ઈરાનનો અત્યાર સુધીનો સૌથી મોટો વળતો પ્રહાર, 3 દેશોમાં 18 અમેરિકન સૈન્ય ઠેકાણા હચમચાવ્યા | US Iran War Live Updates: Iran Attacks US Fifth Fleet in Bahrain with Drones

![]()
Iran vs USA War Updates : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી અને અમેરિકન સેના દ્વારા ટૉમહૉક ક્રૂઝ મિસાઇલોના પ્રહાર બાદ, ઈરાને પણ અમેરિકા સામે આરપારની લડાઈનું એલાન કરીને જોરદાર વળતો પ્રહાર કર્યો છે. પશ્ચિમ એશિયા (Middle East) માં યુદ્ધની સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે બહેરીનમાં સ્થિત અમેરિકન નૌકાદળના પાંચમા બેડા (Fifth Fleet) ના હેડક્વાર્ટરને નિશાન બનાવીને ‘શાહિદ-136’ વિનાશક આત્મઘાતી ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. ઈરાને ફરી એકવાર બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને હચમચાવી નાખ્યા હતા.
અમેરિકન સૈન્ય મથકો અને એરબેઝ પર મોટું નુકસાન
ઈરાની ન્યૂઝ એજન્સી ‘મેહર’ ના જણાવ્યા અનુસાર, IRGC ની એરોસ્પેસ ફોર્સ અને નેવીએ બે તબક્કામાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ હુમલામાં અમેરિકાના અલ-સલેમ એર બેઝ, અહમદ અલ-જાબેર એર બેઝ અને શેખ ઇસા એર બેઝ પર આવેલા અંદાજે 18 જેટલા મહત્વના સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કરવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત, બહેરીનમાં અમેરિકન સેનાની કમ્યુનિકેશન સિસ્ટમ અને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમના રડાર લોકેશનને પણ નિશાન બનાવાયા છે, જેના કારણે સમગ્ર બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે. જૉર્ડને પણ પોતાની સરહદમાં આવતી ૫ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાની પુષ્ટિ કરી છે.
આર્થિક અને સૈન્ય મોરચે આ મોટા ઘટનાક્રમ સામે આવ્યા
હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ સીલ: દક્ષિણ ઈરાન પર અમેરિકાના બોમ્બમારાના જવાબમાં ઈરાને વૈશ્વિક તેલ સપ્લાયની લાઈફલાઈન ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. કોઈપણ જહાજને ત્યાંથી પસાર ન થવાની કડક ચેતવણી અપાઈ છે.
અમેરિકાનો ‘આર્થિક ચક્રવ્યૂહ’: આ સૈન્ય કાર્યવાહી વચ્ચે અમેરિકી નાણા મંત્રાલયે ઈરાનના હથિયાર નેટવર્ક, શેડો બેંકિંગ અને ક્રિપ્ટો નેટવર્કને તોડવા માટે ચીન અને હોંગકોંગની કંપનીઓ સહિત 9 વ્યક્તિઓ પર કડક આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે.
ટ્રમ્પના દાવા પર વિવાદ: પ્રમુખ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ પર દાવો કર્યો હતો કે ઈરાની અધિકારીઓએ હુમલા રોકવા માટે તેમનો સંપર્ક કર્યો છે. જો કે, તેહરાન યુનિવર્સિટીના પ્રોફેસર સૈયદ મોહમ્મદ મરંદી અને ઈરાની મીડિયાએ આ દાવાને તદ્દન ખોટો અને યુદ્ધથી બચવાનું બહાનુ ગણાવ્યો છે.
“હવે વધુ હુમલા નહીં, વધુ બહાના નહીં”
સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ ગંભીર સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તમામ પક્ષોને તાત્કાલિક રાજદ્વારી કરાર તરફ વળવા અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે આ યુદ્ધની અસરો સમગ્ર વિશ્વને ભોગવવી પડશે.



