राष्ट्रीय

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | complete lack of common civic sense in public places in India Unmasking India civic sense crisis


Smartphones, but dumb choices? Unmasking India’s civic sense crisis: હાલમાં જ કરીના કપૂર ખાનનો મુંબઈ એરપોર્ટ પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં તે સુરક્ષા તપાસ માટે કતારમાં ઉભેલા અન્ય મુસાફરોને બાજુ પર મૂકીને સીધી આગળ વધી ગઈ હતી. લોકોએ કરીનાને તેની ‘સેલિબ્રિટી એન્ટાઇટલમેન્ટ’ (વીઆઈપી હોવાનો અહંકાર) બદલ સખત રીતે ટ્રોલ કરી હતી. એ કિસ્સામાં મોટા ભાગનાનું કહેવું હતું કે, ભલે તે મોટી સ્ટાર હોય, પરંતુ જાહેર સ્થળોએ નિયમો અને શિસ્ત દરેક નાગરિક માટે સમાન હોવા જોઈએ. વાત તો સાચી, પણ શું આપણે બધાં સેલિબ્રિટી ન હોય એવા લોકો પણ ઘણી વાર કરીના કપૂર જેવું વર્તન નથી કરતા? ચાલો જાણીએ મોટા ભાગના ભારતીયોમાં જાહેર સ્થળે કઈ રીતે વર્તવું જોઈએ તેની સિવિક સેન્સ કેમ નથી!

જાહેર સ્થળે સામાન્ય સિવિક સેન્સના સદંતર અભાવના પ્રકાર 

– ડિજિટલ ઘોંઘાટ: બસ, ટ્રેન, પ્લેનમાં મુસાફરી કરતી વખતે અથવા જાહેર સ્થળોએ અનેક લોકો ફૂલ વોલ્યૂમમાં વીડિયો જોતા હોય છે, તો કેટલાક સ્પીકર પર મોટેથી વાતો કરતા હોય છે. આવું વર્તન ઓછું ભણેલા અને સામાન્ય વર્ગના લોકો જ કરે છે, એવું નથી. ઉચ્ચ અભ્યાસ કરનારા કે ધનિકો પણ આવું કરે છે. એરપોર્ટના વેઇટિંગ લાઉન્જમાં પણ આવા દૃશ્યો જોવા મળે છે. લખતા-વાંચતા કે ગણતરી કરવા આવડતું હોય એ ‘સાક્ષર’ કહેવાય, પરંતુ ‘શિક્ષિત’ નહીં. શિક્ષિત થોડો વ્યાપક શબ્દ છે, જેમાં શિસ્ત, સંસ્કાર અને સભ્યતા જેવા ગુણો સમાવિષ્ટ હોય છે. 

– લાઇનમાં ઊભા રહેવામાં ઠાગાઠૈયા: આપણા દેશમાં અનેક સ્થળે નાની-મોટી લાઇનો હોય છે. શાંતિથી લાઇનમાં ઊભા રહીને વારો આવે, તેની રાહ જોવાની લોકોમાં બિલકુલ ધીરજ નથી હોતી. અનેક લોકો લાઇન તોડીને વચ્ચે ઘૂસી જવાની પેરવી કરતા હોય છે, જેને સામાન્ય જીવનમાં શિસ્તતાનો અભાવ કે બેજવાબદારીના બદલે ‘હોશિયાર માણસનું લક્ષણ’ માનવામાં આવે છે. 

આઘાતજનક વાત એ છે કે, કેટલાક તો ધક્કા મારીને આગળ નીકળી જવાની વૃત્તિ ધરાવતા હોય છે. આમ કરવામાં બીજાને તકલીફ થતી હોય એનીય પરવા નથી કરતા. ઘણાંને વળી એટલી સામાન્ય સમજ નથી હોતી કે આગળ-પાછળ ઊભેલી વ્યક્તિથી થોડું અંતર રાખીને લાઇનમાં ઊભા રહેવાનું હોય, કોઈ પણ પ્રકારનો શારીરિક સ્પર્શ ટાળવાનો હોય. આ જ કારણસર ધક્કામુક્કીના કારણે વિશ્વમાં સૌથી વધુ મોત ભારતમાં થાય છે. 

– સ્વચ્છતા પ્રત્યે ઉદાસીનતા: ઘરને કાચ જેવું રાખનારા લોકો જાહેર રસ્તા પર કચરો ફેંકતા કે થૂંકતા અચકાતા નથી. 

– ઘરના ઉંબરાની બહાર બદલાઈ જતી માનસિકતાઃ ભારત એક એવો દેશ છે જ્યાં ‘અતિથિ દેવો ભવઃ’ની પરંપરા છે. આપણે કોઈના ઘરે જઈએ તો તમને સરસ આવકાર, આદર અને સ્નેહ મળે છે, પરંતુ જેવી વાત ઘરના ઉંબરાની બહાર એટલે કે ‘જાહેર સ્થળો’ની આવે છે, ત્યારે આપણું ચિત્ર તદ્દન બદલાઈ જાય છે. રસ્તા હોય, રેલ્વે સ્ટેશન હોય કે એરપોર્ટ લાઉન્જ—ભારતીયો ગંદકી કરવામાં બે વાર વિચારતા નથી. ઐતિહાસિક ધરોહર જેવા સ્થળે પણ લોકો ગંદકી કરતાં અચકાતા નથી. દીવાલો પર જાતભાતના લખાણ કરીને ગંદકી ફેલાવનારા ‘કલાકારો’ની ભારતમાં કમી નથી. રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય તો ત્યાં પણ જાણે પૈસા આપીને જમવાના છે એટલે સ્ટાફને ખરીદી લીધા હોય એવું તોછડું વર્તન કરવામાં અને ટેબલની આજુબાજુ ગંદકી કરવામાં લોકો અચકાતા નથી.  

ભારતીયોના આવા વર્તન પાછળના કારણો 

શા માટે આપણે આવું વર્તન કરીએ છીએ? શું આપણને ખબર નથી કે આ ખોટું છે? આની પાછળ કેટલાક મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો પણ જવાબદાર છે. જેમ કે.. 

Explainer: શિક્ષિત થયા પણ 'સંસ્કારી' નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે 2 - image

1. સંબંધિત દયા (Relational Kindness): ભારતીયોની દયા અને વિવેક ‘સંબંધ’ પર આધારિત છે. ઘરે આવેલા મહેમાનની સગવડ સાચવવામાં આપણે કોઈ કમી નથી રાખતા, પરંતુ અજાણી વ્યક્તિ માટે આપણા મનમાં કોઈ સ્થાન નથી. અમેરિકન સમાજશાસ્ત્રી અને લેખક અર્વિંગ ગોફમેનના ‘સિવિલ ઇનએટેન્શન’ના સિદ્ધાંત મુજબ, આધુનિક સમાજમાં અજાણી વ્યક્તિના અસ્તિત્વને માન આપી તેને ખલેલ ન પહોંચાડવી જોઈએ, પરંતુ આપણે અજાણી વ્યક્તિને ‘બિન-વ્યક્તિ’ માની તેની હાજરીની અવગણના કરીએ છીએ.

2. બીજાથી ચઢિયાતા/શક્તિશાળી દેખાવાની માનસિકતાઃ આપણા સમાજમાં ‘મોટેથી બોલવું’ અથવા ‘નિયમો તોડવા’ એ ઘણીવાર શક્તિનું પ્રદર્શન ગણાય છે, જે વ્યક્તિ લાઇનમાં ઊભી રહે છે તેને ‘નબળો’ અને જે વગ વાપરી આગળ નીકળી જાય તેને ‘મજબૂત અને હોશિયાર’ માનવામાં આવે છે. સ્પીકર પર વાત કરનાર વ્યક્તિ અજાણતા એવું દર્શાવે છે કે તે શ્રેષ્ઠ છે અને તેને બીજાની પરવા કરવાની જરૂર નથી.

3. અછતની માનસિકતા (Scarcity Mindset): ભારતમાં વસ્તી વધારે છે અને સંસાધનો ઓછા. આ સંજોગોમાં ભારતીયોમાં ‘જો હું લાઇનમાં ઊભો રહીશ તો મારો નંબર નહીં આવે’ એવી અસલામતી પેદા થાય છે. આ અસલામતી જ આપણને બીજાના અધિકારો છીનવી લેવા પ્રેરે છે.

4. જાહેર મિલકત એટલે બિનવારસી: આપણે જાહેર જગ્યાઓને ‘આપણી’ નથી માનતા પણ ‘સરકારી’ માનીએ છીએ. તેથી જે વસ્તુ પોતાની નથી તેની જાળવણી કરવાની જવાબદારી આપણને અનુભવાતી નથી. એ જગ્યાઓનું નિર્માણ અને જાળવણી આપણા ટેક્સના પૈસે થતી હોવાનું જાણતા હોવા છતાં આપણે ભારતીયો આવું વલણ ધરાવીએ છીએ.

5. દંડનો અભાવઃ ભારતમાં જાહેર સ્થળોએ ગંદકી કરવી, એ કોઈ ગુનો ગણાતો ન હોવાથી લોકો બેજવાબદારીપૂર્વક વર્તે છે. ભારતીયો વિદેશ ફરવા જાય ત્યારે ત્યાં ગમે ત્યાં ગંદકી નથી કરતાં, કેમ કે તેમને ખબર હોય છે કે અહીં તો ગંદકી કરવા બદલ આકડો નાણાકીય દંડ ફટકારાય છે. આમ, ભારતીયોની સિવિક સેન્સ પણ ‘સગવડિયા’ કહેવાય એવી છે.

6. આઝાદીનો આનંદઃ ઘણાં લોકો એવા પણ હોય છે કે એમના વ્યક્તિગત જીવનમાં કોઈ ને કોઈથી દબાયેલા રહેતા હોય છે. ઘર-પરિવારમાં મુક્તમને વિચારો કે મત પ્રગટ કરવાની તક ન મળતી હોય એવા માણસો જાહેર સ્થળોએ મનસ્વી વર્તન કરતા હોય છે. સતત પારિવારિક-સામાજિક ભીંસ વચ્ચે જીવતા લોકો ‘અહીં તો મને કોઈ દબાવી નહીં જ શકે’, એમ વિચારીને આઝાદીનો આનંદ મનાવતા હોય એ રીતે બેફામ વર્તન કરતા હોય છે.

પરિવર્તનની જરૂરિયાત

સિવિક સેન્સ એ માત્ર શિક્ષણથી આવતો ગુણ નથી, પણ તે દેશપ્રેમ, સામાજિક જવાબદારી અને કલ્પના શક્તિનો વિષય છે. આપણે એ કલ્પના કરવાની જરૂર છે કે સામેની વ્યક્તિ પણ આપણા જેવી જ છે અને તેને પણ શાંતિ કે સુવિધાનો એટલો જ અધિકાર છે જેટલો આપણને છે. આવી માનસિકતા પહેલા આપણે કેળવીએ અને પછી એના બીજ નવી પેઢીમાં રોપીએ, એ ઈચ્છનીય છે. 

આ પણ વાંચો: જાપાનનો સૌથી મોટો ‘ટાઈમ બોમ્બ’ ગણાતા જ્વાળામુખીમાં વિસ્ફોટ, 3500 મીટર ઊંચે રાખ ઊડી

સિવિક સેન્સનો દુકાળ ખતમ કરવો જ રહ્યો

મોંઘા કપડાં પહેરવાથી કે વિદેશ ફરવાથી સભ્યતા નથી આવતી. ખરી સભ્યતા તો ત્યારે દેખાય છે જ્યારે આપણે જાહેર સ્થળે અજાણી વ્યક્તિ માટે આપણી સગવડને થોડી જતી કરીએ છીએ. જ્યાં સુધી આપણે ‘જાહેર જગ્યા’ ને ‘આપણી સહિયારી જગ્યા’ નહીં માનીએ, ત્યાં સુધી સિવિક સેન્સનો આ દુકાળ ચાલુ રહેશે.



Source link

Related Articles

Back to top button