સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીણ હત્યા કરનારા અસદનું એન્કાઉન્ટર! | ghaziabad murder case asad encounter update

![]()
Ghaziabad Murder Case: ગાઝિયાબાદના ખોડા વિસ્તારમાં 17 વર્ષીય સૂર્યપ્રતાપ ચૌહાણની નિર્મમ હત્યાના મામલામાં પોલીસે મોટું પગલું ભર્યું છે. શનિવારે મોડી રાત્રે પોલીસ સાથેની અથડામણમાં હત્યાનો મુખ્ય આરોપી અસદ માર્યો ગયો છે. આ અથડામણમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે.
બકરી ઈદના દિવસે કરાઈ હતી સૂર્યપ્રતાપ ચૌહાણની હત્યા
28 મેના રોજ બકરી ઈદના દિવસે સૂર્યપ્રતાપ ચૌહાણ પર અસદ અને તેના સાથીઓએ ચાકુથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ સૂર્યપ્રતાપનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ ખોડા વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પરિવાર તેમજ વિવિધ સંગઠનોએ આરોપીઓની ધરપકડ અને એન્કાઉન્ટરની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા.
પોલીસનું ઓપરેશન અને એન્કાઉન્ટર
પોલીસને બાતમી મળી હતી કે અસદ નાણાં એકઠા કરી વિસ્તાર છોડીને ભાગવાની તૈયારીમાં છે. ડીસીપી ધવલ જયસ્વાલે જણાવ્યું હતું કે, પોલીસે વિવિધ સ્થળોએ બેરિકેડ્સ મૂકી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન અસદ તેના એક સાથી સાથે મોટરસાયકલ પર આવતા જોવા મળ્યો હતો. પોલીસને જોઈને તેણે ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે વળતું ફાયરિંગ કર્યું હતું.
અસદને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને ‘બ્રૉટ ડેડ’ જાહેર કર્યો હતો. અસદ પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
બકરીઈદના દિવસે કુરબાની જોવાના બહાને બોલાવ્યો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અને મૃતક મિત્રો હતા અને મોટરસાયકલ ચલાવવા બાબતે થયેલા સામાન્ય વિવાદે હત્યાનું સ્વરૂપ લીધું હતું. પીડિતના પરિવારે આક્ષેપ કર્યો છે કે સૂર્યાને બકરીઈદના દિવસે ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
પીડિત માતા- દરેકના ઘર પર બુલડોઝર ચાલવું જોઈએ
આ એન્કાઉન્ટર બાદ સૂર્યપ્રતાપની માતાએ માંગ કરી છે કે આ હત્યામાં સામેલ અન્ય આરોપીઓ સામે પણ સમાન કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું, મેં માત્ર એકનું એન્કાઉન્ટર જોયું છે… મારા દીકરા સાથે સાત લોકોએ આવું કર્યું હતું… દરેકના ઘર પર બુલડોઝર ચાલવું જોઈએ.
આ ઘટના બાદ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે હત્યારાઓને છોડવામાં આવશે નહીં અને કાયદા મુજબ કડક સજા કરવામાં આવશે. બીએસપી ચીફ માયાવતીએ પણ આ ઘટનાને અત્યંત દુઃખદ અને ચિંતાજનક ગણાવી છે.



