દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | justice swarana kanta sharma send liquor scam case to another bench and action on kejriwal

![]()
Delhi Liquor Policy Case: દિલ્હી હાઈકોર્ટના જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના અડધા ડઝન નેતાઓ વિરુદ્ધ ફોજદારી માનહાનિ (અવમાનના)નો કેસ શરૂ કર્યા પછી દારૂ કૌભાંડના કેસમાંથી પોતાને અલગ કરી લીધા છે. આ અગાઉ જસ્ટિસ સ્વર્ણ કાંતાએ કેજરીવાલની કેસ પરથી દૂર થવાની માંગ ફગાવી દીધી હતી, પરંતુ હવે અવમાનનાનો કેસ શરૂ થવાને કારણે એક નિયમનો હવાલો આપીને જસ્ટિસ શર્માએ આ નિર્ણય સંભળાવ્યો છે.
‘હું આ કેસને બીજી કોર્ટમાં મોકલીશ’
અરવિંદ કેજરીવાલને આંચકો આપવાની સાથે જ કોર્ટે પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની તે ઈચ્છા પૂરી કરી દીધી, જેના માટે તેમણે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો અને પછી ‘રિક્યુઝલ’ (કેસમાંથી હટી જવાની) અરજી દાખલ કરી હતી. જસ્ટિસ શર્માએ કહ્યું, ‘આ કેસ કોઈ અન્ય બેન્ચ સાંભળશે. કારણ કે કાયદા મુજબ જે જજ અવમાનનાની કાર્યવાહી શરૂ કરે છે તે મુખ્ય કેસની સુનાવણી કરી શકતા નથી. રિક્યુઝલ પોતાની જગ્યાએ કાયમ છે, પરંતુ હું આ કેસને બીજી કોર્ટમાં મોકલીશ.’
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માનો કેજરીવાલે કર્યો હતો વિરોધ
અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત 23 આરોપીઓને ટ્રાયલ કોર્ટે ફેબ્રુઆરીના અંતમાં આરોપમુક્ત કરી દીધા હતા. કોર્ટે તપાસ એજન્સી CBI વિરુદ્ધ તીખી ટિપ્પણીઓ કરી હતી અને તપાસ અધિકારી વિરુદ્ધ જ તપાસનો આદેશ આપી દીધો હતો. CBIએ જ્યારે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો ત્યારે તે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચ સામે લિસ્ટેડ થયો હતો. કેજરીવાલે અહીંથી એક નવી જંગની શરૂઆત કરી દીધી હતી, જેને લઈને તેમની વિરુદ્ધ હવે નવો કેસ શરૂ થઈ ગયો છે.
કેજરીવાલે 10 દલીલો કરી
જસ્ટિસ સ્વર્ણ કાંતા પાસેથી ન્યાય નહીં મળી શકવાની આશંકા વ્યક્ત કરતા કેજરીવાલે પહેલા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો, પરંતુ જ્યારે તેમણે બેન્ચ બદલવાનો ઈનકાર કરી દીધો તો પૂર્વ CMએ કોર્ટમાં રિક્યુઝલ અરજી દાખલ કરી. જેના દ્વારા જજને એવી માંગ કરવામાં આવે છે કે તેઓ પોતે કેસમાંથી અલગ થઈ જાય. કેજરીવાલે કોર્ટમાં હાજર થઈને આશરે 10 દલીલો રજૂ કરી હતી. પરંતુ જસ્ટિસ શર્માએ તમામ દલીલો ફગાવી દેતા કેસની સુનાવણી ચાલુ રાખવાનો નિર્ણય સંભળાવ્યો હતો.
જજ પર શું આરોપો લગાવવામાં આવ્યા?
અરવિંદ કેજરીવાલ અને તેમના સહયોગીઓએ જજ પર હિતોના ટકરાવના (Conflict of Interest) આરોપ લગાવ્યા. એવું કહેવામાં આવ્યું કે જજના બાળકો સરકારી પેનલમાં છે, જે સીબીઆઈના વકીલને રિપોર્ટ કરે છે, તેથી જસ્ટિસ શર્મા સીબીઆઈ વિરુદ્ધ નિર્ણય આપી શકે નહીં. જસ્ટિસ શર્મા પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે તેઓ RSS સાથે જોડાયેલા સંગઠનના કાર્યક્રમમાં જતા રહ્યા છે, તેથી તેમની પાસેથી ન્યાયની આશા રાખી શકાય નહીં.
જજે હવે કેમ કાર્યવાહી કરી?
રિક્યુઝલ અરજી ફગાવી દીધા બાદ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની કોર્ટનો બહિષ્કાર કરી દીધો હતો. કોર્ટે તેમના માટે ‘ન્યાય મિત્ર’ (Amicus Curiae)ની નિમણૂક કરવાની વાત કહી હતી. આ દરમિયાન આજે ગુરુવારે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક, વિનય મિશ્રા વિરુદ્ધ ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે ન્યાયપાલિકા પર હુમલા કરવામાં આવ્યા, ખોટા ઈરાદાથી સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવ્યું, તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને મજાક ઉડાવવામાં આવી. જસ્ટિસ શર્માએ કહ્યું કે જો આ વસ્તુઓને રોકવામાં નહીં આવે તો અરાજકતા ફેલાઈ જશે.
કથિત દારૂ કૌભાંડ અને કાનૂની ગૂંચ
દિલ્હી સરકાર દ્વારા 2021-22માં અમલમાં મૂકાયેલી નવી એક્સાઇઝ પોલિસી(દારૂ નીતિ)માં ગેરરીતિ થઈ હોવાના આરોપો બાદ CBI અને ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓનો દાવો છે કે આ નીતિ દ્વારા કેટલાક પસંદગીના વેપારીઓને ફાયદો પહોંચાડીને તેના બદલામાં કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. આ મામલે અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ થઈ હતી. જોકે, નીચલી અદાલતે તેમને આ કેસમાં રાહત આપતાં તપાસ એજન્સીએ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચમાં સુનાવણી કરવામાં આવતી હતી.



