાં ચર્ચા અને મતદાન થઈ શકે | પહેલા તપાસ સમિતિ પાસે જાય છે |
| ઉદાહરણ | રાષ્ટ્રપતિ કે જજ વિરુદ્ધની કાર્યવાહી | ખોટું બોલવા બદલ મંત્રી વિરુદ્ધ નોટિસ |



