રાજ્યસભા ચૂંટણી પહેલાં મોટો ખેલ: કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, રાતોરાત મોકલાશે કર્ણાટક? | MP Rajya Sabha Election mpcc chief jeetu patwari silent on congress mla shifting

![]()
Image Source: Twitter
MP Rajya Sabha Election: મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ચૂંટણી વચ્ચે પક્ષપલટો અને સંભવિત ક્રોસ વોટિંગની આશંકાઓને ધ્યાનમાં રાખીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના ધારાસભ્યોની ઘેરાબંદી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ આજે પોતાના ધારાસભ્યોને વિશેષ વિમાન દ્વારા કર્ણાટક મોકલી શકે છે. તમામ ધારાસભ્યોને બપોરે 12:00 વાગ્યે વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારના બંગલે પહોંચવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, ત્યારબાદ તેઓને શિફ્ટ કરવામાં આવી શકે છે.
ધારાસભ્યોને પોતાના પરિવારના સભ્યોને સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સ્ટાફને સાથે લઈ જવાની મંજૂરી નથી. કોંગ્રેસનું આ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભાજપે ત્રીજી રાજ્યસભા બેઠક માટે મહેશ કેવટને ઉમેદવાર બનાવ્યા છે અને ચૂંટણીમાં ક્રોસ વોટિંગની શક્યતાઓને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ છે.
ભાજપ સરકાર પર આકરા પ્રહાર
મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ રાજ્યસભા ચૂંટણી વચ્ચે ધારાસભ્યોના શિફ્ટિંગને લઈને સીધી કોઈ ટિપ્પણી નથી કરી, પરંતુ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘હું રાજ્યની 8 કરોડ જનતાને આગ્રહ કરવા માગું છું કે ભાજપે મધ્ય પ્રદેશના મૂળમાં ભ્રષ્ટાચાર ભરી દીધો છે. મેં પહેલા પણ કહ્યું હતું કે આ ‘અલી બાબા અને 40 ચોરોની સરકાર’ છે.’ તેમણે મુખ્યમંત્રી મોહન યાદવ પર હુમલો કરતા કહ્યું કે, ‘તેમને માત્ર ત્રણ જ કામ આવડે છે- ભ્રષ્ટાચાર કરવો, જાહેરાતો આપવી અને ગાળો આપવી.’
પટવારીએ ભાજપ પર ઉઠાવ્યા સવાલ
પટવારીએ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘જ્યારે પાર્ટી પાસે પૂરતા ધારાસભ્યો ન હતા, તેમ છતાં તેમણે ત્રીજો ઉમેદવાર ઉતાર્યો અને OBC સમુદાયના કેવટ પરિવારમાંથી આવતી વ્યક્તિને મેદાનમાં ઉતારી.’ તેમણે આરોપ લગાવ્યો કે, જે પાર્ટી પર મહિલા અનામતને લઈને સવાલો ઉઠતા રહ્યા છે, તેણે એક મહિલા ઉમેદવાર સામે આ વ્યૂહરચના અપનાવી છે.
પટવારીએ ભાજપ પર લગાવ્યા આરોપ
પટવારીએ પૂછ્યું કે, ‘જો ભાજપ ખરેખર ઓબીસી (OBC) પ્રતિનિધિત્વ ઈચ્છતી હતી, તો તે ઉમેદવારને પ્રથમ ક્રમ પર કેમ ન રાખવામાં આવ્યા અને બહારના ઉમેદવારને કેમ પ્રાથમિકતા આપવામાં આવી?’ તેમણે આરોપ લગાવ્યો કે, ‘ભાજપ OBC અનામત પણ આપવા નથી માંગતી અને OBC નેતાઓને માત્ર હારવા માટે જ ચૂંટણી મેદાનમાં ઉતારે છે.’
પટવારીએ કહ્યું કે, ‘આ જ ભાજપની ચાલ, ચરિત્ર અને ચહેરો છે. તેમણે દાવો કે, કોંગ્રેસ દેશભરમાં જનતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો જ વિજય થશે.’



