ગોવિંદ નામદેવના દાવાથી કાલા હિરનનો વિવાદ વધુ વકર્યો | Govind Namdev claim further intensifies the controversy over Kala Hiran

![]()
– સલમાન ખાન દ્વારા સ્ટેની માગણી થઈ ચૂકી છે
– નિર્માતાએ નામદેવને માફી અને વળતરની માગણી કરતી કાનૂની નોટિસ ફટકારી
મુંબઈ : સલમાન ખાન સાથે સંકળાયેલા ૧૯૯૮ના કાળા હરણના શિકારના કેસથી પ્રેરિત હોવાનું મનાતી ફિલ્મ ‘કાલા હિરન’ ફરતેનો વિવાદ વધી ગયો છે. નિર્માતા અમિત જાનીએ અગ્રણી કલાકાર ગોવિંદ નામદેવને કાનૂની ચેતવણી જારી કરી છે.
નામદેવે તાજેતરમાં તેને પ્રોજેક્ટમાં ગેરમાર્ગે દોરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. નામદેવે કહ્યું હતું કે ફિલ્મનું મૂળ નામ ‘સંભલ’ હતું અને વાર્તાને પછી ફેરવી નાખવામાં આવશે તેવી તેને જાણ નહોતી.
ગોવિંદ નામદેવના આરોપના પ્રતિસાદમાં અમિત જાનીએ તેને નોટિસ આપીને સાત દિવસમાં માફી માગવાની તેમજ પચાસ લાખનું વળતર આપવાની માગણી કરી છે. નિર્માતાએ જણાવ્યું કે નામદેવે કાલા હિરનમાં તેમજ તેની સીક્વલમાં પણ પૂરતી જાણકારી સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું.
ફિલ્મ હાઈ પ્રોફાઈલ કાળા હરણ કેસ સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવતા પહેલેથી વિવાદમાં ઘેરાયેલી છે. ફિલ્મમાં સલમાન ખાનના નામનો ઉલ્લેખ નથી પણ તેના અને ટીઝરમાં દર્શાવવામાં આવેલા કલાકાર આયાન ખાન વચ્ચે ઘણુ સામ્ય છે. દરમ્યાન સલમાન ખાને દિલ્હી હાઈ કોર્ટમાં ફિલ્મ પર સ્ટે મુકવાની માગણી કરી છે જેની સુનાવણી ૧૯ જૂને થવાની છે.



