‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign Minister Abbas Araghchi Statements At BRICS Meet In Delhi On US And India Relations

![]()
Abbas Araqchi Delhi Press Conference : દિલ્હીમાં બ્રિક્સ (BRICS) દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાયા બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકા, વૈશ્વિક સુરક્ષા અને મધ્ય-પૂર્વના સંકટ અંગે મહત્વના નિવેદનો આપ્યા છે.
અમેરિકા ડર વગર ઈરાનીઓ પર ભરોસો કરે : અરાઘચી
વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કહ્યું કે, ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાને સમજાયું છે કે, તેઓ પોતાના લક્ષ્યો મેળવી શકે તેમ નથી, તેથી જ તેમણે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘ઈરાન પાસે અમેરિકા પર ભરોસો ન કરવાના તમામ કારણો છે, પરંતુ અમેરિકા કોઈપણ ડર વગર ઈરાનીઓ પર પૂરો ભરોસો કરી શકે છે. તેમ છતાં અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ.’ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના માર્ગમાં સૌથી મોટી અડચણ પરસ્પર વિશ્વાસનો અભાવ છે.
ઈરાનની અમેરિકાને ચેતવણી
અમેરિકાને આકરી ચેતવણી આપતા ઈરાની વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ‘ઈરાનને ડરાવી કે દબાવી શકાય તેમ નથી. અમેરિકાએ વારંવાર અમારી પરીક્ષા લીધી છે. અમે કોઈપણ દબાણ, ધમકી કે પ્રતિબંધો સામે ઝૂકવાના નથી. ઈરાનના લોકો માત્ર સન્માનની ભાષામાં જ જવાબ આપે છે.’ ઉલ્લેખનીય છે કે, હાલ બંને દેશો વચ્ચે એક અસ્થિર યુદ્ધવિરામ લાગુ છે, કારણ કે ઈરાન કૂટનીતિને એક તક આપવા માંગે છે. તેમને ઈરાન સાથે જોડાયેલી કોઈપણ સમસ્યાનો સૈન્ય ઉકેલ દેખાતો નથી.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલની તંગીનો ડર ખતમ ! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ
ઈરાની વિદેશ મંત્રીએ ભારતના કર્યા વખાણ
મધ્ય-પૂર્વમાં તણાવ પર બોલતા અરાઘચીએ ભારતના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ક્ષેત્રમાં શાંતિ ફરી સ્થાપવા માટે ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે અને ઈરાન તેનું સ્વાગત કરશે. બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ વૈશ્વિક સમુદાયને ચેતવણી આપતા કહ્યું કે, ‘મધ્ય-પૂર્વમાં વધતી અસ્થિરતાને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠો ગંભીર રીતે ખોરવાઈ શકે છે.’
ઈરાન તટસ્થ રહીને વેપાર કરતા જહાજોને મદદ કરવા તૈયાર
બીજી તરફ, હોર્મુઝ જળમાર્ગની પરિસ્થિતિ પર ઈરાનના વિદેશ મંત્રીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, આ દરિયાઈ માર્ગ એ દેશોને છોડીને તમામ માટે ખુલ્લો છે જેઓ ઈરાન સાથે યુદ્ધમાં છે. ઈરાન તટસ્થ રહીને વેપાર કરતા જહાજોને મદદ કરવા તૈયાર છે અને યુદ્ધ સમાપ્ત થયા પછી પરિસ્થિતિ ફરી સામાન્ય થઈ જશે.



