दुनिया

હચમચાવતી ઘટના : રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો આબાદ બચાવ | Sahara Desert Tragedy: 49 Die of Thirst After Truck Breaks Down in Niger



heartbreaking incident in the Sahara Desert : પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિશ્વના સૌથી ક્રૂર ગણાતા સહારાના રણ પ્રદેશમાં એક ટ્રક બગડી જતાં, તેમાં સવાર પ્રવાસીઓ ભયાનક ગરમી અને પાણીના અભાવે ફસાઈ ગયા હતા. આ અસહ્ય તાપમાન અને પાણીના એક-એક ટીપાં માટે તરસતા 49 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો એક મુસ્લિમ તહેવારમાં હાજરી આપીને માલી દેશથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટનાનો શિકાર બન્યા હતા.

અસમાકાથી 80 કિમી દૂર સર્જાઈ હોરર ફિલ્મ જેવી ઘટના

સ્થાનિક અગાદેઝ ગવર્નરેટ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ ઘટના નાઇજર અને અલ્જીરિયાની સરહદ નજીક આવેલા ક્રોસિંગ પોઇન્ટ ‘અસમાકા’ થી આશરે 80 કિલોમીટર દૂર એક નિર્જન અને અત્યંત અંતરિયાળ વિસ્તારમાં બની હતી.

રણની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક પ્રવાસીઓની ટ્રક ખોરવાઈ ગઈ હતી. ડ્રાઈવર, તેના મદદનીશો અને પ્રવાસીઓએ ગાડી રિપેર કરવાના અથાક પ્રયાસો કર્યા હતા પરંતુ વ્હીકલ ચાલુ થઈ શક્યું નહોતું. કમનસીબે, આ દરમિયાન ગાડીમાં રાખેલું પીવાનું પાણી પણ સંપૂર્ણપણે ખલાસ થઈ ગયું હતું. આસપાસ સેંકડો કિલોમીટર સુધી માત્ર ગરમ રેતી અને શેકાતો તડકો હોવાથી, 49 લોકો તરસના કારણે તરફડીને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા તમામ મૃતકોને રણ પ્રદેશમાં જ સામૂહિક કબરો બનાવીને દફનાવવામાં આવ્યા છે.

બે લોકોનો ચમત્કારિક બચાવ: 50 કિમી પગપાળા ચાલીને આપી માહિતી

આ ભયાનક કાળચક્ર વચ્ચે પણ બે લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. આ બંને બચી ગયેલા પ્રવાસીઓએ અગનગોળા ફેંકતી ગરમીમાં પણ હિંમત ન હારી અને રેતીના ઢુવાઓ વચ્ચે 50 કિલોમીટર કરતાં પણ વધુ અંતર પગપાળા કાપ્યું હતું. તેઓ જેમ-તેમ કરીને એક પાણીના સ્ત્રોત સુધી પહોંચ્યા અને ત્યાંથી અસમાકા તરફ આગળ વધ્યા હતા. આ બે વીર બચી ગયેલા લોકોએ જ સ્થાનિક સત્તાવાળાઓને ટ્રક બગડવાની અને અન્ય લોકો ફસાયા હોવાની પ્રથમ જાણકારી આપી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

પ્રવાસીઓ માટે ડેથ ઝોન ગણાય છે આ વિસ્તાર

ઉલ્લેખનીય છે કે, આ ચોક્કસ વિસ્તાર ગેરકાયદેસર અને આફ્રિકન પ્રવાસીઓ (Immigrants) ના અવરજવર માટેનો મુખ્ય માર્ગ માનવામાં આવે છે. અગાઉ પણ આ રૂટ પર ગરમી અને ભૂખ-તરસના કારણે સેંકડો લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. આ ઘટનાએ ફરી એકવાર રણ વિસ્તારની ભયાનકતા અને પ્રવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.



Source link

Related Articles

Back to top button