मनोरंजन

‘ખલનાયક રિટર્ન્સ’ બાદ હવે ‘કાંટે 2’ની વારી, 11મી વખત સાથે આવશે સંજય દત્ત અને સંજય ગુપ્તા? | after khalnayak returns Sanjay Dutt may work in kaante 2



Sanjay Dutt in Kaante 2?: એક તરફ ફેન્સ જ્યાં સંજય દત્તની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ખલનાયક રિટર્ન્સ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ તેની 24 વર્ષ જૂની વધુ એક કલ્ટ ક્લાસિક ફિલ્મની સિક્વલ તૈયાર થઈ રહી છે. લાંબા સમય બાદ સંજય દત્ત પ્રખ્યાત ડાયરેક્ટર સંજય ગુપ્તા સાથે ફરી હાથ મિલાવવા જઈ રહ્યા છે એવી ચર્ચા છે. સંજય દત્તની 32 વર્ષ જૂની આઇકોનિક ફિલ્મ ‘ખલનાયક’ની સિક્વલની જ્યારથી જાહેરાત થઈ છે, ત્યારથી જ તેને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર બઝ બનેલો છે. વર્ષ 1993માં આવેલી આ ફિલ્મની સિક્વલને ‘ખલનાયક રિટર્ન્સ’ નામ આપવામાં આવ્યું છે. ફેન્સ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે ત્યાં જ સંજુ બાબાની વધુ એક હિટ ફિલ્મની સિક્વલ ચર્ચામાં આવી ગઈ છે. એવી ચર્ચા છે કે સંજય દત્તની સુપરહિટ ફિલ્મ ‘કાંટે’ની સિક્વલ બની રહી છે, જેના દ્વારા તેઓ લાંબા સમય પછી જાણીતા ડાયરેક્ટર સંજય ગુપ્તા સાથે કમબેક કરશે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં સંજય ગુપ્તાએ પોતે કન્ફર્મ કર્યું છે કે ‘કાંટે 2’ પર કામ ચાલી રહ્યું છે.

જો આ બધું બરાબર રહ્યું તો સંજય ગુપ્તા અને સંજય દત્તની જોડી 11મી વખત સાથે કામ કરતી જોવા મળશે. આ એક્ટર-ડાયરેક્ટરની જોડીએ છેલ્લે વર્ષ 2007માં આવેલી ફિલ્મ ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’માં સાથે કામ કર્યું હતું. હવે ‘કાંટે 2’ આ જોડીને ફરી સ્ક્રીન પર લાવશે. ડાયરેક્ટરે વાતચીતમાં જણાવ્યું છે કે ‘કાંટે’ની સિક્વલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

સંજય ગુપ્તા અને સંજય દત્તની જોડીનો શાનદાર ટ્રેક રેકોર્ડ

સંજય ગુપ્તા 11મી વખત સંજય દત્ત સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. બોલિવૂડમાં આ જોડી ખૂબ જ શાનદાર રહી છે અને તેમણે ઇન્ડસ્ટ્રીને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. સંજય ગુપ્તાએ સંજય દત્તને અત્યાર સુધી 8 ફિલ્મોમાં ડાયરેક્ટ કર્યા છે, જેના નામ છે: આતિશ (1994), જંગ (2000), ખૌફ (2000), કાંટે (2002), મુસાફિર (2004), ઝિંદા (2006), દસ કહાનિયાં (2007) અને અલીબાગ (જે રિલીઝ થઈ શકી નહોતી). આ સિવાય સંજય દત્તે સંજય ગુપ્તાના પ્રોડક્શન હેઠળ બનેલી બે ફિલ્મો – પ્લાન (2004) અને શૂટઆઉટ એટ લોખંડવાલા (2007)માં પણ અભિનય કર્યો હતો. આમ બંનેએ અત્યાર સુધી કુલ 10 પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું છે. ડાયરેક્ટર ગુપ્તાએ જણાવ્યું કે તેમણે ‘કાંટે 2’ની વાર્તાનો બેઝિક આઈડિયા તૈયાર કરી લીધો છે.

“તેમના ટેલેન્ટનો સાચો ઉપયોગ ન થયો”

ઇન્ટરવ્યુ દરમિયાન સંજય ગુપ્તાએ સંજય દત્તની ફિલ્મોની પસંદગી અને તેમના ટેલેન્ટ વિશે દિલ ખોલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, “હું સંજુને આ ફિલ્મો કરતાં જોઈ રહ્યો છું અને તેઓ ઘણું સારું કામ કરી રહ્યા છે, એ વાતમાં કોઈ બેમત નથી. પરંતુ વર્ષ 2025માં આવેલી ‘ધુરંધર’ પહેલાં, મારું માનવું છે કે તેમના ટેલેન્ટનો સાચો ઉપયોગ થયો નહોતો. તેમણે જે પ્રકારની ફિલ્મો કરી છે તે ફિલ્મના મેકર્સને ખબર જ નહોતી કે સંજુને સ્ક્રીન પર કેવી રીતે રજૂ કરવા. તેઓ સંજુની ખૂબીઓથી અજાણ હતા અને તેમને સમજવા માટે સમય પણ નહોતો આપ્યો. બીજી તરફ, મારે સંજુને સમજવાની જરૂર નથી પડતી કારણ કે હું તેમની સાથે જ મોટો થયો છું. આજે પણ જ્યારે હું તેમને જોઉં છું, ત્યારે મને અહેસાસ થાય છે કે તેમનામાં કેટલી ક્ષમતા છે. તેઓ આજે પણ પોતાના દમ પર આખી ફિલ્મ સંભાળી શકે છે, બસ શરત એટલી કે આપણે તેમને એ સ્તરની ફિલ્મ આપવી પડે. આ જ બાબતે અમારી વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે.”

આ પણ વાંચો: શાહરૂખ ખાન નહીં, હવે રજનીકાંતની ‘જેલર 2’માં હૃતિક રોશનનો કેમિયો જોવા મળશે?

‘કાંટે 2’નો આઈડિયા તૈયાર, કાનૂની વિવાદોનો આવ્યો અંત

સંજય ગુપ્તાએ વધુમાં ઉમેર્યું, “અમે સાવ બેઝિક લેવલ પર ‘કાંટે 2’ની વાર્તાનો આઈડિયા વિચારી લીધો છે અને હવે હું તેના પર સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરીશ. જ્યારે વર્ષ 2002માં ‘કાંટે’ રિલીઝ થઈ હતી, ત્યારે તે કેટલાક કાનૂની વિવાદોમાં ફસાઈ ગઈ હતી, પરંતુ હવે તે તમામ બાબતો ઉકલી ગઈ છે. કાનૂની વિવાદોનો અંત આવી ગયો હોવાથી હવે હું આ ફિલ્મી સિક્વલ લખવામાં મારી પૂરી એનર્જી લગાવી રહ્યો છું. તો બસ, હવે જોઈએ કે આ સફર આપણને ક્યાં સુધી લઈ જાય છે.”



Source link

Related Articles

Back to top button