राष्ट्रीय

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assembly too: Passes floor test with the support of 144 MLAs



– એઆઇએડીએમકેનાં 25 બળવાખોર ધારાસભ્યો વિજયનાં સમર્થનમાં

– એઆઇએડીએમકે પ્રમુખ બળવાખોર ધારાસભ્યોને પક્ષનાં વિવિધ પદો પરથી હટાવ્યા 

– ફલોર ટેસ્ટ વખતે ડીએમકેએ વોટિંગનો ઇનકાર કરી વોકઆઉટ કર્યો : ભાજપ અને પીએમકે વોટિંગથી દૂર રહ્યાં

– સુપ્રીમનો ટીવીકેનાં ધારાસભ્યને ફલોર ટેસ્ટમાં ભાગ નહી લેવાના હાઇકોર્ટનાં આદેશ પર સ્ટે

ચેન્નાઇ: તમિલનાડુમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં મળેલ જીત પછી વિજય ફલોર ટેસ્ટમાં પણ પાસ થઇ ગયા છે. મુખ્યપ્રધાન વિજયે બુધવારે તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ મત માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ટીવીકે ગઠબંધનવાળી સરકારને ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. 

ઉલ્લેખનીય છે કે ૨૩૪ સભ્યોવાળી વિધાનસભામાં વિજયની સરકારને ફલોર ટેસ્ટમાં પાસ થવા માટે ૧૧૮ સભ્યોની જરૂર હતી. ફલોર ટેસ્ટમાં વિધાનસભામાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

ડીએમકેએ વોટિંગનો ઇનકાર કરીને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ફલોર ટેસ્ટમા વિજયની સરકારને કોંગ્રેસ, સીપીઆઇ, સીપીઆઇ (એમ), વીસીકે અને આઇયુએમએલએ સરકારને સમર્થન આપ્યું હતું. 

ભાજપ અને અનબુમણિ રામદોસનાં નેતૃત્ત્વવાળા પીએમકે વોટિંગથી દૂર રહ્યાં હતાં. એઆઇએડીએમકેનાં બળવાખોર ધારાસભ્યોએ વિજયને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. 

રિપોર્ટ અનુસાર એસપી વેલુમણિનાં નેતૃત્ત્વવાળા જૂથને એઆઇએડીએમકે ૪૭માંથી ૩૦ ધારાસભ્યોનું સમર્થન છે અને ઓછામાં ઓછા ૨૫ ધારાસભ્યોએ વિજયનાં પક્ષમાં મતદાન કર્યુ હતું.

વેલુમણિનાં નેતૃત્ત્વવાળા એઆઇએડીએમકેનાં જૂથે વિજયનાં પક્ષ ટીવીકેને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન વેલુમણિએ જણાવ્યું હતું કે તે કોઇ મંત્રી પદ કે અન્ય કોઇ લાલચ માટે નહીં પણ સરકારની સ્થિરતા માટે સમર્થન આપી રહ્યાં છે.  એઆઇએડીએમકેનાં મહાસચિવ પલાનીસ્વામીએ બુધવારે એસ પી વેલુમણિ, ષણામુગમ અને વિજયભાસ્કર સહિત અનેક નેતાઓને તેમના પદેથી હટાવી દીધા હતાં. 

એઆઇએડીએમકે પ્રમુખે વિશ્વનાથન સહિતનાં બળવાખોર ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરી છે. આ ધારાસભ્યોએ પક્ષનાં આદેશની અવગણના કરીને વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન ટીવીકેનાં પક્ષમાં મતદાન કર્યુ હતું. પલાનીસ્વામીએ આ ૨૫ ધારાસભ્યોનાં પાર્ટી પદોમાં ફેરફાર કરી તેમની જગ્યાએ નવા જિલ્લા સચિવોની નિમણૂક કરી હતી. 

(પીટીઆઇ) નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે મદ્રાસ હાઇકોર્ટનાં એ આદેશ પર સ્ટે મૂકી દીધો  જેમાં ટીવીક એમએલએ આર શ્રીનિવાસા સેતુપતિને તમિલનાડુ વિધાનસભામાં ફલેોર ટેસ્ટમાં ભાગ લેવાથી રોકવામાં આવ્યા હતાં. કોર્ટે જણાવ્યું હતું કે રિટ અધિકાર ક્ષેત્ર હેઠળ આવા નિર્દેશ આપવા ખૂબ જ અયોગ્ય હતું. સુપ્રીમ કોર્ટે આ કેસમાં હાઇકોર્ટમાં ચાલી રહેલી આગળની કાર્યવાહી ઉપર પણ સ્ટે મૂકી દીધો છે. સેતુપતિએ શિવગંગા જિલ્લાની વિધાનસભા બેઠક નં. ૧૮૫ (તિરુપ્પત્તુર) પર ડીએમકેનાં ઉમેદવાર સામે એક મતથી વિજય મેળવ્યો છે. સુપ્રીમે હારેલા ઉમેદવાર અને અન્ય પ્રતિવાદીઓને સેતુપતિની અરજી પર એફિડેવિટ દાખલ કરવા બે સપ્તાહનો સમય આપ્યો છે. હારી ગયેલા ઉમેદવારનાં વકીલ રોહતગીએ જણાવ્યું હતું કે એક પોસ્ટલ બેલેટ ભૂલથી અન્ય વિધાનસભામાં મોકલી દેવામાં આવ્યો હતો જે વાસ્તવમાં તિરુપ્પત્તુર બેઠકનો હતો. આ પોસ્ટલ બેલેટને યોગ્ય વિધાનસભામાં મોકલવાને બદલે રદ કરવામાં આવ્યો હતો. 

– 24 કલાકમાં જ વિજયનો યુ ટર્ન

– વિજયે વિપક્ષી વિરોધના લીધે ઓએસડી તરીકે જ્યોતિષીની નિમણૂક રદ કરી

– રિકી રાધન પંડિત વેટ્રિવેલની એક સમયે પૂર્વ સીએમ જયલલિથા પણ સલાહ લેતા હતા

નવી દિલ્હી: અભિનેતામાંથી રાજનેતા બનેલા ટીવીકેના પ્રમુખ વિજયે મંગળવારે તમિલનાડુ સરકારમાં જ્યોતિષી રિકી રાધન પંડિતની મુખ્યમંત્રીના ખાસ સલાહકાર (ઓએસડી) તરીકે નિમણૂક કરી હતી. વિપક્ષની આકરી ટીકાના પગલે વિજયે ૨૪ કલાકમાં જ આ નિમણૂક રદ કરી દીધી હતી. 

ટીવીકેના મુખ્ય સચિવ રીતા હરીશ ઠક્કરે મંગળવારે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે થિરુ રિક્કી રાધન પંડિત વેટ્રીવેલને મુખ્યપ્રધાનના ખાસ અધિકારીના સ્વરૂપમાં કાર્યભાર ગ્રહણ કરવાની તારીખથી નીમવામાં આવ્યા છે. તેના નિયમો અને શરતો અલગથી જારી કરવામાં આવશે. બુધવારે આ નિમણૂકપત્ર પરત લઈ લેવામાં આવ્યો છે.

વેટ્રિવેલે ચૂંટણી પહેલાં વિજયની જબરદસ્ત જીતની ભવિષ્યવાણી કરી હતી. વિજયે પોતાનો શપથ ગ્રહણ સમારંભ પહેલા ૧૦ મે ૩-૪૫ વાગે નક્કી કર્યો હતો, તેના પછી સવારે ૧૦ વાગ્યાનો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફેરફાર વેટ્રિવેલના સૂચન પર જ થયો હતો, જેમણે નવા સમયને વધારે શુભ ગણાવ્યો હતો.

તમિલનાડુના ઇરોડમાં જન્મેલા વેટ્રિવેલ વૈદિક જ્યોતિષ, ધ્યાન આધારિત માર્ગદર્શન અને અંકશાસ્ત્રના ક્ષેત્રનો ચાર દાયકાનો અનુભવ ધરાવે છે. એક સમયે તેમની સલાહ લેનારાઓમાં પૂર્વ સીએમ જયલલિથા સહિતના ઘણા મહાનુભાવો સામેલ હતા. તેમણે ૧૯૯૧માં જયલલિતાના વિજયની અને ૧૯૯૪-૯૭માં તેમના કપરા સમયની આગાહી કરી હતી. 



Source link

Related Articles

Back to top button