‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે કર્યો ઘટસ્ફોટ | AAP MP Balbir Singh Seechewal Claims Offer to Join Rebel Group Amid BJP Defection

![]()
AAP MP Balbir Singh Seechewal : આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ વચ્ચે પાર્ટીના રાજ્યસભા સાંસદ બલબીર સિંહ સીચેવાલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેમને ‘આઝાદ સમૂહ’માં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો હતો. સીચેવાલે આરોપ લગાવ્યો કે, પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા સાંસદોએ આમ આદમી પાર્ટી સાથે દગો કર્યો છે.
સાહનીએ મને ફોન કર્યો હતો : સીચેવાલ
PTIના રિપોર્ટ મુજબ, સીચેવાલે જણાવ્યું કે શુક્રવારે સવારે તેમને રાજ્યસભા સાંસદ વિક્રમજીત સિંહ સાહનીનો ફોન આવ્યો હતો. સાહનીએ તેમને કહ્યું કે, પંજાબના મુદ્દાઓ ઉઠાવવા માટે એક નવું આઝાદ સમૂહ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં 6-7 રાજ્યસભા સભ્યોએ પહેલેથી જ હસ્તાક્ષર કરી દીધા છે. જોકે, સીચેવાલે સ્પષ્ટ કહ્યું કે, તેમની આવા કોઈ જૂથમાં જોડાવાની કોઈ ઈચ્છા નથી.
બલબીર સિંહ સીચેવાલે શું કહ્યું?
તેમણે કહ્યું કે, બાદમાં તેમને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે સાત સાંસદોએ AAP છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઘટનાક્રમે દેશના રાજકારણને હમચાવી નાખ્યું છે. સીચેવાલે કહ્યું કે, પાર્ટીએ આ નેતાઓને રાજ્યસભામાં એટલે મોકલ્યા હતા કે, તેઓ સંસદમાં પંજાબના મુદ્દાઓ મજબૂતીથી ઉઠાવી શકે. પરંતુ પાર્ટી છોડીને તેમણે પોતાની જવાબદારીમાંથી મોઢું ફેરવી લીધું છે.
ઉલ્લેખનીય છે કે, AAPના 10માંથી 7 રાજ્યસભા સાંસદોના રાજીનામા અને ભાજપમાં જોડાવાથી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.



