લુધિયાણાની ફેક્ટરીમાં ગેસ લીક થતાં પિતા-પુત્ર સહિત 3ના મોત, અનેક શ્રમિક બેભાન થયા | 3 including father and son die due to gas leak in Ludhiana factory

![]()
Image Source: Twitter
Gas Leak at Ludhiana Factory: પંજાબના લુધિયાણામાં સોમવારે વહેલી સવારે સર્જાયેલી એક દુ:ખદ ઔદ્યોગિક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી મૂકયો છે. પાના-ચાવી બનાવતી એક ફેક્ટરીમાં અચાનક ઝેરી ગેસ ગળતર થતાં ત્યાં કામ કરી રહેલા મજૂરોમાં અફરા-તફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના ગૂંગળામણના કારણે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક મજૂરોની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફેક્ટરી પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ
આ ઘટના બાદ ફેક્ટરી પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ બની ગયો છે. મૃતકોની ઓળખ માનસિંહ અને તેમના પુત્ર અમિત તરીકે થઈ છે, જ્યારે ત્રીજા મૃતકની ઓળખ શ્રીરામ તરીકે થઈ છે. આ વ્યક્તિ ફેક્ટરીમાં જ કામ કરતા હતા અને રોજની જેમ સોમવારે સવારે પણ પોતાની ડ્યૂટી પર આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સવારે કામકાજ સામાન્ય રીતે ચાલી રહ્યું હતું.
Ludhiana, Punjab: A toxic gas leak at a factory on R Road near a toll unit has claimed three lives, while two others remain critically injured. According to workers, the exposure occurred while leaving the premises. District administration teams have reached the spot and launched… pic.twitter.com/AVi9N2Dqxz
— IANS (@ians_india) June 1, 2026
ઝેરી ગેસ લીક
આ દરમિયાન અચાનક કોઈ પાઈપલાઈન અથવા ગેસ સિલિન્ડરમાંથી ઝેરી ગેસ લીક થવાનું શરૂ થઈ ગયું. જોતજોતામાં આ ગેસ સમગ્ર પરિસરમાં ફેલાઈ ગયો હતો અને ત્યાં હાજર કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા તેમજ ગૂંગળામણ થવા લાગી હતી.
અનેક શ્રમિક બેભાન થયા
કેટલાક શ્રમિકોએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગેસની અસર એટલી તેજ હતી કે ઘણા શ્રમિકો સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યા. ઘટનાની માહિતી મળતાં જ ફેક્ટરી મેનેજમેન્ટ, સ્થાનિક વહીવટીતંત્ર અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સલામતી સાધનોથી સજ્જ બચાવ કાર્યકરોએ ફેક્ટરીમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું શરૂ કર્યું.
ગંભીર રીતે પ્રભાવિત માન સિંહ અને તેમના પુત્ર અમિતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટર્સે તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા. દુર્ઘટનાના સમાચાર મળતા જ પરિવારજનોમાં હાહાકાર મચી ગયો. અન્ય પ્રભાવિત શ્રમિકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યા પ્રમાણે કેટલાક શ્રમિકોની હાલત હજુ પણ ગંભીર હોવાથી તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે કેન્સર હોસ્પિટલના પીએમ રૂમ (મોર્ચરી)માં રાખવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે જ સંબંધિત વિભાગોની ટીમો પણ ગેસ ગળતરના વાસ્તવિક કારણોની ભાળ મેળવવામાં જોતરાઈ છે. અધિકારીઓનું કહેવું છે કે, ‘પ્રાથમિક તપાસ બાદ જ એ સ્પષ્ટ થઈ શકશે કે આ દુર્ઘટના ટેકનિકલ ખામી, સુરક્ષાના ધોરણોમાં બેદરકારી કે અન્ય કોઈ કારણસર સર્જાઈ હતી.’
આ પણ વાંચો: મરજીથી દેહવ્યાપાર અપરાધ ન ગણાય, કાયદાના આધારે પોલીસને સુપ્રીમ કોર્ટની નસીહત
દુર્ઘટના બાદ ફેક્ટરી વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છે. સ્થાનિક લોકોએ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય. તંત્રએ પણ તપાસ અહેવાલ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.



