ચાર દિવસમાં જ ભારતીય જહાજ ઉપર ત્રીજો હુમલો ભારતે અમેરિકાના રાજદ્વારીને બીજીવાર બોલાવ્યા | Third attack on Indian ship in four days India summons US diplomat for second time

![]()
– દુનિયાભરમાં 3.20 લાખ ભારતીયનાવિકો કાર્યરત છે
– ઓમાનના તટ પાસે 20 ભારતીય ક્રૂ વાળાં ભારતીય જહાજ ઉપર એક જ સપ્તાહમાં થયેલા આ હુમલા અંગે ભારત નારાજ
નવી દિલ્હી : ઓમાનના તટ પાસે, કોમર્શિયલ જહાજો ઉપર થયેલા હુમલાઓ અંગે સખત વિરોધ દર્શાવવા ભારતે અમેરિકાના ચાર્જ દ’ અફેર્સ (ઉપરાજદૂત) જેસન મિક્ષને બોલાવી પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ઓમાનના તટ ઉપર ૨૦ ભારતીય ક્રૂવાળાં એક વ્યાપારી જહાજ ઉપર ચાર દિવસમાં જ થયેલો આ ત્રીજો હુમલો છે.
વિદેશ મંત્રાલયના એડીશનલ સેક્રેટરી (યુ.એસ.) દ્વારા અમેરિકાના રાજદ્વારીને તત્કાળ મળી જવા કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખાડી ક્ષેત્રમાં કોમર્શિયલ શિપિંગ ઉપર વધી રહેલા ભયને અનુલક્ષીને ભારતે તેની રાજકીય ગતિ વિધિ વધારી દીધી છે.
કોમર્શિયલ જહાજો ઉપર પણ ખાડી વિસ્તારમાં વારંવાર થઇ રહેલા હુમલાઓ પછી ડાયરેક્ટરરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા હોર્મુઝ સ્ટ્રેઇટ્સ ગલ્ફ ઓફ ઓમાન અને આસપાસના વિસ્તારોમાં કામ કરતા આશરે ૧૮૦૦૦ જેટલા ભારતીય નાવિકો અંગે નવી એડવાઇઝરી જાહેર કરી છે.
આ એડવાઇઝરીમાં તાજેતરમાં બનેલી ત્રણ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ઓમાનના તટ ઉપર થયેલો એક જાનલેવા હુમલાનો પણ ઉલ્લેખ કરાયો છે કે જેમાં ત્રણ ભારતીય નાવિકોનાં નિધન થયાં હતાં.
પહેલી ઘટના ૮મી જૂને એમ.ટી.મેરેવિક્સ સંબંધે બની તેમાં એક સંદિગ્ધ હુમલા પછી એક ટેન્કરમાં આગ લાગી હતી, પરંતુ તેમાં રહેલા તમામ ચોવિસે ચોવિસ ભારતીય નાવિકો સુરક્ષિત રહ્યા હતા તેમને બચાવી લેવાયા હતા. બીજો હુમલો ૧૦મી જૂને થયો હતો. ત્યારે ઓમાનના ગલ્ફમાં એમ.ટી. સ્ટેટેબેલો ઉપર હુમલો થયો હતો. તેમાં પણ ૨૪ ભારતીય નાવિકો હતા તે પૈકી ૨૧ને તો બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ શરૂમાં ત્રણ લાપત્તા હતા જેઓનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ પછીથી થઇ હતી.
ત્રીજી ઘટના ગુરૂવારે બની જે પણ ઓમાનના તટપાસે બની હતી. તે જહાજનું નામ એમ.ટી.જબ્બર હોવાનું જાણવા મળ્યું છે. તેમાં ૨૦ ભારતીય નાવિકો હતા.
ખાડી ક્ષેત્રમાંથી વિદેશી ઝંડાવાળાં જહાજો સહિત કેટલાયે જહાજો ઉપર કુલ ૧૮,૦૦૦થી વધુ ભારતીય નાવિકો કામ કરે છે. ભારત પાસે દુનિયામાં બીજા ક્રમાંકનું સી-ફેસિંગ વર્કફોર્સ છે તેમાં આશરે ૩ લાખ ૨૦ હજાર જેટલા ભારતીય નાવિકો કાર્યરત છે.



