‘ઈરાન ડીલ અને શાંતિને બરબાદ ન કરો’ ઇઝરાયલના બૈરુત પર ભયાનક હુમલાથી ભડક્યા ટ્રમ્પ | donald trump slams israel beirut attack over us iran peace deal

![]()
Donald Trump Slams Israel Beirut Attack: ઇઝરાયલે લેબનોનની રાજધાની બૈરુત પર રવિવારે (14 જૂન) બોમ્બ ફેંક્યા હતા. આ હુમલામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 15 ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ આ હુમલો એવા સમયે થયો જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મોટો શાંતિ કરાર લગભગ અંતિમ તબક્કામાં છે. આ હુમલાથી ઈરાન ગુસ્સે થયુ છે કે આ ડીલ તૂટવાની નોબત આવી છે અને હવે ખુદ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ‘આ હુમલો ન થવો જોઈતો હતો. ઈરાન ડીલ અને શાંતિને બરબાદ ન કરો…’ જ્યારે ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેઝેશ્કિયને કહ્યું છે કે, વાતચીત જ સંકટમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ છે.’
આ સમગ્ર મામલામાં ત્રણ મુખ્ય પક્ષો છે. પહેલું ઇઝરાયલ. આ દેશ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર સતત હુમલો કરી રહ્યો છે. બીજું, હિઝબુલ્લાહ. તે લેબનોનમાં સ્થિત એક આતંકવાદી સંગઠન છે. તેનો સૌથી મોટો મિત્ર અને સમર્થક ઈરાન છે. ઈરાન તેને પૈસા, શસ્ત્રો અને તાલીમ પૂરી પાડે છે. સરળ શબ્દોમાં કહીએ તો, હિઝબુલ્લાહ ઈરાનના પક્ષે લડે છે. ત્રીજું, ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ. આ બંને દેશો હાલમાં એક મોટા શાંતિ કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
સમગ્ર મામલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે, ‘આજે સવારે બૈરુત પર હુમલો થવો જોઈતો ન હતો, ખાસ કરીને જ્યારે આપણે ઈરાન સાથે શાંતિ કરારની ખૂબ નજીક હતા. ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે, પરંતુ જેના જવાબમાં ઇઝરાયલે આ કાર્યવાહી કરી તે હુમલો ખૂબ નાનો હતો. તે હુમલામાં કોઈનું મૃત્યુ કે ઈજા થઈ ન હતી.’
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇઝરાયલને સીધું કહ્યું કે, ‘લેબનોનમાં હવે વધુ હુમલા ન થવા જોઈએ.’ તેમણે હિઝબુલ્લાહને પણ કહ્યું કે, ‘ઇઝરાયલ પર કોઈ હુમલા ન થવા જોઈએ.’
હુમલા પછી ઈરાને શું કહ્યું?
બૈરુત પરના હુમલા બાદ ઈરાન ગુસ્સે ભરાયું હતું. ઈરાનની સેનાના ડેપ્યુટી કમાન્ડરે કહ્યું, ‘લેબનોનમાં ઇઝરાયલની કાર્યવાહીનો જવાબ નહીં મળે.’
ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેઝેશ્કિયનનું મોટું નિવેદન
ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેઝેશ્કિયને કહ્યું કે, સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે નિષ્કર્ષ કાઢ્યો છે કે વાતચીત ચાલુ રાખવી જોઈએ. તેમણે દેશને ‘ન યુદ્ધ, ન શાંતિ ‘ની કંટાળાજનક પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે ટોચના નેતૃત્વ સાથે વાત કરી હતી અને તેમને આદરપૂર્ણ વાટાઘાટો કરવા માટે પરવાનગી મળી હતી.’
રવિવારે ઇઝરાયલે બૈરુતના દહિયા વિસ્તારમાં બીજો મોટો હુમલો કર્યો. જેમાં ત્રણ લોકો માર્યા ગયા અને 15 ઇજાગ્રસ્ત થયા. બૈરુતના આકાશમાં ધુમાડાના મોટા ગોટા છવાઈ ગયા. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ પોતે સોશિયલ મીડિયા પર લખ્યું કે, હિઝબુલ્લાહે પહેલા ઉત્તરી ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, તેથી આ બદલો લેવાની કાર્યવાહી હતી.



